ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાવેશ ભટ્ટ

ભાવેશ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

(આગ અબ્બીહાલની) – ભાવેશ ભટ્ટ

ક્યારનો ચિંતા કરે છે કાલની,
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની.

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની!

રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.

આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?

– ભાવેશ ભટ્ટ

ગઝલસ્વરૂપની ખરી કરામત એ છે કે એ મોટામાં મોટી ફિલસૂફીને પણ સહજ-સાધ્ય શબ્દોમાં રજૂ કરી શકે છે. Carpe Diem – ‘આ ક્ષણમાં જીવો’ જેવી વાત કવિ મત્લામાં આબાદ ઝીલી શક્યા છે એ તો ખરું જ, પણ સહેજ પણ ભાષાડંબરનું મોણ નાખ્યા વિના એ ખાસ નોંધવા જેવું. અબ્બીહાલ જેવા લોકબોલીના શબ્દને કામમાં લઈને કવિએ કમાલ કરી છે. મંચ પર છટાદાર રજૂઆત વડે વન્સમોરના પુરસ્કાર પામતા રહેતા કવિની ગઝલના શેરની બે પંક્તિ વચ્ચેના ઊંડાણની પણ નોંધ લેવાવી જોઈએ.

Comments (15)

(વધારે) – ભાવેશ ભટ્ટ

મળ્યું છે જે કૈં વેદનાથી વધારે
છે સોહામણું એ કલાથી વધારે

અગર જો સજાથી મળ્યું કૈંક ઓછું
થયું છે કશું તો ગુનાથી વધારે

ધર્યો વેશ ભગવો પછી આ દશા છે
ફરકતા રહે છે ધજાથી વધારે

તમે માર્ગ બદલો નહીં એને જોઈ
નથી માગતો કૈં દુઆથી વધારે

કશે પણ ગયા ના, જરા પણ હલ્યા ના
છતાં થાક લાગ્યો હવાથી વધારે

મળ્યો દંડ એનો પછી કોડિયાને
જરા ઝળહળાયું દીવાથી વધારે

બધી વાત અંગત ફકત બે જણાની
બધાને છે રસ બે જણાથી વધારે

– ભાવેશ ભટ્ટ

નવી કલમની મજા એ છે કે એ સરળ ભાષામાં સચોટ વાત કરી શકે છે. આ ગઝલ માણો અને પ્રમાણો…

Comments

આ કેવું સ્મિત છે – ભાવેશ ભટ્ટ

એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.

શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.

વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.

અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.

કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!

કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.

પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!

– ભાવેશ ભટ્ટ

સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….

Comments (8)

(જોઈ લે ભૂતકાળ) – ભાવેશ ભટ્ટ

જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
ક્યાં હતો અવકાશ વાટાઘાટનો ?

ચાકડાની દુર્દશાને પણ જુઓ!
વાંક ના કાઢ્યા કરો કુંભારનો!

જેની સોબતથી અમે ડરતા હતા,
એ બન્યો પર્યાય તારા વ્હાલનો !

એ મથે છે વાદળો સળગાવવા
આશરો જેને હતો વરસાદનો!

પાણી પાણી થઈ જશે એકાંત પણ
લઈ શકો આનંદ જો આભાસનો!

એમનાં તો આંસુ પણ લાગે અનાથ
જે ન સમજે અર્થ પશ્ચાતાપનો!

હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો
એ રીતે બદલો લીધો અપમાનનો !

– ભાવેશ ભટ્ટ

સ્વભાવગત ખુમારીથી છલકાતી ગઝલ… બધા જ શેર ગમી જાય એવા…

Comments (6)

ઉદાસ ન થાય – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.

એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

– ભાવેશ ભટ્ટ

આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.

Comments (11)

ગઝલ – ભાવેશ ભટ્ટ

તું નથી ગઈ તોય પાછી આવ ને;
ને મને તારામાં ચપટીક વાવ ને.

આ જગત પાછો તને આપે કદાચ,
સૌની પાસે તું મને ઉઘરાવ ને.

હું તને જોઉં તને ગમતું નથી ?!
આંખનો શું ધર્મ છે સમજાવ ને !

શું થયું? શું થઈ રહ્યું છે? શું થશે?
આ વિચારોને હવે સળગાવ ને.

તું ફરીથી આવ ને પાણી બની,
ને ડૂબાડી દે ડૂબેલી નાવને.

– ભાવેશ ભટ્ટ

સાદ્યંત સંતર્પક રચના…

Comments (9)

ગઝલ – ભાવેશ ભટ્ટ

અચાનક વહેણમાં બદલાવ આવે;
નદીમાં જો અમારી નાવ આવે.

અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.

કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !

નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.

ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
અને સપનામાં કાયમ વાવ આવે.

– ભાવેશ ભટ્ટ

Comments (12)

ગઝલ – ભાવેશ ભટ્ટ

પગલે-પગલે શ્વાસનાં તોફાન છે;
ક્રોસ પર રહેવું બહુ આસાન છે.

તોય કાયમ જંગ હું જીતી ગયો,
આમ મારા મ્યાનમાં પણ મ્યાન છે.

કોઈની વિદાયથી આવું બને,
બહુ દિવસથી બારણાં બેભાન છે.

જે બચ્યું છે ના બચ્યા જેવું જ છે,
આંખ છે તો આંખમાં સમશાન છે.

જો ગણો તો એટલા લોકો નથી,
જેટલા વસ્તીમાં આગેવાન છે.

માંગશો જો, રોટલો, આપી દઈશ,
પણ તમારી થાળીમાં પકવાન છે.

– ભાવેશ ભટ્ટ

કેવી સરસ ગઝલ ! મત્લાનો શેર… વાહ ! ડગલે ને પગલે જિંદગીના તોફાનોની સામે ઝીંક ઝીલવા કરતાં તો કદાચ પયગંબર બનીને ક્રોસ પર લટકી રહેવું આજના જમાનામાં વધુ આસાન છે… અને ધીરજ, મૌન અને પ્રતીક્ષાનો મહિમા તો જુઓ.. કવિ કાયમ બધા જ જંગ જીતતા જાય છે… કારણ? તલવાર? ના… કવિના તો મ્યાનની ભીતર પણ કેવળ મ્યાન છે, તલવાર નહીં… સ્વભાવગત અહિંસા અને સહિષ્ણુતા માટે આનાથી વધુ ‘ધાર’દાર શેર બીજો કયો જડવાનો? બધા જ શેર એક-મેકથી ચડિયાતા છે પણ આખરી શેર જરા નિરાશા જન્માવી જાય એવો સપાટ છે..

“ભીતરનો શંખનાદ” લઈને આવેલા કવિનું બાઅ-અદબ બા-મુલાહિજા સ્વાગત છે…

Comments (17)

ગઝલ – ભાવેશ ભટ્ટ

ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !

રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.

આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?

– ભાવેશ ભટ્ટ

છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…

Comments (10)

ગઝલ – ભાવેશ ભટ્ટ

જો પડ્યા એકાંત ને વાંધા હવે,
કોઈ ખખડાવો ન દરવાજા હવે.

કેમ તું વરસાદથી ગભરાય છે ?
રંગ તારા થઈ ગયા પાકા હવે.

હું થયો ચહેરા વગરનો જ્યારથી,
ભીંતની સમજાય છે ભાષા હવે.

ચાલવાનું ક્યારનું છોડી દીધું,
છો ને જીવનમાં પડ્યા ખાડા હવે.

આ તરસ મારી સમજણી થઈ ગઈ,
તું લઈ લે વાદળો પાછાં હવે.

– ભાવેશ ભટ્ટ

ચહેરાપોથી પર… એટલે કે ફેસબુક પર આ ગઝલ ક્યાંક વાંચી અને ગમી ગઈ…  અને આ રહી, તમારા માટે.

Comments (13)

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.

ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી મોડી.

બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી જીભાજોડી.

ટુકડા શોધું અજવાળાનાં,
કોણે મારી સવાર તોડી ?

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

– ભાવેશ ભટ્ટ ‘મન’

ભાવેશ ભટ્ટનો આમ કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એની કવિતાઓમાં હંમેશા થોડી તાજગી અનુભવાતી હોવાથી જ્યારે પણ કોઈ સામયિકમાં એમની કવિતા નજરે ચડે ત્યારે એ વાંચી લેવાની ફરજ પડે છે. આ ગઝલ પણ ટૂંકી બહેરની છતાં મજાની છે. સાવ વાતચીતની ભાષામાં ફરતાં-ફરતાં ક્યારે કવિતાની અડફેટમાં આવી ચડાય એ પણ ખબર ન પડે એવી સાહજિક્તા અહીં આકર્ષે છે. (જો કે આખરી શેરમાં કાયમની માથાફોડી કઈ છે એ સ્પષ્ટ થતું લાગતું નથી એ થોડું ખટકે પણ છે).

Comments (2)

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

અંધારા પણ બાંધે માળો;
મારો સૂરજ કેવો કાળો.

જ્યારે આવો સ્વાગત કરશે,
મારા ઘરમાં છે કંટાળો.

લાખો આંસુ આવ્યાં ક્યાંથી?
બે આંખોનો છે સરવાળો!

સમય બતાવે સૌના ચહેરા,
ચારે બાજુ છે ઘડિયાળો.

પિંજરમાં જે રાખે તમને,
એવા ઈશ્વરને ના પાળો.

એકલતા તો બચકાં ભરશે,
જલદી-જલદી પાછી વાળો.

– ભાવેશ ભટ્ટ ‘મન’

ટૂંકી બહેરની સશક્ત ગઝલ. એક એક શેર સરસ થયો છે. દુ:ખમાં પરિણામેલા સંબંધની વાત કવિ કેવી સિફતથી કરે છે – લાખો આંસુ આવ્યાં ક્યાંથી? બે આંખોનો છે સરવાળો!

Comments (2)