ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રઈશ મનીયાર

રઈશ મનીયાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(અનુભવનું રોકડું નીકળ્યું) – રઈશ મનીઆર

આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું

– રઈશ મનીઆર

પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.

Comments (24)

(થાકની અસર તારી) – રઈશ મનીઆર

રસ્તો તારો, ન આ સફર તારી,
માત્ર છે થાકની અસર તારી.

દૃશ્યો તારાં છે એવું તેં માન્યું,
છે હકીકતમાં બસ નજર તારી.

આ સમય જે વહે છે, તારો નથી;
તું તો પામ્યો છે બસ ઉંમર તારી.

તું તો શાયર છે, તારું દર્દ અમાપ!
આહ નીકળે છે માપસર તારી.

તું સમંદર નથી, ભલેને નથી!
છે સમંદરમાં એક લહર તારી..

જાણું છું, તું પતંગિયું છે ‘રઈશ’,
કોઈ બેઠું છે પાંખ પર તારી.

– રઈશ મનીઆર

લાખ અવરોધ અને નાકચડામણાં છતાં ગઝલ ઝડપભેર તમામ કાવ્યપ્રકારોને અતિક્રમીને આગળ નીકળી ગઈ એનું એક કારણ તે ઓછામાં ઓછા શબ્દોમાં ઊંડામાં ઊંડી વાત કહી શકવાની એની ખાસિયત અને બીજું તે શીઘ્ર પ્રત્યાયનક્ષમતા. આ ગઝલ જુઓ. નાની બહેરમાં કવિએ કેવું ઉંચેરું ખેડાણ કરી બતાવ્યું છે! આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે, પણ આપણે કેવળ મત્લાની જ વાત કરીએ. નથી રસ્તો આપણે બનાવેલો, નથી મંઝિલ આપણું સર્જન. આપણે માનીએ છીએ કે આપણે સફર ખેડી રહ્યાં છીએ, પણ હકીકતમાં એ મુસાફરી પણ આપણા પૂર્ણાખ્ત્યારમાં નથી. થાકી જવાની એકમેવ ઘટના એ જ આપણું ખરું કર્તૃત્વ. આ રસ્તા અને સફરને સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને જન્મથી મરણ વચ્ચેની યાત્રા તરીકે પણ ગણી શકાય. ચંદ શબ્દોની ઈંટ લઈને બે મિસરાની દીવાલો ઊભી કરી કવિ શેરિયતનું મજાનું મકાન સર્જી બતાવે ત્યારે બે’ક ઘડી સફરનો થાક ભૂલીને રેનબસેરા કરવાનું મન ન થાય?!

Comments (17)

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

(ડૂબતી નૈયાને શણગારી હતી) – રઈશ મનીઆર

એ જ જહેમત ઉમ્રભર જારી હતી,
ડૂબતી નૈયાને શણગારી હતી.

જાત છો ને સાવ અલગારી હતી,
દિલમાં ભરચક એક અલમારી હતી.

જે છબી મનમાં અમે ધારી હતી,
એ તો બસ એની અદાકારી હતી.

ખાલીપો અંદરનો છૂપો રાખવા,
જામની ઉપર મીનાકારી હતી.

કૈંક વેળા ખુદને છાનો રાખવા,
મેં જ મારી પીઠ પસવારી હતી.

વેદના તો ભીંસ થઈ વળગી ગઈ,
રહી ખુશી અળગી, કે સન્નારી હતી!

યશના ભાગીદાર પણ હું ને પ્રભુ,
થઈ ફજેતી એય સહિયારી હતી.

કોઈ તૈયારી જ કરવાની ન’તી,
અંત માટે એવી તૈયારી હતી.

– રઈશ મનીઆર

ગઝલ કાવ્યપ્રકારની ખરી મજા એની હળવાશ છે. સૉનેટ, ખંડકાવ્યો વગેરે કાવ્યપ્રકારો બહુધા એવા તો ભારઝલ્લા બની જતાં હોય છે કે ક્યારેક તો ભાવકને પરસેવો પણ પડાવે. ગઝલની બીજી મજા બે પંક્તિના લાઘવમાં પૂરી થઈ જતી વાતની છે. ગીત, અછાંદસ જેવા કાવ્યપ્રકાર માણવા માટે આખા વાંચવા જરૂરી છે. આજે આખી દુનિયા ટેસ્ટમેચમાંથી ટ્વેન્ટી- ટ્વેન્ટીની પ્રકૃતિ ધરાવતી થઈ ગઈ હોવાથી લોકોનો એટેન્શન સ્પાન સાવ સંકોચાઈ ગયો છે. આવામાં બે પંક્તિમાં વાત પૂરી કરી દેતી ગઝલ સૌથી લોકપ્રિય કાવ્યપ્રકાર ન બને તો જ નવાઈ. જો કે શીરાની જેમ ગળે ઉતરી જતી સહજ સરળ ભાષા અને ગાગરમાં સાગર સમાવી રજૂ કરવાની ગઝલની આવડત સામે સૌથી મોટું ભયસ્થાન ભરતીના શેર અથવા તૂકબંધી છે. ગુજરાતી ભાષામાં હાલ કાર્યરત ગઝલકારોની સંખ્યા ગણવા બેસીએ તો આંકડો હજારને પાર કરી જાય તોય નવાઈ નહીં. ગઝલ અથવા ગઝલ કહીને માથે મરાતી અકવિતાનું ત્સુનામી આજે ચારે તરફ ફરી વળ્યું છે ત્યારે સારી રચના શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર થઈ પડ્યું છે.

પ્રસ્તુત રચના આવા સમયમાં દીવાદાંડીનું કામ કરે એવી છે. ગઝલ વિશે કંઈ વિશેષ કહેવા જેવું નથી. સાદ્યંત સુંદર રચના. એક-એક શેર પાણીદાર. અર્થગંભીરા ગઝલ… એને એમ જ મમળાવીએ…

Comments (11)

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન – રઈશ મનીઆર

આજથી બરાબર 15 વર્ષ પહેલા 17 મે 2006ના દિવસે આપણી ભાષાના લાડીલા કવિ એકમેવ રમેશ પારેખ આપણી વિચ્ચેથી વિદાય થયા. આજે એમની સ્મરણતિથિ છે.
રમેશ પારેખ મોટા ગીતકાર હતા, એ વાતના ઝળહળાટમાં એ મોટા ગઝલકાર પણ હતા, એ વાત વિસરી જવાય છે. એમણે 300થી વધુ ગઝલો લખી છે.
એમના થોડા શેરો પ્રસ્તુત છે. કંઈ બાકી હોય તો તમે ઉમેરી શકો છો..

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

આંખને મૂર્ખ કહો કે કહો અઠંગ તમે
એ જ દ્વિધાથી રહો છો હમેશા તંગ તમે

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં

સજા કબૂલ મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ આ ખુલ્લી કબર કબૂલ નથી.

ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું
કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

આ છળનો જે સર્જક કલાકાર છે
એ બંધુને મારા નમસ્કાર છે

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્નો નીરખવાના ગુન્હા કર્યા છે

શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે
ઉપરથી શહેરનું શુભ નામ શ્રી છબરડો છે.

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે
તમે ગયા છો તમારાથી ક્યાં જવાયું છે?

સાંકળ જો હોય બંધ તો ખોલીને નીકળું
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથથી છટકેલું કાચનું વાસણ

છે વાત એમ કે પગને જવું તુ કાશીએ
ને એને ચાલવા દીધા નહીં કપાસીએ

જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસો હતા

અમે ખુદ અમારાથી રિંસાતા ત્યારે રિંસાવાના પર્વો ઊજવતા હતા
અને ટપ્ દઇ માની જાતા તો ટપ્ ને ય ઊજવાય એવા ય દિવસો હતા

પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું
ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન

જે તરફ આપણી આસ્થા જાય છે
આ ચરણ એથી કાં ઊલટાં જાય છે?

સરળતાથી જીવવાને માટે અમે
જીવનભર મરણિયા પ્રયત્નો કર્યા.

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી
હું ઉંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી.

જતું જે અન્યના ઘર બાળવા એ ટોળામાં
હુંયે જોડાઉં એ પહેલા તું બીડી પાઇ દે સાકી

શમાની જેમ મે સળગાવી પાંચે આંગળીઓ
તો વાવાઝોડા સમો પ્રશ્ન કલાનો આવ્યો

છે બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય મેળામાં
તુ હો સાથ તો જલસો કરી શકાય

અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને
ચાહે જો તું તો આ ગુનો આખ્ખો કરી શકાય

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ
ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ

હૂડીની બોક્સમાં બ્રહ્માની ક્ષણ વીતાવું છું
તેં કહ્યું’તું કે, હું એકાદ ક્ષણમાં આવું છું….

વાગે જો એની ઠેસ તો લોહી જ નીકળે
છોને તમારા ઘરમાં હો સોનાનો ઊંબરો

પીવડાવવો છે જામ? લે, મારાથી કર શરૂ
તું આવ સ્હેજ આમ, લે, મારાથી કર શરૂ

માણસથી મોટું કોઇ નથી તીર્થ પ્રેમનું
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ

તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે?
લખવાં છે તારે નામ? લે, મારાથી કર શરૂ

રમેશ પારેખની નિર્દોષ ભવ્યતાને વંદન

– રઈશ મનીઆર

 

રઈશભાઈની સંમતિથી તેઓએ ર.પા.ની પુણ્લયતિથિ પર લખેલો લેખ અક્ષરશ: ભાવકો માટે પ્રસ્તુત 🙏🏻

Comments (6)

(મને મેં જીવતો રાખ્યો) – રઈશ મનીઆર

જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!
મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો

ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યો
પરાઈ છે ભલે મિલકત, મને મેં જીવતો રાખ્યો

બળદની જેમ અટકું તો સમય ભોંકાય છે પીઠે
ખમી એવી પરોણા-ગત, મને મેં જીવતો રાખ્યો

ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમી ગઈ એકબે બાબત, મને મેં જીવતો રાખ્યો

ઉપાડી લઈ મૂડી અસ્તિત્વની નીકળી શકાયું નહીં,
કે બાંધેલી હતી મુદ્દત, મને મેં જીવતો રાખ્યો

ઝુકાવ્યું શીશ જ્યાં-ત્યાં, પાઘડી આ ધૂળભેગી થઈ
પછી ર્‌હી નમ્ર, પણ ઉન્નત, મને મેં જીવતો રાખ્યો

‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત’, મને મેં જીવતો રાખ્યો

જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે,
ખુદાની હું ય એક સરજત, મને મેં જીવતો રાખ્યો

જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો

– રઈશ મનીઆર

મિત્રો,
કોરોનાના આ કપરાકાળમાં મિત્રોને જાણ્યા-અજાણ્યા માનવબંધુઓને અકાળે આપણી વચ્ચે સરકી જતાં જોઈને, એ ખાલીપા વચ્ચે જીવતા રહેવું, ખુદને જીવાડતાં રહેવું પણ કપરું છે, ‘મને મેં જીવતો રાખ્યો’ એમાં ‘જીવતા રહ્યા’નું અભિમાન નથી, જિજીવિષા જરાસરખી ખૂટી ગયાની વિવશતા છે. આપ સહુને સાંત્વના અને સંવેદનાઓ સાથે આ ગઝલ અર્પણ કરું છું.
– રઈશ મનીઆર

Comments (8)

હાસ્યમેવ જયતે : ૦૭ : પન્નીને પહતાય તો કે’ટો ની -રઈશ મનીઆર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

– ડો. રઇશ મનીયાર

થોડી હુરતી ને થોરી પારહી નઈં લાગ્તી આ હઝલ?

હાસ્ય-કવિતાઓની આખી સીરીઝ સર્જાતી હોય અને એમાં જો અમારા બડે ગુરુ રઈશભાઈની આ હઝલની હાજરી ના હોય, તો તો સાલી આખ્ખી સીરીઝ નક્કામી!!  એમ તો આ હઝલ એટલી પ્રખ્યાત થયેલી છે કે લગભગ બધાય ગુજરાતીઓએ ક્યારેક ને ક્યાંક તો એને માણી જ હશે… આઈ મીન… નક્કી હાંભળી જ અહે.  પન્નીને હાચેહાચ પહતાવાવારાઓ પન એને વાંચીને જરા-તરા તો મરક્યા જ અહે… હાચું કે નઈં?! 🙂

રઈશભાઈનાં કંઠે આ હઝલનું પઠન માણો.

મેહુલ સુરતીના સંગીત સાથે સત્યેન જગીવાલાના અવાજમાં માણો આ હઝલ, ટહુકો.કૉમ પર…

Comments (5)

જીવવાનું છે….-રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

મક્તા પર મુગ્ધ થયો….જો કે બધા જ શેર માતબર….

Comments (6)

અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઈ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઈ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

– જાવેદ અખ્તર – અનુ- ડૉ રઈશ મનીઆર

ख्वाब के गाँव में पले है हम
पानी चलनी में ले चले है हम

छाछ फुके कि अपने बचपन में
दूध से किस तरह जले है हम

खुद है अपने सफ़र कि दुश्वारी
अपने पैरो के आबले है हम

तू तो मत कह हमें बुरा दुनिया
तुने ढाला है और ढले है हम

क्यों है कब तक है किसकी खातिर है
बड़े संजीदा मसले है हम

– जावेद अख्तर

કયા શેરના વખાણ કરું અને કયો છોડું !!!! એકથી એક ચડે !!!

Comments (4)

(આરસ જોઈએ) – રઈશ મનીઆર

મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ

કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ

દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ

એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ

ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ

એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ

– રઈશ મનીઆર

કવિતાની ખરી કમાલ એ છે કે કવિ મરજીવો બનીને મહાસાગરના અતળ ઊંડાણ તાગીને અમૂલ્ય મોતી વીણી લાવીને કાંઠે ઊભેલા ભાવકના હાથમાં મૂકે છે અને દરિયામાં પગ ભીનો કર્યા વિના જ ભાવક મોતીનો લ્હાવો માણી શકે છે. જો કે આજકાલ જે પ્રકારની ગઝલો અને ગીતોનો ફાલ ફાટી નીકળ્યો છે, એમાં ખાલી છીપ વધારે છે અને મોતી તો ભાગ્યે જ જડે છે. રઈશભાઈની ગઝલો જો કે પ્રારંભથી જ મોતીનું તેજ ધરાવતી ગઝલો છે. જરાય અઘરી ભાષા વાપર્યા વિના સાવ સહજ રીતે બોલચાલની ભાષામાં જ એ અદભુત ગઝલો આપણને આપતા આવ્યા છે. આ ગઝલ જુઓ… એકેય શેર સમજાવવાની જરૂર નથી પણ એકેય શેર સમજ્યા વિના પડતો મૂકાય એવોય નથી…

Comments (3)

(ઉત્સવ કોઈ) – રઈશ મનીઆર

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?

પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ

ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ

રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?

છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ

બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ

જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!

પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ

– રઈશ મનીઆર

એક-એક શેર પાણીદાર… પાલવ, પગરવ, શૈશવ અને યાદવ તો શિરમોર…

Comments (7)

(ઇત્તેફાક છે) – રઈશ મનીઆર

પીડા વિના બધું જ મહજ ઇત્તેફાક છે,
આ નિત નવી ગઝલની ઉપજ ઇત્તેફાક છે.

હોવું તમારું એ જ સનાતન ગઝલ, પ્રિયે!
યોગાનુયોગ શબ્દ… તરજ ઇત્તેફાક છે.

કેવળ છે ભ્રમ આ રાત દિ’ના ક્રમ વિશે અહીં…
અંધકાર છે અનાદિ… સૂરજ ઇત્તેફાક છે.

તારા પ્રકાશનું જ રૂપાંતર કર્યું છે મેં;
ના દૃષ્ટિ વ્યર્થ છે, ન સમજ ઇત્તેફાક છે.

ત્યારેય ઊંઘતા હતા, આજેય ઊંઘીએ…
આઝાદી ઉન્નતિ અને ધ્વજ ઇત્તેફાક છે.

હું, તું મળ્યાં એ શહેર, સમાજો ને સભ્યતા…
હા, દર્દનાક તોય સહજ ઇત્તેફાક છે.

– રઈશ મનીઆર

કવિશ્રી રઈશ મનીઆરને જન્મદિવસ પર ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

કવિના પ્રથમ સંગ્રહ ‘કાફિયા નગર’માંથી એક ગઝલ આજે આપ સહુ માટે… ઇત્તેફાક જેવી રદીફ પણ કવિએ કેવી સાંગોપાંગ નિભાવી જાણી છે! બધા જ શેર ઉત્તમ… સરળ ભાસતા શબ્દોના તાણા-વાણાથી કવિએ બારીકીનું પોત કેવું બખૂબી વણ્યું છે!

અંધકાર અનાદિ છે અને સૂરજ ઇત્તેફાક છે એ શેર વાંચતા જ તાઓ વિશેના પ્રવચનમાં ઓશોએ કહેલું વાક્ય યાદ આવી જાય: ‘Darkness is eternal, Light is a disturbance’

Comments (6)

મંદ ખળખળ – રઈશ મનીઆર

ધરાનું કાવ્ય થયું વ્યક્ત એક કુંપળથી
ગગનની દાદ મળી એક બૂન્દ ઝાકળથી

નથી ફિકર કે ધકેલે છે સૂર્ય પાછળથી
મને આ તાપમાં પડછાયો દોરે આગળથી

સમંદરો તો ઘૂઘવવા છતાંય ત્યાં ના ત્યાં
નદી વધે છે લગાતાર મંદ ખળખળથી

તિમિરમાં દૃશ્યો કળાશે જરા સમય વીત્યે
પરંતુ અંધ બની જાય આંખ ઝળહળથી

હું બાગબાની વિશે એને શું બયાન આપું
જે ખુશ્બુ લઈ ન શકે ઝાંખા પીળા કાગળથી

અકાળ મૃત્યુને આંટી દે એવો દુઃખદાયક
જો ભરથરીને અનુભવ થયો અમરફળથી

 

– રઈશ મનીઆર

કલાસિક રચના…..લાક્ષણિક…..

 

 

Comments (2)

(કવિતા થતી રહી) – રઈશ મનીઆર

અજવાળું પણ થયું અને પીડા થતી રહી
છાતીના એક ખૂણે કવિતા થતી રહી

રસ્તા ઉપર ..મકાનોમાં.. હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી

માણસ ઉલેચતો જ રહ્યો અંધકારને
દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી

સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ
કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી

જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી

ભૂલી ગયો એ મારી કટુતા સમય જતાં,
ને એ પછી મને ઘણી પીડા થતી રહી

સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર..
શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી

– રઈશ મનીઆર

કવિતાની વ્યાખ્યા કરવું કયા કવિને નથી ગમ્યું? રઈશ મનીઆર પણ એમની વ્યાખ્યા લઈ આવ્યા છે. કવિતા લાગણીની ભાષા છે એટલે જ કવિતાનું ઉદભવસ્થાન મગજ નહીં પણ છાતી-હૃદય નિર્ધારાયું છે. કવિતા અસ્તિત્વને અજવાળે ખરી પણ કવિતા અસ્તિત્વ સમગ્ર નથી એટલે “કવિ એક ખૂણા”ની વાત કરે છે. આ સાથે જ કવિતા સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલી પીડા અને પીડામાંથી રેલાતા પ્રકાશના સાયુજ્યનો નિર્દેશ કરી કવિ કવિતાને વ્યાખ્યાયિત કરે છે… બાકીના શેરોમાંથી પણ કયા પર હાથ મૂકવો અને કયા પર નહીં એ વિમાસણ બની રહે છે.

Comments (8)

યાદગાર મુક્તકો : ૦૫ : રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

રઇશનું એક જ મુક્તક પસંદ કરવાનુ હોય તો પછી હું આ મુક્તક જ પસંદ કરું. આ મુક્તકની ધૃવપંક્તિ એ એની ત્રીજી પંક્તિ છે. ‘હાંફતા’ના આવર્તનો એક aural tension ઊભુ કરે છે અને મુક્તકને એની ધાર આપે છે. જીવનની સફરમાં હાંફવું બહુ જરૂરી ચીજ છે. શ્વાસ ફૂલી જાય, મોઢું લાલચોળ થઈ જાય ને આંખોમાં ટશર ફૂટવા પર આવે ત્યાં સુધી હાંફવું જરૂરી છે. હાંફવા વિના કશું હાંસિલ નથી. અને એક વાર હાંફવાની તૈયારી હોય તો પછી કશું અસંભવ નથી. જીવનની ઘણી અઘરી ક્ષણોએ આ મુકતકે છાંયો કરેલો એટલે આ મુક્તક એટલું વધારે પોતિકું લાગે છે. આડવાત: હું પોતે આ મુક્તક વાંચતી વખતે (કવિની માફી માંગીને) છેલ્લા “એક દિ'” ને બદલે ‘હાંફતા’નુ એક વધુ આવર્તન ઉમેરું છું. એ version મને વધુ અસરકારક લાગે છે.

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

રઇશ આમ તો કોમળતાનો કવિ છે. પણ કોઈક વાર આવી કડવી વાસ્તવિકતાને ધારદાર રીતે રજુ કરવાની આવડત પણ રાખે છે.

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

કવિએ બહુ અઘરી વાત બહુ સરળ ભાષામાં કરી છે. દુઃખના ભાર નીચે દબાવાની વાત તો હજીયે સમજી શકાય. પણ સુખના ભાર નીચે દબાયેલાની સ્થિતિ એનાથી પણ વધારે કફોડી હોય છે! (જોકે બીજી રીતે જુઓ તો કવિ ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની વાત કરતા હોય એવુ પણ શક્ય છે 🙂 🙂 )

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

હિન્દુ-મુસ્લિમની જ નહીં, પણ બધા રૂઢિગત ધર્મની પરંપરાઓને ઓળંગી જઈને એક નવા જ ગઝલ-ધર્મની બંદગી કરવાનું કવિનું કોમળ એલાન. આમીન!

Comments (7)

નહીં કરું… – રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હું ય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

– રઈશ મનીઆર

આમ સરળ લગતી ગઝલમાં પ્રત્યેક શેર તત્વ સુધી પહોંચવાની મથામણનો છે…..

Comments (8)

નડે – રઈશ મનીઆર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી ! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

– રઈશ મનીઆર

રઈશભાઈની પચાસમી વર્ષગાંઠ શુક્રવાર 19મીએ ગઈ. તેઓની નિરંતર શબ્દસાધનાને સલામ સાથે આ ગઝલ રજૂ કરી છે……

Comments (4)

સફર થાય છે – રઈશ મનીઆર

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે

નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે

લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે

– રઈશ મનીઆર

કવિશ્રી ઉદયન ઠક્કર આ ગઝલના મત્લા વિશે કહે છે: “પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃતિ સર્જે છે.કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.

આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.”

રઈશભાઈની આજે ૫૦મી વર્ષગાંઠ છે. જીવનની આ ગોલ્ડન જ્યુબિલી પર કવિશ્રીને ટીમ લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

 

Comments (10)

ઝુરાપા સિવાય – રઈશ મનીઆર

કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

બહુ ઉમંગ હતો જગમાં કૈંક કરવાનો,
જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય.

કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

– રઈશ મનીઆર

Comments (7)

ગઝલ – રઈશ મનીઆર

સહેજ અંતર જરૂર રહેવા દો
સુખને થોડુંક દૂર રહેવા દો

માણો અંગત અમાસનો વૈભવ
સાવ ઉછીનું નૂર રહેવા દો

જિંદગીનો જ ખોલી દો ઘૂંઘટ
શેખ! જન્નતની હૂર રહેવા દો

એમ અગ્નિપરીક્ષા પાર કરો
આગ પાસે કપૂર રહેવા દો

ગીત ગમતીલું ઝૂંટવે જો સમય
શબ્દ આપી દો, સૂર રહેવા દો

જો ને! ચોમેર કેવી ઝળહળ છે!
આયનો ચૂરચૂર રહેવા દો

આંખ, હૈયું, દિમાગ, હાથ ‘રઈશ’!
કૈંક તો બેકસૂર રહેવા દો

રઈશ મનીઆર

આખી જ ગઝલ મનનીય પણ મક્તાનો શેર તો લાજવાબ !

Comments (7)

ગઝલ – રઈશ મનીઆર

કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે
હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે

પહોંચી નથી હું શકતો અંદર.. બહુ નડે છે
આ આસપાસ સ્થાપ્યા ઇશ્વર બહુ નડે છે

વિસ્તરવું રોડને છે, તરુવર બહુ નડે છે
ઊગવું છે તૃણને પણ ડામર બહુ નડે છે

નૌકાને આમ જો કે પાણી વગર ન ચાલે
એમાં જ એ ડૂબે છે, સાગર બહુ નડે છે

સાથી બની બનીને જોડાય જે શરૂમાં
યાત્રામાં એ જ સઘળાં આખર બહુ નડે છે

બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે
જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે

થઈને સહુના અંતે તો એકલું જ લાગે
જ્યાં પ્રેમ જોઈએ ત્યાં આદર બહુ નડે છે

– રઈશ મનીઆર

પરંપરાના મિજાજને જાળવીને ઉઘડતી મજાની ગઝલ.

Comments (10)

જેટલી – રઈશ મનીઆર

સોગાત દુઃખની હોય છે દરિયા જેટલી;
આ આંખની કૃતજ્ઞતા તો ટીપાં જેટલી.

એવું નથી કે ભીંસ નથી રોવા જેટલી,
શક્તિ હથેળીઓમાં નથી લો’વા જેટલી.

સૂરજની સાથે જંગમાં હાર્યો નથી કદી,
જીતું છું રોજ ભોમ હું પડછાયા જેટલી.

જોયા ન કર કે સામે સમંદર અગાધ છે,
મિરાત તારી હોવી ઘટે નૌકા જેટલી.

આંખો મીંચીને બેઠા છીએ,સ્વપ્નરત નથી,
જોઈ લીધી છે દુનિયા અમે જોવા જેટલી.

આ મુઠ્ઠીભર સમજ જે મળી, એટલી ખુશી… !
ગમગીની….ભોળપણ સર્યું તે ખોવા જેટલી.

દાદા વિચારે, ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?
પણ ભીંત પર બચી છે જગા ફોટા જેટલી.

મનમાં હજુ છે લાલસા હા, અશ્વમેઘની,
પગને મળે જ્યાં માંડ જગા પગલાં જેટલી.

– રઈશ મનીઆર

Comments (12)

ગાંઠ – ગુલઝાર – અનુ.-રઈશ મનીઆર

દોસ્ત ! મને શીખવાડ કોઈ તરકીબ હે વણકર !

કોઈ વખત મેં જોયું છે કે તાણાં વણતાં
જો કોઈ દોરો તૂટે કે ખૂટે ત્યારે
બાંધી ફરીથી
છેડો કોઈ એમાં જોડી
આગળ વણવા લાગે તું
તારા આ તાણામાં તો પણ
ગાંઠ ન એકે ગૂંચ ન કોઈ દેખાતી.

મેં તો બસ એકવાર વણ્યું’તું એક જ સગપણ
કિન્તુ એની સઘળી ગાંઠો સ્પષ્ટપણે દેખાય, હે વણકર !

– – ગુલઝાર –  અનુ.-રઈશ મનીઆર

 
रहिमन धागा प्रेम का, मत तोरो चटकाय,
टूटे पे फिर ना जुरे, जुरे गाँठ परी जाय।

बिगरी बात बने नहीं, लाख करो किन कोय,
रहिमन फाटे दूध को, मथे न माखन होय।

Comments (11)

લાગે – રઈશ મનીઆર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીઆર

સરળ અને સચોટ વાણી…….

Comments (13)

ગઝલ – રઈશ મનીઆર

તમે આવી ગયા, તો રાત અંધારી હવે કેવી!
હવે દીવાનગી છે બસ, સમજદારી હવે કેવી!

ઈજા થઈ છે, વહ્યું લોહી, એ કાગળ પર ઉતરવાનું!
ફકત શાહીમાં બોળેલી કલમકારી હવે કેવી!

રઝળતી લાગશે, તો પણ તમારે રસ્તે રઝળે છે,
સલામત છે અમારી જાત, નોંધારી હવે કેવી!

ગમી જો જાય તમને તો આ મિલ્કત પણ તમારી છે
સભા વચ્ચે મૂકી દીધી, ગઝલ મારી હવે કેવી!

ગમે તે પળ તુ આવે તો, ભલે, હે મોત મેહબૂબા!
તરત ચાલી નીકળશું, કોઈ તૈયારી હવે કેવી!

કફન પર સાદગી શોભે, કફન કોરું જ રહેવા દો
જીવનભર બહુ કરી, આજે, મીનાકારી હવે કેવી!

– રઈશ મનીઆર

લયસ્તરો પર છેલ્લા ત્રણ દિવસથી ખીલેલ ‘રઈશ-વિશેષ’ના બિલિપત્રનું આ ત્રીજું પાંદડું… સભાની વચ્ચે મૂકીને લોકાર્પિત કરી દેવાયેલી આ ગઝલ વિશેષ ટિપ્પણીની મહોતાજ નથી…

Comments (5)

ગઝલ – રઈશ મનીઆર

સગપણ વગર, સંબંધના વિવરણ વગર મળી
સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.

લોકોની આંખમાં મને દેખાયો બસ, અભાવ…
મારી છબી, જુઓ, મને દર્પણ વગર મળી.

અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ
આ વેદના અપાર જે કારણ વગર મળી.

દુલ્હન મળે અપ્રિય પતિને, હા, જે રીતે…
આ જિંદગી મનેય સમર્પણ વગર મળી.

સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.

અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી.

– રઈશ મનીઆર

અભાવ અને પીડાની કેવી દર્દદાયક છબી ! આ ગઝલ છે કે વેદનાનો સાક્ષાત્કાર ! લોકોની આંખોમાં પ્રતિબિંબાતા અભાવમાં કવિ પોતાની જાતને જુએ છે એ લાગણી જ કેટલી પીડાદાયક છે !

બધા જ શેર તકલીફ-પીડા-દુઃખના નાનાવિધ આયામ રચી આપે છે… હા, એક શેર છે ખુશીનો… પણ એ શેર પણ ખરેખર ખુશીનો છે કે અહીં પણ હંમેશા મથામણોને અંતે જ મળતી ખુશીઓના ઉલ્લેખની પાછળ દર્દનો જ ગર્ભિત ઇશારો છે !?

Comments (4)

ગઝલ – રઈશ મનીઆર

દીવાલ પર રહે બદલાતા રોજ શણગારો
છતાં રહે છે સદા કાળો એનો પડછાયો

ભૂલી રહ્યો છે ટકોરાની ભાષા ધીમે ધીમે
ઉદાસ રાતે નગરમધ્યે એક દરવાજો

નદીને આગવી રીતે સહુ પિછાણે છે
પહાડ, ખીણ, તળેટી અને આ મેદાનો

વિશાળતા વિશે જો મ્હેલની હું પૂછું છું
મળે જવાબ : અહીં આટલા છે દરવાનો

કબર ઉપર જો કદી ઘાસ લીલું ઊગે છે
એ રીતે લાશના ફૂટી પડે છે અરમાનો

‘રઈશ’ માણસોની વાત ત્યારે પૂછે છે
પડે છે રાત, ને પડછાયા છોડે સથવારો

– રઈશ મનીઆર

ઉમદા ગઝલ… એક-એક શેર પાણીદાર… અન્ય ગઝલકારોની જેમ સ્થિર થઈ જવાના બદલે રઈશભાઈની ગઝલો ઉત્તરોઉત્તર ઊર્ધ્વગતિ કરતી અનુભવાય છે એ ગુજરાતી ભાષાનું પરમ સૌભાગ્ય છે…

Comments (8)

ગઝલ – રઈશ મનીઆર

પગના છાલા દોડવાની ‘ના’ જ કહેશે
પ્યાસ તો યે ઝાંઝવા પીવા જ કહેશે

કાંકરા અંગે બધા સહેલાણી જાણે
મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે

શું કદરની આશ ઉન્નત લોક પાસે!
વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે

બોર કેવા હોય છે, શબરીને પૂછો
રામને પૂછો તો એ મીઠા જ કહેશે

આ પગરખાંઓ દિવસની વાત જાણે
રાત વીતી કેમ ઓશીકાં જ કહેશે

શોરોગુલ જંપી જશે જૂઠાણાં લઈને
વાત સાચી તો સ્વરો ધીમા જ કહેશે

તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?
મંડળી મળશે ને ‘હા જી હા’ જ કહેશે

બેઘરોની પીઠને પૂછી તો જોજો
શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે

– રઈશ મનીઆર

ફરી એકવાર કયા શેર પર આંગળી મૂકવી એની વિમાસણ ઊભી કરે એવી ગઝલ… પણ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી રામ-શબરીના બોરની વાયકા જે રીતે સાવ નવા જ દૃષ્ટિકોણથી કવિએ રજૂ કરી છે એ કાબિલે-દાદ છે.

રદીફમાં આવતા ‘જ’ને બખૂબી નિભાવવાની કવિની કરામત ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે…

Comments (10)

સવા-શેર : ૩ : વાતાવરણને જીવતું રાખે – રઈશ મનીઆર

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર

કહેવાય છે કે સમય ખૂબ જ બળવાન હોય છે અને એ જ હૃદય-મનનાં બધા દુ:ખોની દવા છે, જે ઘણીવાર સાચું હોય છે. પરંતુ વ્યથાના વાદળો જ જ્યારે દર્દનાં વાતાવરણને ચિરજીવંત રાખતા હોય ત્યારે એ ચોક્કસ ખોટું પુરવાર થાય છે. મતલબ કે સમયનાં સૂર્યનું કાયમ ચાલતું નથી હોતું. દર્દભીની ધરતી પર જ ક્યારેક સર્જકતાનાં ફૂલ ખીલી ઊઠતા હોય છે. અહીં ઘાયલસાહેબનો શેર યાદ આવે છે, "સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે, ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઇ જાયે છે."

– ઊર્મિ

એક અદભુત શબ્દચિત્ર… ઉનાળામાં ધરા સકળ બાળી મૂકવા પર ઉતારુ થયેલા સૂર્યને ઢાંકી દઈને હાશ વરસાવતા વાદળોને રૂપક તરીકે વાપરી કવિ સમયની નિર્મમતા અને વ્યથાની સહૃદયતાને juxtapose કરી આપે છે. કાળથી વધુ વિકરાળ બીજું કોણ હોઈ શકે? મહાભારત યાદ આવી જાય: समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वोही बाण ।

– વિવેક

 

કવિ નથી ઈચ્છતા કે કેટલાક ઘા રૂઝાય.. કેટલાક વ્રણ આપણને સતત એ અનુભૂતિ કરાવતા રહે છે કે આપણે જીવંત છીએ … આપણી સર્જકતાને ઉત્તેજિત કરતા રહે છે આવા વ્રણ- વિશ્વના સર્વોત્તમ સર્જન દર્દની પરાકાષ્ઠાએ જ થયા છે…. મરીઝસાહેબ પણ માગે છે – ‘દે એક મહાન દર્દ અને પારાવાર દે’. વળી, વાદળો કાયમી નથી હોતા. વરસી જાય છે,પવન સાથે ખેંચાઈ જાય છે..

આ જરાક complex અભિવ્યક્તિનો શેર છે – કોઈ કદાચ એમ દલીલ કરે કે કવિ દર્દ પરત્વે pathological attraction ધરાવે છે, પરંતુ આ શેરમાં અભિવ્યક્તિની સુંદરતા એક સરળ વક્રોક્તિને લીધે ખીલે છે ….જેમ કે ગાલિબનો શેર –

કોઈ મેરે દિલ સે પૂછે,તેરે તીર-એ-નીમકશ કો,
વો ખલિશ કહાં સે હોતી,ગર જીગર કે પાર હોતા !

(મારા દિલની વેદના તારા અર્ધખેંચાયેલા તીરને આભારી છે. જો તારું તીર જીગરની આરપાર ચાલ્યું ગયું હોતે તો ના જાન રહેતે, ના દર્દ.)

એક તલત મેહમૂદનું ગીત યાદ આવી જાય છે- હૈ સબ સે મધુર વોહ ગીત જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ …..

– તીર્થેશ

 

વ્યથા ને લીધે જ જગતની કથા ચલતી રહે છે. એક વિશાદ ઘૂંટાય તો તેમા આખા રામાયણની રચના કરવાની તાકાત હોય છે. દર્દની ભીનાશ જ ફળદ્રુપ બનાવે છે.

– ધવલ 

Comments (2)

સમસ્યા કશી નથી – રઈશ મનીઆર

આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં પડ્યાં છે દ્વાર સમસ્યા કશી નથી.

કાણા છે હાથ મારા, કરી દે ક્ષમા મને,
બાકી હે આપનાર સમસ્યા કશી નથી.

પથ્થર સમો આ ચહેરો જરા ઘાટ પામશે,
આંસુ છે ધારદાર સમસ્યા કશી નથી.

આશા છે એકની અને આદત બીજાની છે,
હા હોય કે નકાર સમસ્યા કશી નથી.

ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે,
યજમાન છે ફરાર સમસ્યા કશી નથી.

ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર,
બાકી બચી સવાર સમસ્યા કશી નથી.

વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો,
આશા છે તારતાર સમસ્યા કશી નથી.

મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો,
ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી.

-રઈશ મનીઆર

Comments (11)

ગઝલ – રઈશ મનીઆર

પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.

પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.

રાહ જોતું હોય છે પહેલું કિરણ,
ખોલતાં બારી શુકન થઈ જાય છે.

ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.

ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.

-રઈશ મનીઆર

આજે ઓગણીસમી તારીખે કવિ શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસે ટીમ-લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ! शतम् जीवम् शरदः ।

ખુલતી શક્યતાઓની એક પોઝિટિવ ગઝલ… સામાન્યરીતે કવિતાને ઘેરો રંગ જ વધુ માફક આવતો હોય છે એટલે આવી વિધાયક મૂલ્ય ધરાવતી રચના હાથ લાગે ત્યારે બત્રીસે કોઠે દીવા થઈ જતા અનુભવાય…

Comments (14)

ઉપરછલ્લા છે – રઇશ મનીઆર

દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે

વાંસ તૂટ્યો કોઈ મારી જ ભીતર ખૂંપી ગયો
શું કરું ? બ્હારના આધાર ઉપરછલ્લા છે

એકબીજાથી રહી ગઈ અપરિચિતતા અમાપ
માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે

ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે

જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ,કલાકાર ઉપરછલ્લા છે

મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે

– રઇશ મનીઆર

Comments (10)

ગઝલ – રઇશ મનીઆર

સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે

જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે

મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ
આવતી ને જતી પળ અદાકાર છે

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખનો આકાર છે, દુઃખ નિરાકાર છે

કૈંક કરપીણ ઘટનાઓ જીરવી લીધી
એમ જીરવી કે જાણે સમાચાર છે

એક સફેદી કફન જેવી જીવતરમાં છે
સાદગી એ જ છે, એ જ શણગાર છે

– રઇશ મનીઆર

Comments (15)

મુક્તક – રઈશ મનીઆર

આપે  છે  દિલાસા અને  રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;
આંસુઓ    ટકાવે   છે  મને   ભેજ  બનીને,
એ  જીવતા માણસને સળગવા નથી દેતા.

– રઈશ મનીઆર

દુ:ખ, દિલાસો અને દોસ્તો – એ ત્રિકોણની બાજુઓનું બરાબ્બર માપસરનું સંમિશ્રણ કોઈને કદી મળ્યું છે ખરું?

Comments (6)

ગઝલ – રઇશ મનીઆર

જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે

વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે

આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?

શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે

સમૃદ્ધ સૌ નશામાં, ને શેષ દુર્દશામાં
બસ, બીજા જૂથમાંથી પહેલા તરફ ગતિ છે

મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છે

-રઇશ મનીઆર

Comments (21)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ- રઇશ મનીઆર

છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
રહેવા દે દર્દ દર્દને , ભળતી દવા ન દે

પાણી જે માંગે એને કશું પણ ભલે ન આપ
પાણી જે માંગે એને કદી ઝાંઝવા ન દે

ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે

કોશિશ ન કર કે ક્ષણક્ષણ ઉપર તારી હો અસર
તું પણ ક્ષણોને ખુદ પર અસર છોડવા ન દે

Comments (11)

(અધૂરી છે) ગઝલ – રઈશ મનીઆર

જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘

સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે                 [ * સ્મરણ : મરીઝ ]

 

ગઈકાલે જ હજી જેનું વિમોચન થયું તે રઈશભાઈના નવાંનક્કોર ગરમ ભજીયા જેવા ગઝલસંગ્રહ – ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – માંથી લીધેલી એક ઉત્કૃષ્ટ રચના….પહેલો શેર અમર થવા સર્જાયો છે……

Comments (17)

ગઝલ – રઈશ મનીઆર

raeesh maniar title

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

 – રઈશ મનીઆર

આપણાં સૌના ચહીતા રઈશભાઈના ત્રીજા ગઝલસંગ્રહ- ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – નું વિમોચન આજે રાત્રે થશે. નિખાલસ અને પ્રામાણિક વાણીથી તેમણે સદા ગઝલને શોભાવી છે. તેઓ કહે છે – ‘ મેં ગઝલને રચી, ગઝલે મને રચ્યો…’. ટીમ-‘લયસ્તરો’ તરફથી રઈશભાઈને અઢળક શુભેચ્છાઓ…..

પ્રસ્તુત ગઝલ તેઓના આ નવપ્રકાશિત સંગ્રહમાંથી લીધી છે. બીજો અને ત્રીજો શેર તેમની સર્જકતાનો વ્યાપ દર્શાવે છે.

Comments (17)

રણ વિશે ગઝલ – રઈશ મનીઆર

P5166014
(લયસ્તરો   ટીમ   તરફથી   કવિ   શ્રી   રઈશ   મનીઆરને
આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ)

*

રણ હવે ઘરથી શરૂ થઈ જાય છે,
રણ પછી ઘરમાં જ પૂરું થાય છે.

એક જગ્યાથી બીજે ઠલવાય છે…
રણ કદી ક્યાં કોઈથી સરજાય છે ?

રણ વિશેની આ સમજ બસ છે મને
રણ કદી ક્યાં કોઈને સમજાય છે ?

ને પુરાતન કાળના સૌ સાગરો
આખરે તો રણ બની સચવાય છે.

રણના નામે મુઠ્ઠીભર બસ રેત પણ…
રેત-શીશીમાં ગજબ ફૂંકાય છે.

ને તમે સાધો નિકટતા એ પછી
રણ સ્વયમ્ રણદ્વીપ પર લઈ જાય છે.

આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !

– રઈશ મનીઆર

રણ વિશેની એક મજાની મુસલસલ ગઝલ આજે કવિના જન્મદિવસે માણીએ…

 

Comments (16)

મુગટ – રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

– રઈશ મનીઆર

Comments (13)

ગઝલ – રઈશ મનીઆર

ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.

ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.

વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.

સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.

જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

– રઈશ મનીઆર

Comments (25)

ગઝલ – રઈશ મનીઆર

કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ

જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ

પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ

બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ

હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ ?

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ

ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ

– રઈશ મનીઆર

સીધી ને સરળ હૃદયસ્પર્શી ગઝલ….’પરપોટા જેવી….’-શેર સૌથી ચોટદાર લાગ્યો. અંગત રીતે મને ચોથો શેર બહુ મજબૂત ન લાગ્યો. એ સિવાય તમામ શેર ધ્યાનાકર્ષક છે.

Comments (19)

મુક્તક -રઈશ મનીઆર

યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

-રઈશ મનીઆર

Comments (23)

અંગત અંગત : ૧૦ : વાચકોની કલમે – ૦૬

અમારી માંગણીને માન આપીને રઈશભાઈ લયસ્તરોની આ યાત્રામાં જોડાયા એ અમારે મન મોટો પુરસ્કાર છે…

*

દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઈને નિહાળતો જા

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઈને નિહાળતો જા

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા

– રઈશ મનીઆર

હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.

કવિ રઈશ મનીઆરની આ રચના માનવ રઈશ મનીઆરને કેટકેટલા લાભ કરાવે છે! એના જીવનમાં કુતૂહલ વિરમે છે, બાળસહજ પ્રશ્નો વિરમે છે, વિચારબાહુલ્ય અને વિકલ્પોની નિરર્થકતા સમજાય છે, ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે, દરેક વસ્તુનો પ્રતિભાવ આપવા કે સેવવાની મજબૂરીમાંથી છૂટકારો મળે છે.

આજની તારીખે આ કવિતાના ભાવ પર મારું સંપૂર્ણ અવલંબન નથી. જીવન શાંતિપૂર્વક અને રસપૂર્વક જીવવા માટેના અન્ય આધારો કવિતામાંથી અને કવિતાઈતર જગતમાંથી શોધી કાઢ્યા છે. પણ નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે.

મારી કવિતાઓ સામાન્યરીતે મને લાંબો સમય સુધી ગમતી નથી. લખ્યાને સાત વર્ષ થયા, તો ય આજે પણ આ ‘લગાલગાગા’ના ચાર આવર્તનો પર ડોલવાનું મને હજુ ગમે છે.

Comments (15)

ખામોશી – રઈશ મનીઆર

જિંદગીભર વણી છે ખામોશી,
એક ચાદર બની છે ખામોશી.

કાનમાં તેં કહી છે ખામોશી,
એ જ કાયમ રહી છે ખામોશી.

દ્વાર પર મેં પ્રથમ ટકોરા કર્યા,
ને પછી સેરવી છે ખામોશી.

બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.

આપલે થઇ શકે છે વાણીની,
આપણી આપણી છે ખામોશી.

શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
એ તો બસ છટપટી છે ખામોશી.

સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
ને પછી જાળવી છે ખામોશી.

– રઈશ મનીઆર

આ ગઝલ વિષે કવિના પોતાના ઉદગારો- “આ ગઝલ હું મુશાયરાઓમાં નથી સંભળાવતો. આ મારી પ્રિય ગઝલોમાંથી એક છે. એક જ ગઝલના અલગ અલગ શેરોનું ભાવવિશ્વ અલગ અલગ હોય છે. ગઝલોમાં એકસૂત્રતાનો ,સાતત્યનો અભાવ હોય છે. આ ગઝલસ્વરૂપની મર્યાદા છે. અન્ય કલાકારોની માફક મારી ગઝલો પણ આ મર્યાદાથી ગ્રસ્ત હોય છે. પરંતુ આ ગઝલ ‘ખામોશી’ આ મર્યાદાથી મુક્ત છે. ‘ખામોશી’ રદીફ આ ગઝલને એક તાંતણે બાંધે છે,એક સળંગ ભાવવિશ્વ ખડું કરે છે. ……અહી મૌન દ્વારા,ખામોશી દ્વારા ઉદાસીના ગૌરવપૂર્ણ સ્વીકારની વાત છે. ….ખામોશીની અનેક ભાવછટાઓ અનાયાસે ગઝલમાં ઊતરી આવી છે.”

Comments (21)

મુક્તક -રઈશ મનીઆર

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

-રઈશ મનીઆર

Comments (21)

વિરહ – જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)

કોઈ શેર કહું
કે દુનિયાની કોઈ બાબત પર
એક લેખ વાંચી લઉં
કે વાત અનોખી સાંભળી લઉં
એ વાત
જે થોડી રમૂજી હો
એ વાક્ય
જે ખૂબ મઝાનું હો
હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
કે ક્યાંક મળે
કોઈ દ્રશ્ય
જે ચોંકાવી દે
કોઈ પળ
જે દિલને સ્પર્શી લે
હું મારા મનના ખૂણામાં
આ સઘળું સાચવી રાખું છું
ને  એમ વિચારું
જ્યારે તું મળશે
તો તને એ સંભળાવીશ

–  જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)

વિરહની પળેપળથી ગૂંથું પ્રિયજન મારે હાર.

Comments (15)

ગરબડ ન કર -રઈશ મનીઆર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

આજે આપણે થોડા હળવા થઈ જઈએ… (હસીને, diet કરીને નહીં!)  🙂

Comments (32)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)