જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.
આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર
– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રઈશ મનીયાર

રઈશ મનીયાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




માંગી શક્યા નહીં… – રઈશ મનીઆર

હું, તું… હતા ને સામે તો સેના ઊભી હતી.
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
તારો જ રથ હતો અને આ આંગળી હતી…

– રઈશ મનીઆર

Comments (14)

મુક્તકો – રઈશ મનીઆર

થોડું ઝળહળ બની આવશે;
શેષ કાજળ બની આવશે.
તું ખીલે જો પ્રથમ ફૂલવત્
શબ્દ ઝાકળ બની આવશે.

*

આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
ને પછી તું સમસમીને ક્યાં જશે ?
એક ખૂણો હાંફવાનો રાખજે…
આમ બધ્ધે આથડીને ક્યાં જશે ?

*

અચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.

– રઈશ મનીઆર

Comments (8)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

એક વરસાદી ગઝલ – રઈશ મનીઆર

જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

એ નથી વંટોળ, એ ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

– રઈશ મનીઆર

વરસાદમાં મન, અંતર અને આત્મા બધુ પલળે – અને પીગળે છે. અને એ ઓગળવાની ક્ષણની સાહેદીએ જ આવી ગઝલ રચાવી શક્ય છે.  કલ્પનોની રેલમછેલથી શોભતી આ ગઝલ વરસાદના અવાજની સાથે કવિના romantic affair જેવી છે.  હવે પછી જ્યારે જ્યારે વરસાદ પડવાનો અવાજ સાંભળો ત્યારે આ ગઝલ ન યાદ આવે તો પૈસા પાછા 🙂

Comments (16)

મુક્તક -રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

-રઈશ મનીઆર

નવલા વર્ષે ગાંઠે બાંધી રાખવા જેવી વધુ એક મજાની ચેતવણી… 🙂 રઈશભાઈ તરફથી.

Comments (13)

(કેટલી સાંજો તૂટે) – રઈશ મનીઆર

સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે

રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે

ચાલ એવી કોઈ સરહદમાં પ્રવેશી જઈએ
જ્યાં પ્રકાશો ન તૂટે, જ્યાં ન અવાજો તૂટે

હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.

શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે

એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ?

– રઈશ મનીઆર

આજે ઓગણીસમી ઓગસ્ટે કવિ રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

કવિ તૂટવાની વાત લઈને આવ્યા છે પણ એ બહાને અનુસંધાન તો જોડાવા માટેનું કે અક્ષતનું જ સાધે છે. ગમે તે તૂટે, માણસ તૂટવો ન જોઈએ. પીડા અને કવિતાનો સંબંધ ચોલી-દામનનો છે એ વાત ભલે કવિતા જન્મી એ ઘડીથી કવિઓ ગાતા આવ્યા છે પણ આ ગઝલના છેલ્લા બે શેરમાં એ જ ચર્વિતચર્વણ વાત કેવી તાજગીભરી લાગે છે ! લોહીમાં દુઃખના જહાજો તૂટે તો જ શબ્દના લાકડા તણાઈ આવી શકે છે. અને ગઝલનો મક્તા તો વેદના અને કવિતાના પરાપૂર્વના સંબંધના શિલાલેખ જેવો છે… માણસ કેટલીવાર તૂટે ? કેટલી સાંજો વેદનાસિક્ત ગાળી શકે ? કેટલા શેર લખી શકે ? કેટલા ?

Comments (20)

ઝાકળ થયા પછી – રઈશ મનીઆર

ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.

એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.

મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.

વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.

વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

– રઈશ મનીઆર

ધીમે ધીમે વાંચીએ તો પહેલી નજરે જ ગમી જતી આ ગઝલ ના બહુઆયામી અર્થ માનસપટ પર વધુ ને વધુ ઉપસતા જાય છે. ગઝલના ગામમાં જવું હોય તો વાદળ જેવી હળવાશ કાંખમાં લઈને જવું પડે અને તૈયારી હોવી જોઈએ સમૂચા વરસી જવાની, નિચોવાઈ જવાની… અને વાત મંઝિલની હોય, પ્રિયતમાની હોય કે ઈશ્વરની હોય, ઉતાવળ ક્યાંય કામ લાગતી નથી અને આપણું દુર્ભાગ્ય તો એ છે કે આ હકીકત ભૂલ કરી દીધા પહેલાં બહુધા સમજાતી પણ નથી… આમતો બધા જ શેર પરંપરાની કેડી પર આધુનિક્તાના ખીલેલા પુષ્પ જેવા છે અને વિજ્ઞાનથી આદરીને જ્ઞાનની વાત કરે છે પણ છેલ્લા બે શેર આપણી ભાષાના ચિરંજીવ શેર થયા છે.

Comments (15)

આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે – રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર (જન્મ: ૧૯-૮-૧૯૬૬)

સ્વર: શૌનક પંડ્યા 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Shaunak Pandya.mp3]

સ્વર: ધ્વનિત જોષી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Dhwanit Joshi.mp3]

રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે….

‘લયસ્તરો’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા દસ દિવસોમાં અમે ત્રણ મિત્રો -ધવલ, હું અને અમારી ખાસ મહેમાન મોના- એ રજૂ કરેલ આ એકવીસ યાદગાર ગઝલોના રસથાળમાં આપણી ભાષાના સેંકડો મોતીઓ હજી ખૂટે છે. અમારી સિમિત સમજણાનુસાર અમે આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે… કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે – જે તદ્દન સ્વાભાવિક છે.  આખરે તો આ યાદી અમારા અંગત અભિપ્રાય સિવાય બીજુ કાંઈ નથી.

વાચકોની જેમ અમને પણ એમ લાગે જ છે કે આ યાદીમાં હજી ઘણા વધારે ગઝલો અને ગઝલકારો હોવા જોઈએ. ખાસ કરીને નવા યુગનાં, સક્રિય એવા ઘણા ગઝલકારોને આ સાવ ટૂંકી યાદીમાં સમાવી શકાયા નથી. અમારો ઉદ્દેશ વાચકોને ગુજરાતી ગઝલના ઈતિહાસની સફર કરાવવાનો પણ હતો એટલે અમે વિતેલા યુગની પ્રતિનિધિ ગઝલોને ચૂકી ન જવાય એનો ખ્યાલ જરા વધારે રાખી સમયની રેખાને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો.  પરંતુ આ તો થોડી યાદગાર ગઝલોને ફરી એકવાર યાદ કરીને વર્ષગાંઠની ઉજવણી કરવાનો એક પ્રયોગ માત્ર હતો…  આ પ્રયોગને તો અમે અહીં સમેટી લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આ યાદીનો ભાગ બે કરવાનો વિચાર અમારા મનમાં ચાલી જ રહ્યો છે. એટલે કે યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં અટકતી નથી માત્ર પોરો ખાય છે…

આપના અભિપ્રાયોની પ્રતીક્ષા રહેશે.

Comments (12)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલ – રઈશ મનીઆર

મને હૃદય ન ચલાવે, ન મન ચલાવે છે
તમારી આંખનું નમણું ઇજન ચલાવે છે.

સ્વથી અલિપ્ત, ચરણહીન થઇને બેસું તો
ઉઠાવી પાંપણે મુજને સ્વજન ચલાવે છે.

સફળતા અંત છે, રસ્તાની વચ્ચે ક્યાંથી મળે
લગન જ્યાં મંદ પડે, ત્યાં શુકન ચલાવે છે.

દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.

એ બાહુઓના ભરોસે જગતનું ભાવિ છે
જે ગેમ બોય ઉપર ટોયગન ચલાવે છે.

ગતિ બધાંએ વખાણી, દિશા ન ખુદને ખબર
ખરેલા પર્ણને જાણે પવન ચલાવે છે.

ભવન આ મનનું , હજારો અસભ્ય લાલસાઓ
સભાપતિ કઇ રીતે સદન ચલાવે છે!

છું ધન્ય ધન્ય જ્વલનશીલ જાત પામીને,
કૃપા છે એની યુગોથી હવન ચલાવે છે.

જગત ચલાવવાની વાત પડતી મૂક તું મન!
મળ્યા છે શ્વાસ ગણેલા, જે તન ચલાવે છે.

રદીફ સ્થાને હું બેસું, તો કાફિયા ખેંચે
અરુઝ મારે છે ધક્કો, કવન ચલાવે છે.

‘રઇશ’ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે?
ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે.

-રઈશ મનીઆર

આજે ઓગણીસમી ઓગસ્ટે કવિમિત્ર રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ અને એમની એક દીર્ઘ ગઝલ વાચકમિત્રો માટે….

Comments (16)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

raeesh maniar 
(એક તરોતાજા અક્ષુણ્ણ ગઝલ…   …રઈશ મનીઆરના સ્વહસ્તે ખાસ લયસ્તરોના વાચકો માટે)

આ અનુનય વિનય શું સતત શબ્દમાં
મારે કહેવું હતું કંઈ સખત શબ્દમાં

રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં
મારે નામે થઈ એક છત શબ્દમાં 

જીવતાં જાગતાં આંખ મીંચી દીધી
ને પછી ઊઘડ્યું એક જગત શબ્દમાં

જાવ રમવું નથી કહી કલમ કર ગ્રહી
ને પછી માંડી કેવી રમત શબ્દમાં

આવે એક લખલખું, થાય એને લખું
વીજની કેમ લઉં હસ્તપ્રત શબ્દમાં

માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં

-ડૉ. રઈશ મનીઆર 

“શબ્દ” કવિનું ઓજાર… પથ્થર પણ એ જ અને શિલ્પ પણ એ જ. જેમ માણસ જન્મ્યો ત્યારથી હોવાપણાંનો તાગ મેળવવા મથતો આવ્યો છે એજ રીતે કવિતાનો પહેલો શબ્દ લખાયો ત્યારથી કવિ શબ્દનો પાર પામવા સતત મથતો રહ્યો છે. રઈશભાઈની આ ગઝલ પણ આ મથામણની જ ઉપજ છે. આમ તો આખી ગઝલ તરફ વાંચતા જ પક્ષપાત થઈ જાય એમ છે પણ એમણે જે ઘડીએ આ ગઝલ સંભળાવી ત્યારથી મારું ધ્યાન તો આખરી શેર પર જ રહી રહીને જયા કરે છે…  

Comments (17)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગઝલ – રઈશ મનીઆર

ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.

ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

– રઈશ મનીઆર

રઈશભાઈ આજકાલ અમેરિકાને રસતરબોળ કરી રહ્યા છે ત્યારે ‘લયસ્તરો’ બાકી રહી જાય તો કેમ ચાલે? એક મજાની ગઝલ એમના ગણતરીના દિવસોમાં વતન પરત આવવાની તૈયારીની ખુશીમાં…

Comments (13)

કવિ રઈશ મનીઆરના અમેરિકામાં કાર્યક્રમો

સુરતના કવિ રઈશ મનીઆર આજકાલ અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. એમના કાર્યક્રમો આજથી શરૂ થઈ રહ્યા છે. એમના કાર્યક્રમની રૂપરેખા અને સંપર્કની માહિતી આ સાથે છે.

  • હ્યુસ્ટન -15, 16 સપ્ટેમ્બર. દીપ માલી: (832) 265-2026
  • ફિલાડેલ્ફીયા-21 સપ્ટેમ્બર. કિશોર દેસાઇ: (215) 272 0152
  • ડેટ્રોઇટ-22 સપ્ટેમ્બર. ચન્દ્રેશ ઠાકોર : (248) 344-7895
  • ન્યુ જર્સીમાં એક કાર્યક્રમ 6 ઓક્ટોબરે યોજાવાની શક્યતા છે. સંપર્ક: શ્રી આદિલ મંસૂરી (201) 868-6991
  • આ ઉપરાંત કાર્યક્રમો બોસ્ટન અને એટલાંટામાં યોજાવાની શક્યતા છે. એટલાંટા કાર્યક્ર્મ માટે તમે મારો -ધવલ શાહ (mgalib@hotmail.com) – સંપર્ક કરી શકો છો. તારીખ / સ્થળ નક્કી થયે હું અહીં વધુ માહિતી મૂકીશ.

રઈશભાઈનું ઈ-મેલ એડ્રેસ amiraeesh@yahoo.com છે.

Comments

ગઝલ – રઈશ મનીઆર

(રઈશ મનીઆરે ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપેલ તરોતાજા ગઝલ)

હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.

આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.

ઉપર આકાશ કાયમ સ્થિર વ્યાપેલું ન દેખાયું
જનમભર આ ભટકતા વાદળે બસ દોડતો રાખ્યો.

મળ્યા જે એક સ્થળ પર લોક, બીજે ચીંધવા લાગ્યા
ને બીજેથી વળી ત્રીજા સ્થળે બસ દોડતો રાખ્યો.

ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.

જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.

હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો

સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.

-રઈશ મનીઆર

માણસની જાતને સ્થિરતા નસીબમાં નથી. જીવન અને જીવનની ઘટમાળ એને સતત દોડતો રાખે છે. રઈશભાઈની ગઝલ આ જ વાત લઈને આવી છે પણ જે મજા છે એ એમના અંદાજ-એ-બયાંમાં છે. ખાસ લયસ્તરો માટે જ્યારે આ ગઝલ એમણે પ્રેમપૂર્વક સ્વહસ્તે લખી આપી હતી ત્યારે એ સાવ તાજી અને અપ્રગટ હતી, પણ અહીં એને હું મૂકી શકું તે પહેલાં એ “કવિતા”માં પ્રગટ થઈ ચૂકી છે.

Comments (5)

ગઝલ- રઈશ મનીઆર


(રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ ગઝલ)

જાણી ગયો છું આજ કશું જાણતો નથી
શું દર્દ ? શું ઈલાજ ? કશું જાણતો નથી.

સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.

વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.

આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.

મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.

મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.

મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.

મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.

-રઈશ મનીઆર

કશું જાણતો નથી કહીને ઘણી બધી વાત અહીં કહેવાઈ રહી છે. ગઝલના મત્લામાં રઈશભાઈનો તબીબી વ્યવસાય કવિતાની કળામાં ઓગળતો દેખાય છે. જ્યારે કોઈ અગમ્ય બિમારી સામે તબીબ પોતાના હાથ હેઠા પડતા અનુભવે છે ત્યારે કોઈ ગેબી તાકાત સામે આ લાચારી જરૂર અનુભવાય છે. આખી ગઝલ અદભુત છે પણ હું રહી-રહીને ગઝલના આખરી શે’ર સામે પાછો ફરું છું. સ્વરાજ તમે કોને કહેશો? લાલા લજપતરાય, ભગતસિંહ અને ગાંધીએ જેના બી વાવ્યા હતા એ સ્વરાજની ભાવના આઝાદીના સાંઠ વર્ષ બાદ જુઓ તો, ક્યાં આવી પહોંચી છે ! દેશની આઝાદીથી લઈને અદના આદમી સુધી સમાન હક જેવા વિશાળ ફલક પર રચાયેલી સ્વરાજની વ્યાખ્યાઓ આજે કેટલી સીમિત બનીને રહી ગઈ છે એ વાત અહીં આબાદ દર્શાવાઈ છે. આજે મનુષ્યની આઝાદીના સીમાડાઓ એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે મનુષ્યને પોતાને પોતાની જાત વિશે પોતાની જાત તરફથી કોઈ ફરિયાદ ન રહે એ પણ ખરું સ્વરાજ ગણાય… કદાચ આપણે ટૂંકા પાયા પર આટલું કરી શકીએ તોય ગાંધી-ઈચ્છ્યું સ્વરાજ પ્રાપ્ત થઈ શકે, ખરું ને? (દરેક જણ પોતાનું આંગણું સાફ કરે તો આખું વિશ્વ સાફ થઈ જાય!)

અને હા ! આ ગઝલ રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે ખાસ લખી આપી છે. કહેવાની જરૂર ખરી કે આ પણ એક સાવ નવી જ, તરોતાજા અને અત્યાર સુધી ક્યાંય પ્રગટ ન થયેલી ગઝલ છે!

Comments (12)

સુંદર મોડ – સાહિર લુધિયાનવી (સાછંદ પદ્યાનુવાદ: રઈશ મનીઆર)

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

न मैं तुमसे कोई उम्मीद रखूं दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत-अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से

तुम्हें भी कोई उलझन रोकती है पेश-क़दमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मिरे हमराह भी रुसवाईयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साए हैं

तआरुफ़ रोग हो जाए तो उसको भूलना बेहतर
तअल्लुक़ बोझ बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसें अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી

તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા

પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

ઉર્દૂ ગઝલના ચમકતા સિતારા અને હિંદી ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રાણ સમા સાહિર લુધિયાનવીના લબ્ધપ્રતિષ્ઠ સંગ્રહ “आओ कि कोइ ख्वाब बुनें”નો ગુજરાતી તરજૂમો એની શાસ્ત્રીય ઉર્દૂ ભાષાના કારણે આમેય અઘરો છે અને વળી છંદ જાળવી રાખીને પદ્યાનુવાદ કરવો તો વળી ઓર દોહ્યલો ગણાય. પણ છંદોની ગલીઓના ભોમિયા રઈશ મનીઆરને કદાચ આ કળા હસ્તગત છે. કૈફી આઝમી, જાવેદ અખ્તર અને પછી હવે સાહિર લુધિયાનવીના પ્રતિનિધિ કાવ્યસંગ્રહોનો સાછંદ પદ્યાનુવાદ -આવો કે સ્વપ્ન વણીએ કોઈ- આપીને એમણે ગુજરાતી ભાષાને વધુ રળિયાત કરી છે. ગુલઝારના કાવ્યોનો અનુવાદ પણ પાઈપલાઈનમાં જ છે. હિંદી ફિલ્મમાં ખૂબ વિખ્યાત થયેલી સાહિરની એક નજમને અહીં આસ્વાદીએ. (લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ રઈશ મનીઆરનો આભાર).

Comments (26)

હું શું કરું ? – ડૉ. રઇશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર.

રઈશભાઈ અને એમની ગઝલો પ્રત્યે મને સદા એક પક્ષપાત રહ્યો છે. એટલે નહીં કે ગઝલના ગામની ગલીકૂંચીઓમાં એમણે આપેલી આંગળી પકડીને જ હું પ્રવેશ્યો ને ફર્યો છું, પણ એટલે કે એ મને હંમેશા ગુજરાતી ગઝલની ઉજળી આજ અને દેદિપ્યમાન આવતીકાલ સમી લાગી છે. ‘હું શું કરું?’નો પ્રશ્ન લઈને આપણી અંદર કશુંક ઝંઝોળતી આ ગઝલ મારી પ્રિય ગઝલોમાંની એક છે.

Comments (12)

દ્વિધા – જાવેદ અખ્તર

કરોડ ચહેરા
ને એની પાછળ
કરોડ ચહેરા
છે પંથ કે ભીડભાડ કેવળ
ધરા ઉપર દેહ સૌ છવાયા
ચરણ મૂકું ક્યાં અહીં તસુભાર જગ્યા ક્યાં છે?

નિહાળતાં એ વિચાર આવ્યો
કે હમણાં હું જ્યાં છું
શરીર સંકોરી ત્યાં જ રહું હું
કરું શું, કિન્તુ 
મને ખબર છે
હું આમ અટકી ગયો તો

પાછળથી ભીડ જે ઉમટી રહી છે
ચરણ તળે એ મને કચડશે અને રોંદશે એ
હવે જો ચાલું તો
મારા પગમાં જ ભેરવાતાં
કોઇની છાતી
કોઇના બાહુ
કોઇનો ચહેરો

હું ચાલું ત્યારે
જુલમ થશે એ બીજાઓ ઉપર
ને અટકું તો ખુદ
સ્વયમ્ ઉપર હું જુલમ સહું છું

હે અંતરાત્મા ! તને અભિમાન બહુ હતું
તારી ન્યાય બુધ્ધિ ઉપર,ખરું ને?
હવે કહે જોઉં
આજે તારોય શો છે નિર્ણય?

જાવેદ અખ્તર 

અનુવાદ – રઈશ મનીઆર

Comments (2)

નિહાળતો જા – રઈશ મનીઆર

દરેક વાતે વિચારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસું સારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

રઈશ મનીઆર

Comments (4)

પન્નીને પહતાય તો કે’ટો ની – ડો. રઇશ મનીયાર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

– ડો. રઇશ મનીયાર

Comments (17)

મુક્તક – રઈશ મનીઆર

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

– રઈશ મનીઆર

Comments (3)

આવડી જાય છે – રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા  પડી  જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા  હાંફતા  હાંફતા એક  દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

Comments (9)

ધાર કયાં હતી? – રઈશ મનીયાર

આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ –
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?

– રઈશ મનીયાર

Comments

ગઝલ – રઇશ મનીયાર

થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.

થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.

મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.

મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.

હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

રઇશ મનીયાર

Comments (2)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

ડૉ. રઈશ મનીઆર

(રઈશભાઈના પુસ્તકો – ગઝલ સંગ્રહો : કાફિયા નગર, શબ્દ મારાં સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી., નિહાળતો જા..(આગામી), પરણીને પહતાય તો કે’તો ની.(હાસ્ય ગઝલસંગ્રહ)
અન્ય : માહોલ મુશાયરાનો(ઉર્દૂ શે’રોનો આસ્વાદ), મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ, કૈફી આઝમીના કાવ્યો(અનુવાદ), તરકશ-જાવેદ અખ્તરના કાવ્યો (અનુવાદ), બાળઊછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?, તમે અને તમારું નિરોગી બાળક )

Comments (2)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

(ડૉ. રઈશ એ. મનીઆર (૧૯-૮-૧૯૬૬) વ્યવસાયે બાળરોગ નિષ્ણાંત અને કર્મે કવિ. મારા જ શહેરના અને મારા કાવ્યગુરૂ રઈશ ગુજરાતી ભાષાની ઝળહળતી આજ અને આવતીકાલ છે. ધર્મ અને સમાજના ઢાંચાને એ વર્ષો પહેલાં જ વળોટી ગયેલાં અને એના પુરાવા કોલેજના નોટીસબૉર્ડ પર એમની કવિતાની નીચે લખેલા નામના પ્રથમ મૂળાક્ષરો R.A.M. થી માંડીને હિંદુ છોકરીને જીવનસાથી બનાવવા સુધી વિસ્તરેલા છે. ધોમધીખતી તબીબી પ્રેક્ટીસને નિયંત્રિત કરીને શબ્દની આરાધના કરવાનું તપ ફક્ત સરસ્વતીનો આ અલગારી ઉપાસક જ કરી શકે. ગઝલના છંદોને સંગીતના સૂર સાથે સાંકળીને સાવ સરળ બનાવતું પુસ્તક, ગુલઝારની કવિતાઓનો સમાન છંદસહિત અનુવાદ તથા ઊર્દૂ અને ગુજરાતી ગઝલનો ઇતિહાસ – આ ત્રણ આગામી પુસ્તકો નિઃશંક આપણી ભાષાના સીમાચિહ્ન બની રહેશે.)

Comments (5)

હજુયે યાદ છે !

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

ગુજરાતીમાં ‘હઝલ’-હાસ્ય ગઝલ-ની (પાતળી) પરંપરા છે. રઈશની આ હઝલ, ગઝલના પારંપરીક રૂપને જાળવીને રચેલી છે.

Comments (3)