મુક્તક -શેખાદમ આબુવાલા
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
-શેખાદમ આબુવાલા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
મુક્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
-શેખાદમ આબુવાલા
આંસુ મારાં, ન પૂછ શાનાં હતાં?
તેઓ બીજે તો ક્યાં જવાના હતાં?
તેં લૂંટાવેલા ટાપુઓ ફરતે
થોડા દરિયા બનાવવાના હતા.
– મુકુલ ચોકસી
કાળનું આ ચક્ર ફરતું કાળ પર,
જિંદગી આવી ઊભી છે ઢાળ પર;
કોઈ પીંછા ખેરવી ઊડી ગયું,
છે હજી એકાદ ટહુકો ડાળ પર.
– બાલુભાઈ પટેલ
જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેંક પંક્તિમાં પરોવીને દઈશ;
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.
– કિરણસિંહ ચૌહાણ
આજથી શરૂ થતી દિવાળીનાં આ મંગલ ધનતેરસનાં દિવસે આપણા સૌનાં હૃદયમાં શબ્દનું અજવાળું અખંડ રહે એ જ શુભેચ્છાઓ… લયસ્તરોનાં વાચકમિત્રોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી;
વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે,
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી !
-કૈલાસ પંડિત
દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.
– બરકત વિરાણી ‘બેફામ’
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
-રમેશ પારેખ
ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.
-રઈશ મનીઆર
સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.
-બકુલેશ દેસાઈ
એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ
– શેખાદમ આબુવાલા
હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.
-શોભિત દેસાઈ
નવરંગી નશો… આહાહાહા !!! 🙂
કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)
લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.
* * *
શબ્દ
મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
. ડૂબકી.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.
***
સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:
એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !
કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’
***
આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહર્નિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.
-વિવેક મનહર ટેલર
આજે ‘ગાગરમાં સાગર‘ પર જયશ્રીએ મૂકેલી વિવેકની એક ઓવનફ્રેશ ગઝલનો મા ગુર્જરી વિશેનો એક શે’ર એના કાવ્યપઠનની સાથે માણ્યો… અને તરત જ મને એનું આ મુક્તક યાદ આવ્યું અને તરત જ અહીં ટપકાવી પણ દીધું…
મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?
– યુસુફ બુકવાલા
પત્રલેખા – ૧
બસ થયું !
પત્રલેખન રહ્યું –
લેખિની બોળવાને સખીએ નમાવેલ
કાંડાથી જે સરી પડ્યું કંકણ
એ જ બસ પ્રિય પ્રતિ મોકલો –
. વિરહનું વેદના-દર્પણ !
***
પત્રલેખા – ૨
જેમ જેમ પત્ર પર અક્ષર અંકાય
તેમ તેમ ટપકતાં આંસુએ ભૂંસાય
(મૂળ સંસ્કૃત)
– અનુ. હરિવલ્લભ ભાયાણી
આજે SMS અને e-mailના યુગમાં પત્રલેખન ઝડપથી ઇતિહાસ બની રહ્યું છે. સંસ્કૃત મુક્તકોમાંથી બે નાનકડા મુક્તક આ જ વિષય ઉપર આજે આપના માટે…
બંને મુક્તકમાં પ્રોષિતભર્તૃકાનો વિરહભાવ વ્યક્ત થયો છે પણ બંનેની વાત જરા અલગ છે… જુદાઈની આગમાં સળગી સળગીને પત્રલેખાની કાયા એટલી કૃશ થઈ ગઈ છે કે કલમ કડિયામાં બોળવા એ કાંડું નમાવે છે તો પાતળા થઈ ગયેલ હાથમાંથી કંગન પણ સરી પડે છે. લખવાની તાકાત પણ નથી એટલે પ્રિયને વિરહ વેદનાના અરીસાસમું એ કંગન જ મોકલી આપવા એ કહે છે… બીજા મુક્તકમાં પણ વિરહ-વ્યથા ચરમસીમાએ છે… જેના માટે પત્ર લખાઈ રહ્યો છે એની જ યાદમાં ટપકતાં આંસુઓ એને ભૂંસી રહ્યા છે…
તારું બની કરણ જીવીશ હું સદાય
તારું લહી શરણ જીવીશ હું સદાય,
પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.
-હરીન્દ્ર દવે
ચાર લીટીની આ નાનકડી પ્રાર્થનામાં કોઈ કી-વર્ડ હોય તો તે છે વિશૂન્ય મન. મન જ્યાં સુધી શૂન્યથીય વધુ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી પ્રભુના ચરણ ગ્રહી શક્વાનું નસીબ થતું નથી. વળી અહંકારનો અભાવ પણ આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ છે. હું તારું કરણ બનીને જીવી રહ્યો છું એવો અહંકાર મનમાં આવે તો કદી પ્રભુશરણ મળતું નથી… પણ હું તારું કરણ બનીને જીવીશ, તારા શરણમાં અને ચરણમાં જીવીશ એવો નિરંહકારી સંકલ્પ કરીએ તો જ ભટકતા પંથ અને પંથીને એની ખરી મંઝિલ મળે…
વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે
– શેખાદમ આબુવાલા
‘ગુલાબી ભીડ’ જેવો પ્રયોગ શેખાદમ જ કરી શકે. લોકોને એકાંત સાલતુ હોય છે, કવિને ભીડ સાલે છે અને એય ગુલાબી ! દેશમાં રહીને ‘ગુલાબી ભીડ’નો અર્થ સમજવો અઘરો છે. એ તો વતનથી દૂર રહીને જ સમજી શકાય એમ છે.
ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ
હું, તું… હતા ને સામે તો સેના ઊભી હતી.
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
તારો જ રથ હતો અને આ આંગળી હતી…
– રઈશ મનીઆર
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી
થોડું ઝળહળ બની આવશે;
શેષ કાજળ બની આવશે.
તું ખીલે જો પ્રથમ ફૂલવત્
શબ્દ ઝાકળ બની આવશે.
*
આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
ને પછી તું સમસમીને ક્યાં જશે ?
એક ખૂણો હાંફવાનો રાખજે…
આમ બધ્ધે આથડીને ક્યાં જશે ?
*
અચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.
– રઈશ મનીઆર
સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે
તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે
– પ્રફુલ્લા વોરા
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
– ખલીલ ધનતેજવી
માર્ગદર્શક બને એ સર્વ સહારા લઈ લે !
ઈશ ! તેજસ્વી બધા તારા – સિતારા લઈ લે !
તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,
મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે !
-સૈફ પાલનપુરી
ચાલચલગત જીવની ધૂની હતી
ખૂબ ઈચ્છાની રમત જૂની હતી
એમનાં પગલાં સુંઘી આવું ઘેર
સાંજ પડતાં શેરીઓ સૂની હતી
– મનીષ પરમાર
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
– ખલીલ ધનતેજવી
નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.
-હિતેન આનંદપરા
એવું તને હું કહેતો નથી કે મજા ન કર,
પણ આબરૂ જતી રહે એવી દશા ન કર!
એને છુપાવવાની તને આવડત ન હો,
તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!
વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.
-દિલીપ મોદી
ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.
-રઈશ મનીઆર
નવલા વર્ષે ગાંઠે બાંધી રાખવા જેવી વધુ એક મજાની ચેતવણી… 🙂 રઈશભાઈ તરફથી.
અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં
– સંજુ વાળા
મારા ઘડપણના સહારા, મારા ઓ ભાવિ સપૂત
કાં અધીરો થાય છે, તુજને તો કાંઈ અગવડ નથી
ચાર મહિના ઓર રહી જા, તારી માના પેટમાં
આ મહિનાના બજેટમાં, ખર્ચની સગવડ નથી
*
હવે ડોશીઓ ફેશનેબલ બની છે
લગાવી લાલી, કરે છે ઠઠારો
લગાવો ભલે રંગ મોટરને જૂની
તોય લોકો તો કહેવાના એને ખટારો
*
દેશની વધતી જતી વસતીથી સહુ ગભરાય છે
બર્થના કન્ટ્રોલની વાતો બધે ચર્ચાય છે
આ નવા યુગની કરામત જોઈ લેજો દોસ્તો
વાંઝિયાઓ મૂછ પર તાવ દેતા જાય છે
*
દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી
– નાઝ માંગરોલી
વ્યંગનો એ ખરો કે જેનો ડંખ લાગે એ પહેલા ચહેરા પર સ્મિત આવી જાય અને અર્થ પૂરો સમજાય તો સ્મિત તરત ઊડી જાય. અહીં હસવાની ગેરેંટી નથી, પણ વિચારતા કરી મૂકે એની ગેરેંટી જરૂર છે.
કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે.
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.
– એસ. એસ. રાહી
ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે,
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
– ઘાયલ
આંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું
– રમણીક સોમેશ્વર
મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
– બેફામ
જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી
– મકરંદ દવે
કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો જેની-
સતત કાફલો , એ હતા કાફલામાં !
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
શૂન્યતાની પાંખ ફડફડતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફર્યો
મહેક ભીની સાંજ સળવળતી રહી
– ફિલીપ ક્લાર્ક
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
– ‘શૂન્ય’ પાલનપુરી
સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંઘ છું
– ભગવતીકુમાર શર્મા
હજી જીભમાં વાસના છે અધૂરી
ઊગે છે હજી આંખમાં પણ ખજૂરી
ફક્ત નામ ઉચ્ચારવાનો નશો છે
અલંકાર કે ના વિશેષણ જરૂરી
– હેમેન શાહ
પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !
– રમેશ પારેખ
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
– મરીઝ
કોઈ ક્યારેક નામ પૂછે છે
ફરી મળું તો કામ પૂછે છે
છે અજબ શહેર ! આંસુઓ જોઈ
વળે છે ટોળે, દામ પૂછે છે
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે
-હરિન્દ્ર દવે
શ્વાસના પોકળ તકાદા છે તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.
– શૂન્ય પાલનપુરી
મૃત્યુના તસવ્વુરને શૂન્યે ખૂબ બહેલાવ્યો છે. દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુ ને વધુ નજીક લઈ જાય છે એ ઘટનાને જિંદગી સામે વામણા બનતા મૃત્યુના ધમપછાડા સાથે સરખાવવાની કવિની ખુમારી કેવી મજાની છે !
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન
– શેખાદમ આબુવાલા
શાયર પ્રતિજ્ઞાબદ્ધ છું, લાખોમાં એક છું,
ઈમાનદાર પણ છું હું, નેકી છું – નેક છું
‘ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.
– ઘાયલ