બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉપેન્દ્રાચાર્ય

ઉપેન્દ્રાચાર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંગત અંગત : ૦૭ : વાચકોની કલમે – ૦૩

સુનિલ શાહને એમની કવિતાઓ- કવિતાનો ક-થી નેટ જગતમાં બધા ઓળખે છે. એક જ કવિતા ક્યારેક જીવનમાં અણધાર્યો વળાંક આણી શકે છે… બાળપણમાં ગમી ગયેલી એકાદ કવિતામાંથી કે કવિનું સર્જન પણ થઈ શકે છે.. આજે માણીએ સુરતના સુનિલ શાહની વાતો…

*

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
.                 એ તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
.                 એ તો કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
.               એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
.               એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
.               એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના,
.              એ તો કેવી અજબ જેવી વાત છે !

– ઉપેન્દ્રાચાર્ય

વાત..કવિતામાં સૌ પ્રથમ રસ ક્યારે પડ્યોની કરવી હોય તો પહેલા કે બીજા ધોરણમાં અને તે પછી અનેકવાર સાંભળેલ બાળગીતે મને કવિતામાં રસ જગાડેલો. કવિશ્રી ઉપેન્દ્રાચાર્યનું એ બાળગીત કે જેમાં બાળકના મનમાં છલકાતા વિસ્મયના ભાવોનું અદભૂત નિરૂપણ થયેલું છે. આ બાળગીત શાળામાં લયબદ્ધ રીતે ગવડાવાતું..તેને ગાવાની, ગણગણવાની આજેય મઝા પડે છે. શાળા કે કોલેજ કક્ષાએ તો વળી વિજ્ઞાનમય બની ગયેલો, તેથી સાહિત્ય સાથે ઝાઝો નાતો નહી, પણ અર્થસભર હિન્દી ગીતો–ગઝલો સાંભળવી ગમતી. એમ અનાયાસે મારો કવિતા પરત્વે નાતો બંધાતો ગયો. ૧૯૮૫માં સુરત સ્થાયી થયો, ૧૯૯૫ આસપાસથી કવિ સંમેલનો, મુશાયરાઓમાં શ્રોતા તરીકે સુરતના કવિઓને માણતો ગયો અને મારો ગઝલ પરત્વે નાતો બંધાતો ગયો. મને ગઝલમાં રસ લેતો કરવામાં સુરતી કવિઓનો ન ભૂલી શકાય તેવો ફાળો રહ્યો છે. મને ગમતી ગઝલો તો અનેક છે.. પરંતું મને સૌથી વધુ ગમતું ગીત…..મને વિશ્વાસ છે, એ તમને પણ ગમતું જ હશે…!

Comments (8)