આખરીવારની એ મસ્ત નજર, શું કહેવું?
વર્ષો વીત્યાં છતાં વીતી ન અસર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પદ્યનાટક

પદ્યનાટક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઉમાશંકર વિશેષ :૧૩: મહાપ્રસ્થાન

Umashankar3

યુધિષ્ઠિર       :       હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
.                            ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
.                            ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
.                          ક્યાં છે તે મહામનીષી ? ક્યાં છે કૃષ્ણ ?

અન્ય સૌ       :                                               કૃષ્ણ ? કૃષ્ણ !

પડઘા          :       કૃષ્ણ ! !

યુધિષ્ઠિર       :     કેવા કૃષ્ણ હવે ?

અર્જુન          :                                  કૃષ્ણ હવે અન્તર્યામી…
.                           કૃષ્ણલૂખું જીવન જે, એ જ મૃત્યુ.

સહદેવ         :                                       મૃત્યુયાત્રી,
.                              ચલો, જયેષ્ઠબંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુશીળી
.                              પ્રતીક્ષા કરી છે રહી.

ભીમ           :                       કોણ, કોઈ પડ્યું ? થયો
.                                શાનો આ અવાજ ?

યુધિષ્ઠિર       :       અરે પાંચાલી !

ભીમ           :                       થાકી ગઈ કે ?
.                               ઊંચકી લઉં આ સ્કંધે ?… નથી અરૈ ઊચલાતી…

યુધિષ્ઠિર       :       ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
.                            બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકશ્વાસે,
.                             હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
.                             સ્વ-કર્મનો ઊઠાવીને ચાલી શકે એ જ આજે
.                             ઘણું તારે માટે. ઊઠો, પાંચાલી, યાત્રા છે શેષ…

દ્રૌપદી         :       હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ
.                          તમારી આંખોની અમી-છાયા નીચે પાંચેયની.
.                          વિદાય આપો અને લો. જીવનમાઅં પીધું-પાયું
.                          સ્મરણ તેનું કરી લો. અગ્નિજા હું હતી ક્યારે-
.                         ક્યારે અગ્નિજિહ્વાળી, ને તપ્ત વેણ સ્હેવાં પડ્યાં
.                          હશે ધર્મરાજનેયે, ક્ષમા તેની આપો અને
.                         પાંચેના જીવનમાં હું પ્રવેશી, પુરુષવરો,
.                         તે પૂર્વે હતા પ્રવાસી તેમ હવેયે પ્રવાસ
.                         આગે ચલાવો તમારો…

સહદેવ         :       પાંચ આંગળીઓ જેવા
.                                           હતા પાંચેય પાંડવ;
.                            વળી જે મુક્કી તે કિંતુ
.                                          દ્રૌપદીના પ્રભાવથી.

– ઉમાશંકર જોશી

કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ હતા. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે એ માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત્ થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિ કહે છે, ‘નાટ્યકવિતા (રંગભૂમિ પર ટકી શકે એવી) દુનિયાના સાહિત્યમાં વિરલ છે. નાટ્યકવિતા એ કવિત્વશક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ.’ એમણે લગભગ ચૌદ પદ્યનાટક લખ્યા. એમાંના એક નાટક મહાપ્રસ્થાનનો એક અંશ અહીં રજૂ કર્યો છે. મહાભારતના યુદ્ધ અને કૃષ્ણના નિર્વાણ પછી પાંડવો મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં  જાય છે. દ્રૌપદી સહુથી પહેલી ઢળી પડે છે એટલો ભાગ અહીં લીધો છે.  છે નાટક પણ કવિતા સતત ઊભરાતી રહે છે. ચાર ભાઈ અને માતાને ખભે ઊંચકીને લાક્ષાગૃહમાંથી દોડેલો ભીમ આજે દ્રૌપદીને પણ ઊઠાવી નથી શક્તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સ્વ-કર્મનો બોજ ઊંચકાય તોય ઘણું… સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત, મુઠ્ઠી હતી…

Comments (5)