જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલેરબાબુ

દિલેરબાબુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – દિલેરબાબુ

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ત્યાં ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

– દિલેરબાબુ

(જન્મ : ૧૪ -૦૬-૧૯૪૬, મૃત્યુ : ૦૪-૦૧-૨૦૧૦)

રવિવારે રાજેન્દ્ર શાહ જેવા દિગ્ગજ કવિના દેહાવસાનના ડુંગર પછીતે સોમવારે ભાવનગરના દિલેરબાબુના નિધનના સમાચાર લગભગ સાવ જ ઢંકાઈ ગયા.  બી.એ.ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ અને પોસ્ટ ખાતામાં નોકરી. ભાવનગરના ભાદ્રોડ (મહુવા) ખાતે શબ્દની મૂંગી આરાધના કરતા આ કવિ પ્રસિદ્ધિની પાછળ કદી દોડ્યા નહોતા. એમના સુંદર કવિકર્મની જો કે યોગ્ય નોંધ પણ કદી લેવાઈ નથી.

‘લયસ્તરો’ તરફથી શબ્દના આ મૌન આરાધકને એન નાની-શી શબ્દાંજલિ !

Comments (17)