દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રફુલ્લ પંડ્યા

પ્રફુલ્લ પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ક્યાંક અરીસે ફૂંક! – પ્રફુલ્લ પંડ્યા

ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!
ટાપુ જેવા વિચારને જા દરિયા વચ્ચે મૂક!

ટાપુ જેવા તપ છે એના એની આંખમાં દવ
માણસ કોમળ હોય તો એનો સાંભળી લેવો રવ
સૌની સાથે હેમખેમ હોય સર કરવાની ટૂંક!
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

તળ પહોંચ્યાની મજા અર્થમાં તળ પહોંચ્યાનું પાપ
આંખોમાં પાકયું અંધારું કેમ મૂકવો કાપ?
ક્યાં સપાટી ખટકાની ને ક્યાંક પ્રકાશી ચૂંક?
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

– પ્રફુલ્લ પંડ્યા

હાલમાં આ કવિના બહુ જૂના કાવ્યસંગ્રહ ‘જીભ ઉપરનો ધ્વજ’માંથી પસાર થવાનું થયું. કવિની વય ત્રીસેકની હશે ત્યારે કવિલોક પ્રકાશને નવ્ય કવિ શ્રેણીના ભાગ રૂપે આ નાનકડો સંગ્રહ બહાર પાડ્યો હતો. કંઈ અલગ જ બાની સાથે મુલાકાત થઈ. અગાઉ વાંચવામાં ન આવ્યા હોય એવા સાવ અનૂઠા અને અરુઢ કલ્પનો અને વાંચતાવેંત ગળે ઉતરવાનો ઇનકાર કરતી ભાષા. કવિતા અર્થમાં ઓછી અને અભિવ્યક્તિમાં વધુ હોય છે એ આ ગીતોમાંથી આરપાર નીકળીએ ત્યારે સહેજે સમજાય છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ…

Comments (3)

(ભાષાનાં નીર) – પ્રફુલ્લ પંડ્યા

ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;
પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !
જાણતલ જોશીડો કૂવામાં ખાબક્યો છે;
કૂવાની આરતી ઉતારીએ જી રે !

ભાષાનાં નીર તો આછેરાં ઊંડા ને;
એમાં પહેલું પગથિયું થોડું ગોતવું હો જી !
જળમાં જે ગોતવું છે; એ કળથી ગોતાશે;
જળ નાહકનાં જોરથી ના બોટવું હો જી !
ભીતરનાં દોરડેથી ભાવને સિંચાવો; પછી ધીરે-ધીરે શબ્દો અવતારિયે હો જી !
-એમ સિંચણિયે શબ્દો ઉતરાવીએ હો જી !

બીજે-ત્રીજે ઊતરીને ડૂબકી ખાવાની છે;
છેક નવમું આવ્યું તો ભાગ્યશાળી રે લોલ !
બાકી તો પધરાવી દેવાની હોય છે ;
નકરાં આયાસની જાળી રે લોલ !
પણ લીલાંછમ્મ વાક્યોની દાંડી જો તૂટે તો; કેમ કરી દાંડલી સમારિયે જી રે !
નીતરી કવિતાની ગાગર જો છલકે તો; ગાગરમાં સાગર ઊતારિયે જી રે

– પ્રફુલ્લ પંડ્યા

ભાષાનો હાથ ઝાલીને રુઢ થઈ ગયેલી અભિવ્યક્તિથી આઘા હટી, આયાસપૂર્વક કવિતા લખવાની જિદ કે કસરત પડતાં મૂકી કવિતાની ગાગરમાં સાગર ભરવાની વાત સાવ અલગ અંદાજમાં કરતા આ ગીતના મુખડા વિશે કવિશ્રી સંજુ વાળાએ કરાવેલ વિચાર વિસ્તારનો અંશ મમળાવીએ:

કવિશ્રી સંજુ વાળાના શબ્દોમાં:

જાણીતી સામગ્રીના કોઇ એક જુદા તરી આવતાં ઉપાદાનને નવેસરથી પ્રયોજી, એમાં કારગત નીવડેલી પ્રયોજના અહીં ફરી ખપતમાં લઈ આ ચિકિત્સાયોગ સધાયો છે. સ્હેજ આ વાનાંઓની વિવિધા નજીકથી જોવી/ચાખવી રસપ્રદ બનશે. જૂઓ..

૦ ભાષાને શું વળગે ભૂર – અખો
૦ મને વળગ્યું છે ઝૂર, કોઇ મારું ઝૂર કાઢો – ર. પા.
૦ જાણતલ જોશીડો એમ કરી બોલ્યા – લોકગીત
૦ જાણતલ જોશીડા ઘાટે પધાર્યા.. -અનિલ જોશી
૦ કોઇ કૂવો ગળાવો – શ્યામ સાધુ
૦ ઉતારો આરતી શ્રી… ધરે આવ્યાં – લોકકવિ

પ્રથમ પંક્તિમાં અવતરિત ‘ભૂર’ શબ્દનો અર્થ તો કમઅક્કલ, મુર્ખ, લુચ્ચું તરીકે મુખ્યત્વે વપરાય છે. પરંતુ તેનો એક વધારાનો અર્થ ‘નામશેષ’ પણ થાય. શિયાળામાં ઉત્તર દિશાથી ફૂંકાતા પવનને પણ ભૂર કહે છે. જે જમીનમાં રહેલા ભેજને શોષવા/સૂકવવાનું કામ કરે છે. અખાની નિદર્શનામાં એવું તકાયું છે કે, આ ભૂર ભાષાને મિટાવી શકે નહીં, અથવા એની રસવત્તા કે સૌંદર્યને હણી શકે નહીં. ભાષા તો આવાં કેટલાય સમા સમાના ટાઢ-તાપથી નિરપેક્ષ છે. એટલે બીજી શક્યતા વિચારો. બીજી પંક્તિમાં ‘ઝૂર’ શબ્દ છે. તેનો અર્થ થશે ‘મેલો દેવ’, ‘પ્રેતાત્મા.’ પછીના બન્ને પદબંધની સંરચના સમજી શકાય તેવી છે. તેના ભાવવિસ્તારની કોઇ જરૂર નથી જણાતી.

કવિ કહે છે : ભાષા આવી કોઇ વિકટ સ્થિતિમાં નથી. છતાં પ્રયોજાતો શબ્દ કેમ ધાર્યું પરિણામ આપતો નથી? એટલે કે એ અન્ય કોઇ છાયામાં આવી ગયો હોય તો એનો આ વળગાડ દૂર કરાવીએ. કવિએ પોતાની વાતને અખા અને ર. પા. ના સંદર્ભથી પ્રમાણિત કરીને પ્રયોજી. આવું થાય નહીં. કેમ કે આ ભાષા સ્વયં સરસ્વતી છે. પણ એના ગણ એવા શબ્દો નજરાઇ ગયા લાગે છે. પરંતુ આ પૂછવું કોને ? કોઇ એનો જાણતલ નજરે પડતો નથી. હતા કોઇ જોશીડા (ખમ્મા, નામ તો કેમ દેવા ?) એ રહ્યા નહીં. એની નબળી છાયા જેવા છે પણ હવે એ ય પોતાની માન્યતાઓનાં અંધારિયા અને ઊંડા કૂવામાં પડેલા છે. સાર્વત્રિક કૂપમંડૂકતાનો કવિએ કાવ્યાત્મક ઉપહાસ કર્યો. હવે કાં તો આ શબ્દોને ‘ઘસાઇ-પિટાઇ જવું’ નામના ઝૂર, વળગાડમાંથી બહાર કાઢીએ અને એમ ન થઇ શકે તેમ હોય તો આ કૂપમંડૂકતાનો જય જયકાર થઈ રહ્યો છે તેમાં સામેલ થઈ જઇએ. અવળવાણીનો આ કવિતરીકો બદ્ધ માન્યતાઓ સામેનો તીણો આક્રોશ છે. સંદર્ભમાં રમતી ધન્ય સર્જકતાની દેણગીને સલામ સાથેનો અને આજની પરિસ્થિતિ સામેનો કટાક્ષમય ઇશારો છે. એક બાજુ સાર્થકતા છે. બીજી બાજુ નરી સંભ્રાંત સર્જકતાની વાહવાહી છે. કવિની આ ચેતવણી છે કે, હજીય સમય છે, જાગો અને તમને જ તમારામાં જરાંક જૂઓ. ધન્યવાદ કવિના આ સજાગ અને સમયસૂચક કવિતાવિભાવને.

ગીતના મુખડાની બન્ને પંક્તિઓને ‘જી.. રે’ જેવા સ્થાયી આવર્તનથી બાંધી છે. આપણે જાણીએ છીએ કે એ તો શુદ્ધ ભજનરીતિનો સ્તંભ છે. અને કેટલાક ભજનનું કામ પણ પ્રબોધનનું છે, એ પણ આપણે જાણીએ છીએ. આપણો આ કવિ પણ અહીં કાવ્યમાર્ગના યાત્રીઓ માટે પ્રબોધનરીતિ લઇને આવ્યો છે.

(ટિપ્પણી – શ્રી સંજુ વાળા)

Comments (4)

લખવા છે પડછાયા રે – પ્રફુલ્લ પંડ્યા

લખી શકાતા હોય તો મારે લખવા છે પડછાયા રે
મને મૂંઝવે દિવસરાત ને સમય સમયની માયા રે !

હું લખવા બેસું છું ત્યારે શબ્દો થૈ જાય સાધુ રે
ભાષા ભગવી લખતા રહેવું – એમ વચન હું બાંધું રે
ચાખડી પહેરી ફરતા અર્થો, બળતી મારી કાયા રે !

ભસ્મની માફક ઊડતા રહેવું નગર નગરના દરવાજે
આવકાર કોઈ આપી દે તો વરત થૈ વરતાજે
વરત વરતની વાયકાઓના તૂટી પડ્યા સૌ પાયા રે !

– પ્રફુલ્લ પંડ્યા

મજાનું લયબદ્ધ ગીત. ધીરે રહીને ઊઘડતું….

Comments (7)

અંટાતા પ્રશ્નોનું ગીત – પ્રફુલ્લ પંડ્યા

મારા હાથમાંથી હાથ ગયા નીકળીને
.            પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે…
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
.            બધાં સપનાં ખર્ચાઈ ગયાં એટલે…

એવું લાગે છે કૈંક ખોટ્ટું બન્યું છે
.            સતત ખોટ્ટાને પાડી છે “હા”
સાચું કરવામાં કોઈ સાથમાં નહોતું ને
.            પાછી હિંમત પણ પાડતી’તી “ના !”
સંજોગોમાંથી બધા નીકળી ગ્યા યોગ
.            બધા સંબંધ વિખરાઈ ગયા એટલે…

તોડફોડ આટલી મોટી નીકળશે
.            એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ…
પહેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
.            લૂંટાયા અઘરા સવાલ…

નીકળી ગ્યા એમાંથી સઘળા જવાબ
.            અહીં પ્રશ્નો અંટાઈ ગયા એટલે…

-પ્રફુલ્લ પંડ્યા

જરા નોખી ભાતનું ગીત… કવિ કહે છે કે આ ગીત અંટાતા પ્રશ્નોનું ગીત છે પણ સહજ સમજાય છે કે આ ગીત આપણા બધાનું જ છે.. આપણી જિંદગીનું જ ગીત છે…

Comments (3)

વિસ્મયની મહોલાત – પ્રફુલ્લ પંડ્યા

મનની સાથે વાત કરી મેં,
પસાર આખી રાત કરી મેં.

એક નજાકત કોતરકામે-
દિલમાં દિલની ભાત કરી મેં.

શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.

સમય બડો બલવાન નીકળ્યો,
નહીં તો નિજ પર ઘાત કરી મેં.

મોતના મરમી દૂર પ્રદેશે,
છેવટ મુલાકાત કરી મેં.

અચરજ ગુંબજ ચણવા બેઠું,
વિસ્મયની મહોલાત કરી મેં.

મેં જ વગાડ્યાં મારા ડંકા
મંદિર જેવી જાત કરી મેં.

– પ્રફુલ્લ પંડ્યા

એકલતા કોને નથી પીડતી ? અને એકલતાથી બચવું કોને નથી ગમતું? એવો કયો કવિ હશે જેણે એકલતાનાં ગીત નહીં ગાયાં હોય? પણ આ ગઝલના એકલતાવાળા શેરની ઊંચાઈ અને ઊંડાણ તો જુઓ ! શા માટે કોઈએ એકલવાયા ઝૂરવું જોઈએ ? સપનાંનો સધિયારો ન લેવો જોઈએ? પણ શું સપનાંનો સધિયારો એકલતા મિટાવે છે? કે પછી વધુ બળવત્તર કરે છે… ખેર, આ જ છે આ શેરની ખરી મજા… જે ક્ષણે કવિને એકલતા દૂર કરવાનો કીમિયો મળી ગયો છે એમ આપણને લાગે એ જ ઘડીએ આ એકલતા કદી દૂર નહીં થાય, બસ વધતી જ રહેશેનો કાંટાળો અહેસાસ પણ થાય છે…

Comments (11)