March 10, 2022 at 10:53 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
તું મળશે મને, એવો ભ્રમ તો નથી,
નહીં મળવું એ પણ નિયમ તો નથી.
વિરહની વ્યથામાં મિલનની મજા,
વિરહ ક્યાંક પોતે સનમ તો નથી.
ન ડરશો કે આયુષ્ય લાંબું મળ્યું,
જીવન જીવવું એકદમ તો નથી.
ગઝલ લખવા જાઉં ને શંકા પડે,
હું પોતે કોઈની કલમ તો નથી.
હવે કેમ એકેય ઇચ્છા નથી,
‘ફના’ ક્યાંક છેલ્લો જનમ તો નથી.
– જવાહર બક્ષી
આમ તો આખી ગઝલ સરસ છે, પણ બીજો, ચોથો અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાનાર્હ થયા છે. પહેલીવાર વાંચતાવેંત ગમી જાય એવા, પણ બીજી-ત્રીજી વાર વાંચો તો કવિને સલામ ભરવાનું મન થાય એવા…
હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં ;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં ;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્ ;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં
સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં ;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
– ભગવતીકુમાર શર્મા
સમગ્ર કવિકર્મ મજબૂત ! કવિના સ્વમુખે આ ગઝલનો પાઠ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગઝલનો મત્લો મનમાં સ્ફૂર્યો એના ચાર-પાંચ વર્ષે તેઓએ આ ગઝલ પૂરી કરેલી ! તેઓને મત્લો એટલો ગમી ગયેલો કે તેઓ ઇચ્છતા હતા કે સમગ્ર ગઝલ બળૂકી બને…
સુરતના ખૂબ જ મજબૂત અને રંગભૂમિને સમર્પિત નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ મત્લાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એ જાતે આ જ નામથી એક કરુણરસનું એકાંકી લખ્યું હતું જે ઘણું સફળ થયું હતું…
અરે ઓ દિલ ! જરાક થોભ, યાર, ત્યાં કશું નથી,
જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી.
અમારી લઈ લીધી તલાશી, બાપ, બસ કરો હવે;
એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી.
હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.
અમારી જિંદગીય ઐતિહાસિક એ રીતે થઈ,
લડાઈથી વધીને યાદગાર ત્યાં કશું નથી.
ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે,
કહે છે એ વિષયના જાણકાર ત્યાં કશું નથી.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આશ્ચર્ય જન્માવે એવા બહુ જ ટૂંકા ગાળામાં કવયિત્રી એમના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ લઈને આપણી વચ્ચે આવ્યા છે. કવયિત્રી અને એમના સંગ્રહનું લયસ્તરો પર સહ્રદય સ્વાગત…
‘ત્યાં કશું નથી’ જેવી રદીફને કવયિત્રીએ યથોચિત નિભાવી જાણી છે. પાંચેપાંચ શેર આસ્વાદ્ય થયા છે..
સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચે જે પાતળો તફાવત છે એ યોગ્ય શબ્દની યથોચિત પસંદગીનો કહી શકાય. અહીં ‘જમૂરા’ને આવો જ શબ્દ ગણી શકાય. ગઝલમાં ભાગ્યે જ પ્રયોજાતો આ શબ્દ આખી ગઝલને જાણે પોતાના ખભે ઊંચકી લઈ રચનાને નવી જ ઊંચાઈ આપવામાં સફળ થયો છે.
જે ઘટનાના પ્રતિઘાતે આ રચનાને જન્મ આપ્યો એ કોઈથી અછતી નથી. સુરતમાં એક લબરમૂછિયા પ્રેમીએ છોકરીએ લગ્ન કરવાની ના કહેતાં સરેઆમ સહુની સામે છોકરીના ગળા પર છરી ફેરવીને નિર્મમ હત્યા કરી અને તમાશબીન લોકો હિંમત કરી આગળ આવવાના બદલે વિડિયો ઊતારીને ફોરવર્ડ કરવામાં રત રહ્યા. જો કે રચનાની ઇબારત કંઈક એવી ઘડવામાં આવી છે કે એ આવા કોઈ પણ સંદર્ભોથી પર અને કાલાતીત થઈ છે.
ન ઘટવાનું ઘટી ગયું. સમય પર ફારસ જોતાં રહેલ લોકો હવે દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢશે. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે કારણ કે અસલી માણસ તો હવે જીવતો જ નથી. ‘શબવાહિની ગંગા’ વખતે પ્રચંડ લોક આક્રોશનો ભોગ બની હોવા છતાં કવયિત્રીની કલમ સામાજિક દાયિત્વ ચૂકી શકવા અસમર્થ છે. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ મરવાના બદલે ફરી સાહસ કરી બેઠી છે. મક્તા તો અદભુત થયો છે. જે લોકો સંવેદનશીલ છે, વ્યક્ત થઈ શકે છે એવા લોકોની આખેઆખી પ્રજાતિ હવે નેષ્ટનાબૂદ થવા પર આવી હોવાની વાત મીઠામાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી સંવેદનાઓની પીઠ પર વીંઝાય છે…
જમૂરા! ઓમ શાંતિ બોલ… કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી…
रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिये आ
ભલે રહી નારાજગી, દિલને દુઃખવવા તો આવ ! આવ, ફરીથી મને છોડી જવા માટે આવ.
कुछ तो मेरे पिन्दार-ए-मोहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिये आ
મારા પ્રેમના ગર્વનો થોડો તો ભ્રમ રહેવા દે ! તું પણ ક્યારેક મને મનાવવા આવ !
पहले से मरासिम ना सही फिर भी कभी तो
रस्म-ओ-रहे दुनिया ही निभाने के लिये आ
ભલે પહેલા જેવો મેળ ન હોય, તો પણ ક્યારેક તો દુનિયાદારીની રસ્મ નિભાવવા ખાતર તો આવ !
इक उम्र से हूँ लज्ज़त-ए-गिरया से भी महरूम
ऐ राहत-ए-जां मुझको रुलाने के लिये आ
એક આખી જિંદગીથી દિલ ખોલીને રડવું પણ નસીબ નથી, ઓ પ્રાણપ્રિયા મને રડાવવા ખાતર તો આવ !
माना के मोहब्बत का छुपाना है मोहब्बत
चुपके से किसी रोज़ जताने के लिए आ
માન્યું કે મહોબ્બ્તને છુપાવવું એ પણ મહોબ્બત જ તો છે ! ચુપકીથી કોઈ દિવસ તે સાબિત કરવા આવ !
जैसे तुम्हें आते हैं ना आने के बहाने
ऐसे ही किसी रोज़ न जाने के लिए आ
જેમ તને ન આવવાના બહાનાઓ આવડે છે, તે જ રીતે કોઈ દિ’ ન જવા માટે આવ !
किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से खफा है तो ज़माने के लिये आ
કોને કોને કહેતા ફરીશું જુદાઈના કારણો ? તું મારાથી નારાજ છે તો કમ સે કમ જમાનાને ખાતર તો આવ !
अब तक दिल-ए-खुशफ़हम को हैं तुझ से उम्मीदें
ये आखिरी शम्में भी बुझाने के लिये आ
આ દિશાભ્રમિત દિલને હજુ તારાથી ઉમ્મીદ છે, બસ, હવે આ આખરી શમાને પણ બુઝાવવા આવ !
– અહમદ ફરાઝ
વેલેંટાઈન ડે પર એક શુદ્ધ પ્રેમનું ગાન મૂકવું હતું, આંખો બંધ કરી તો પહેલી આ ગઝલ યાદ આવી. એક એક શેર એક એક કિતાબ બરાબર છે….
એક માન્યતા એવી છે કે રોમેન્ટિક પ્રેમ એ આત્મવંચનાનો જ એક પ્રકાર છે. આ વાતથી વધુ હાસ્યાસ્પદ વાત મને કોઈ નથી લાગી. જિબ્રાન કહે છે ને કે – ” તમારામાં પાત્રતા હશે તો પ્રેમ તમને એના આગોશમાં સમાવશે.”
ગઝલનો ભાવ કરુણ છે, પણ વાત તડપની છે. પ્રેમની છટપટાહટની છે. ભક્ત જેમ ભિન્નભિન્ન પ્રકારે ભગવાનને આવવા વિનવે છે તેમ માશૂકને આવવા હજાર વિનંતી આશિક કરે છે. કારણ તારી મરજીનું રાખ પ્રિયે, પણ એકવાર આવ…..
હજારો લોઢ લોઢાયા અને કરમાઈ ગઈ કાયા,
થઈ છે જિંદગી દોઝખ છતાંયે ઘાવ તાજો છે.
વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી
મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.
– પારુલ ખખ્ખર
આજની તારીખે કાવ્યક્ષેત્રે સક્રિય તમામ સર્જકોમાં પારુલ ખખ્ખરનું સ્થાન સાવ નોખું તરી આવે છે. ગીતોમાં તો એમની ગતિ સૌથી ન્યારી છે જ, ગઝલોમાં પણ એમણે અલગ કાઠુ કાઢ્યું છે. ‘છતાંયે ઘાવ તાજો છે’ જેવી નિભાવવી અઘરી પડે એવી રદીફને કવયિત્રીએ તંતોતંત સાચવી છે. ઊડીને આંખે વળગે એવું ગઝલનું બીજું જમા પાસું છે પ્રમાણમાં અરુઢ અને ચુસ્ત કાફિયાઓની પસંદગી. રદીફ-કાફિયાની બેવડી કસોટીમાંથી પાર ઉતરીને સર્જકે આપણને લાંબો સમય મનોમસ્તિષ્કમાં તાજી રહે એવી મજાની સંઘેડાઉતાર રચના આપી છે, એને હળવે હળવે મમળાવીએ…
जो न आया उसे कोई ज़ंजीर-ए-दर
हर सदा पर बुलाती रही रात भर
જે ન આવ્યું તેને કમાડની સાંકળ દરેક અવાજે બોલાવતી રહી…
एक उम्मीद से दिल बहलता रहा
इक तमन्ना सताती रही रात भर
એક ઉમ્મીદથી દિલ બહેલતું રહ્યું, એક તમન્ના રાતભર સતાવતી રહી…
– ફૈઝ અહમદ ફૈઝ
છાયા ગાંગુલીને કંઠે ગવાયેલી એક મશહૂર ફિલ્મી ગઝલ – કે જેની સાથે આ ગઝલને ઘણું સામ્ય છે તેના શાયર ફૈઝસાહેબ નથી, તે ગઝલ મખદૂમ મોહીઉદ્દીનસાહેબની છે. આ ગઝલ મુકવાનો ખાસ હેતુ એ કે કોઈ શેર એવો કંઈ ખાસ નથી, ન તો અર્થનું ઊંડાણ છે. પરંતુ આ ગઝલ એક ચિત્ર સર્જે છે, એક માહોલ ઊભો કરે છે, એક મૂડ બનાવે છે અને ભાવક એક અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. જો આ ગઝલ સાંભળીએ તો આખો દિવસ આ જ ગઝલ મનમાં ગૂંજ્યા કરે અને દિલને સતાવતી રહે….આ જ ખૂબી છે આ ગઝલની અને આ જ સફળતા છે આ શાયરની….
February 4, 2022 at 10:46 AM by વિવેક · Filed under ગઝલ, વિકી ત્રિવેદી
પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.
યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!
સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.
પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.
જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?
તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.
જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.
ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!
– વિકી ત્રિવેદી
સરસ મજાની ગઝલ. મન ઊઠાવી ન શકે એટલો બોજ વેંઢારી વેંઢારીને આપણે સહુ અકાળે તૂટી-ઝૂકી-હારી જતાં હોઈએ છીએ. પણ સમજુ માણસ એ જ કે પહેલાં મનની ક્ષમતાનો તાગ મેળવી લે અને પછી માફકસરનો બોજો લઈને જ દુનિયામાં ભટકવા નીકળે. રમકડાંવાળો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. ઈશ્વરને સંબોધીને દુનિયાને સંભળાવવામાં આવેલી વાત કવિની પોતાની આપવીતી છે. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય જીવનના દારૂણતમ સંજોગોનો માર વેઠીનેય અડીખમ રહી સ્વબળે આગળ આવેલ માણસ જ આ શેર કહી શકે. વગર માપે બનેલ પગરખું પહેરવાથી જે તકલીફ થાય એની વાત જિંદગીના ઉપલક્ષમાં કરતો શેર પણ ખૂબ મજબૂત થયો છે. લખાયેલ બધા જ શેર પ્રગટ કરવા બાબત થોડી તાકીદ કેળવી શકાય તો આ ગઝલકાર ટૂંકા સમયમાં કાઠુ કાઢવાની ક્ષમતા ધરાવે છે. સ્નેહકામનાઓ…
February 3, 2022 at 10:48 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.
પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.
તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.
મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.
ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.
– ડૉ.મનોજ જોશી ‘મન’
મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.
January 28, 2022 at 11:29 AM by વિવેક · Filed under ગઝલ, ધ્રુવ ભટ્ટ
નામ સ્મરણ ને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला
કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला
કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला
જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે
નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला
એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला
– ધ્રુવ ભટ્ટ
હિંદી-ગુજરાતી મિશ્રભાષી આ રચનાને ગઝલ કહેવી કે ગઝલનુમા ગીત કહેવું એ જરા દોહ્યલું છે. ગઝલ ગણીએ તો મત્લામાં લલ્લા સાથે અલ્લાનો પ્રાસ બેસાડ્યો હોવાથી એને કાફિયા ગણવા પડે પણ આગળ જતાં બાકીના શેરોમાં અલ્લા રદીફનો એક ભાગ હોવાનું પ્રમાણિત થાય છે અને લોલમલોલ-મોલ-બોલ વગેરે કાફિયાની જગ્યા લે છે, પણ આખરી શેરમાં વળી છોડ વાપર્યું છે ત્યાં કાફિયાદોષ થયો ગણાય.
પણ બે ઘડી રચનાના સ્વરૂપને બાજુએ મૂકીને એને ફક્ત કવિતા તરીકે એને પ્રમાણીએ તો આખી રચના મસ્ત મજાની થઈ છે. પાંચેય શેર જાનદાર થયા છે અને વાંચતાવેંત સોંસરવા ઉતરી જાય છે. ફરી-ફરીને વાંચો તો વધુ ને વધુ ગમતા જાય એવા…
January 22, 2022 at 11:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ઘોરડા
ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી,
અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી.
હવે પર્વતોના રસ્તા સમી વાત આપણી છે,
અમે મૌન વાંકું વાળ્યું, તમે ચુપકીદી મરોડી.
એ સુવાસ આપણી ક્યાં હવે કંઈ બચી કે કૂચી,
જે અમે પવનમાં બાંધી, જે તમે હવામાં ખોડી.
હતી આપણી પળો પણ જે સમય વીત્યો, હા, એમાં
અમે પણ ઉઠાવી ઓછી, તમે પણ વીણી એ થોડી.
હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.
– હેમંત ધોરડા
(છંદવિધાન: લલગાલગા લગાગા લલગાલગા લગાગા)
સંબંધના સાગરમાં ક્યારેક સાથે સફર ખેડી હોય એવી બે વ્યક્તિ જીવનના કોઈક દોરાહે આવીને અલગ થઈ જાય એ સમયની સમ-વેદનાની સ-રસ મુસલસલ ગઝલ. પાંચેય શેરમાં બે જણની બદલાયેલી દિશાઓ અને દશાઓનો વિરોધાભાસ આપણા હૈયાને આરપાર વીંધી જાય એ રીતે રજૂ થયો છે… મજાની સંઘેડાઉતાર રચના…
જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!
આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં!
– જિતેન્દ્ર પ્રજાપતિ
લયસ્તરો પર કવિશ્રીના નવા સંગ્રહ ‘પાછો ફર્યો છું હું’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…
આમ તો બધા શેર મજાના થયા છે પણ પંખીઓ ઝાડ છોડી જાય એ પછી ઝાડના સૂનકારને ફણગા ફૂટવાની વાત શિરમોર છે. રાત્રે પ્રિયજનનું સ્વપ્ન આવતાં ઘોર અંધારામાં તડકા ફૂટવાવાળો શેર વાંચતા હરીન્દ્ર દવેનો ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ શેર સહજ યાદ આવે… બંને શેર પોતપોતાની રીતે અલગ અને બળુકા છે.
January 6, 2022 at 11:17 AM by વિવેક · Filed under ગઝલ, દક્ષેશ ઠાકર ડો
જરા જેટલી પણ બગાવત નથી, હોં!
ખુદા સાથે મારે અદાવત નથી, હોં!
ભલેને કર્યો ના કદી ન્યાય એણે,
છતાં એના માટે શિકાયત નથી, હોં!
તમે કોઈનાં આંસુ લૂછી શકો તો,
કોઈ એના જેવી ઇબાદત નથી, હોં!
ગમે તેટલા ચાંદ નખરા કરે, પણ
નથી, તારા જેવી નજાકત નથી, હોં!
હતો એ સમય ને હતી કેવી દુનિયા!
હવે માણસોમાં શરાફત નથી, હોં!
– ડૉ. દક્ષેશ ઠાકર
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાહોશતમ કુલપતિ તરીકે અને અનેક પુસ્તકોના લેખક-સંપાદક તરીકે આપણે સહુ એમને ઓળખીએ છીએ. એમની ગતિ અને પ્રગતિ જોઈએ તો ઓત્તારીની જ બોલાઈ જાય! જુઓ તો, ગઝલની દુનિયામાં એમણે હજી તો પહેલું પગલું જ મૂક્યું હતું ને એક જ વરસમાં તો ગઝલસંગ્રહ પણ હાજર થઈ ગયો… નામ પણ ‘ઓત્તારીની’ જ! લયસ્તરો પર કવિનું અને ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત કરીએ છીએ અને સંગ્રહમાંથી એક મજાની રચના રજૂ કરીએ છીએ…
January 1, 2022 at 11:40 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
નથી ઊંચકાતાં વજનદાર વર્ષો,
છતાં જાય ભાગ્યાં તડામાર વર્ષો.
તમારા પછીનું આ પહેલું વરસ છે,
હવે કાપવાનાં લગાતાર વર્ષો.
યુગોના યુગોથી જે ક્ષણ ના ભૂલાતી,
એ ક્ષણમાં ભૂલાતાં ઘણીવાર વર્ષો.
અચાનક નવા સ્વાંગમાં આવી ઊભાં,
કર્યાં’તાં અમે જે તડીપાર વર્ષો.
ઘણું છીનવ્યું છે, હજુયે છીનવશે,
છે મારાં, તમારાં ગુનેગાર વર્ષો.
જે બેચાર વર્ષોમાં ખૂલ્યાં ને ખીલ્યાં
જીવાડે હવે એ જ બેચાર વર્ષો.
લખે છે કવિતા એ મારાથી ઊંચી
છે મારાથી ઊંચા કલાકાર વર્ષો.
– પારુલ ખખ્ખર
કોરોનાગ્રસ્ત વીસ અને એકવીસ તો વીત્યાં… બાવીસની શરૂઆત પણ કોરોનાના પુનઃસૂર્યોદયથી જ થઈ છે… આવામાં વર્ષોની વાત કરતી એક મનભર રચનાથી વર્ષ બે હજાર બાવીસનો પ્રારંભ કરીએ… ઉમદા કસબ અને શબ્દગૂંફણીના કારણે રચના આખીયે મનનીય થઈ છે…
સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે… ભલા માણસ જેવી વિશિષ્ટ રદીફ કવિએ કેવી સુપેરે નિભાવી છે એ ખાસ નોંધવા જેવું છે… એ સિવાય આખી ગઝલ સહજ-સાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણીની મોહતાજ નથી,…
December 27, 2021 at 1:37 PM by તીર્થેશ · Filed under ગઝલ, ગાલિબ
मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ कि फिर आ भी न सकूँ
ગઝલસમ્રાટ ગાલિબનો આજે જન્મદિન છે. એમની પ્રતિભાની વાત કરવી એ સૂર્યને દીવો ધરવા સમાન છે. આ ગઝલનો મક્તો જગમશહૂર છે. આ એક જ શેર કહેતે તો પણ ગાલિબ અમર થઈ ગયા હોત… આખી ગઝલ એક પ્રકારની વક્રોક્તિમાં કહેવાઈ છે, જે ઉસ્તાદની ખાસિયત છે.
ज़ोफ़ में ताना-ए-अग़्यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ
નબળા સમયમાં પરજનના ટોણાંની ફરિયાદ કેમ વળી ? વાત એ કંઈ માથું તો નથી કે જે ઊંચકી પણ ન શકું !! અર્થાત – મારા ખરાબ સમયમાં પરાયાના ટોણાં તો હું માથે ઝીલી લઈશ, એ ટોણાં કંઈ વિદ્રોહમાં ઉઠનારું મસ્તક તો નથી કે જે હું કદી ઉઠાવી જ ન શકું !! – કલાકારી જુઓ શબ્દોની !!! વાહ…
ज़हर मिलता ही नहीं मुझ को सितमगर वर्ना
क्या क़सम है तिरे मिलने की कि खा भी न सकूँ
ક્યાંક ઝેર મળી જાય તો તે ખુશીખુશી ખાઈ લઉં ઓ સિતમગર, પણ ઝેર કશે મળતું જ નથી. ઝેર એ કંઈ તારા મળવાની કસમ થોડી જ છે કે જે ખાઈ પણ ન શકું ? – અર્થાત – તું તો મળવાની છે જ નહીં…..
इस क़दर ज़ब्त कहाँ है कभी आ भी न सकूँ
सितम इतना तो न कीजे कि उठा भी न सकूँ
એવો જબરદસ્ત જાત ઉપર કાબૂ તો છે જ નહીં કે કદી આવું જ નહીં. એટલો સિતમ ન કરો કે ઉઠાવવો શક્ય જ ન રહે – નહીંતર પછી ખરેખર કદી નહીં આવું…..
लग गई आग अगर घर को तो अंदेशा क्या
शो’ला-ए-दिल तो नहीं है कि बुझा भी न सकूँ
ઘર સળગી ગયું તો ભય કેવો ? – એ તો બુઝાવી દઈશ. હ્ર્દયની આગ તો નથી કે જે બૂઝાવી જ ન શકું !!
तुम न आओगे तो मरने की हैं सौ तदबीरें
मौत कुछ तुम तो नहीं हो कि बुला भी न सकूँ
તું નહીં આવે તો મારી પાસે મરવાની સેંકડો તરકીબો છે, મોતને બોલાવવું સહેલું છે – મોત કંઈ તુજસમાન થોડું જ છે ? અદભૂત વક્રોક્તિ !!! વાહ વાહ….
हँस के बुलवाइए मिट जाएगा सब दिल का गिला
क्या तसव्वुर है तुम्हारा कि मिटा भी न सकूँ
મુસ્કુરાહટ સાથે બોલાવશો તો દિલની બધી શિકાયત મટી જશે. હૃદયની ફરિયાદો એ કંઈ તારા ખ્યાલો નથી કે જે મિટાવી જ ન શકાય…..
શિયાળો બેસે અને ગામે ગામ જાણે “પરણેતર”નો મેળો લાગે. આવામાં કાચા-કુંવારાઓની કાચી-કુંવારી મોસમમાં એક નજર બીજીમાં પ્રોવાય એ નજારા ખીલી રહ્યા છે. બીજો શેર પ્રમાણમાં ઠીકઠાક છે પણ ત્રીજો શેર બળકટ થયો છે. ડિસેમ્બરનો પારોય મજા કરાવે છે. પણ ખરી મજા તો ચાંદદાનીની છે. એકદમ નવીન કલ્પન અને મૌલિક અભિવ્યક્તિ સાથેનો એ શેર બળુકો થયો છે. શિકારામાં રંગ ફરી થોડો ઊપટેલ દેખાય છે પણ મક્તા તો દુબારા દુબારા પોકારાવી દે એવો રંગદાર… સરવાળે મસ્ત મજાની ગઝલ…
December 22, 2021 at 8:48 AM by તીર્થેશ · Filed under ગઝલ, પરવીન શાકિર
बिछड़ा है जो इक बार तो मिलते नहीं देखा
इस ज़ख़्म को हम ने कभी सिलते नहीं देखा
બિછડનાર ફરીને મળતો નથી…આ ઝખ્મ ભરાતો નથી
इक बार जिसे चाट गई धूप की ख़्वाहिश
फिर शाख़ पे उस फूल को खिलते नहीं देखा
અર્થાત – એકવાર દૌલતની ચમક આંખને આંજી નાખે, પછી એમાં કોમળ લાગણીને પારખવાની શક્તિ નથી રહેતી. “પૂરબ ઔર પશ્ચિમ ” પિક્ચરનું ગીત યાદ આવી જાય – ” નઝર મેં સિતારે જો ચમકે ઝરા, બૂઝાને લગી આરતી કા દિયા ”
यक-लख़्त गिरा है तो जड़ें तक निकल आईं
जिस पेड़ को आँधी में भी हिलते नहीं देखा
એકાએક એવું ઉખડયું કે મૂળસોતું પડી ગયું, એ વૃક્ષ કે જે આંધીમાં તસુભર હાલ્યું નહોતું…. – પાષાણને તલવાર ન તોડી શકે, કુમળા છોડના મૂળિયાં પાષાણને વીંધી નાખે ! બીજા અર્થમાં, પરાયાના ઘા સહી શકાય, પોતીકાની એક ટપલી આપણને મૂળસોતા જમીનદોસ્ત કરી દે.
काँटों में घिरे फूल को चूम आएगी लेकिन
तितली के परों को कभी छिलते नहीं देखा
આ શેર શિરમોર છે. આ શેરને ખાતર આખી ગઝલ અહીં મૂકી છે. વાહ !!
किस तरह मिरी रूह हरी कर गया आख़िर
वो ज़हर जिसे जिस्म में खिलते नहीं देखा
એ ઝેર એવું હતું જે માત્ર આત્મા પર જ અસર કરી ગયું. એ શરીર પર અસર બેઅસર રહ્યું. અર્થાત – સનમનો પ્રહાર એવો આકરો હતો કે તેણે સીધો આત્મા પર જ આઘાત કર્યો…..
આમ તો શિયાળો બરાબર જામ્યો છે પણ કેટલીક કવિતાઓ બારમાસી હોય છે. વરસાદ ઉપર કવિનું આ પાંચ શેરનું મેઘદૂતમ્ તો જરા જુઓ! વરસાદ કેમ આવે છે એ સવાલ પૂછ્યા વિના કવિ જવાબ આપે છે કે કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે એટલે વરસાદ આવે છે. મેઘધનુષ ગમે એટલું સુંદર કેમ ન લાગે, એનું આયુષ્ય બહુ અલ્પ જ હોવાનું. જીવનની ફિલસૂફી જ સમજો ને! નાની અમથી વસ્તુ પણ બહુ મોટી અસર જન્માવી શકે છે, ખરું ને? ક્ષણાર્ધ માટે આકાશમાં ઝબકી જતી વીજળીના ચમકારા કોને પસંદ નહીં હોય, કહો તો?! પથ્થર પર ઘાસ ઊગે એ હકીકતને કવિ પથ્થરદિલ પ્રિયજનના હૃદયમાં લાગણી ફૂટવા સાથે સ-રસ રીતે સાંકળી લઈ પ્રેમીઓને નિરાશ ન થવાનો કાવ્યાત્મક સંદેશ આપે છે. અને છેલ્લો શેર… વાત તો સાચી જ છે ને! વરસાદની આ કવિતા આમ અહીં વાંચવાના બદલે એ વરસતો હોય ત્યારે તરબોળ થવાનો આનંદ કેમ ન લેવો?
December 17, 2021 at 12:58 AM by વિવેક · Filed under ગઝલ, દર્શક આચાર્ય
પ્હાડને તોડ, પણ સમજ સાથે,
જાતને જોડ, પણ સમજ સાથે.
સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ, પણ સમજ સાથે.
દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.
વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ, પણ સમજ સાથે.
સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ, પણ સમજ સાથે.
– દર્શક આચાર્ય
લયસ્તરો પર કવિશ્રી અને એમના ગઝલસંગ્રહ ‘સાંસોટ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…
ચુસ્ત કાફિયા અને ઊંડું મનન માંગી લેતી અર્થગર્ભિત રદીફ હોવા છતાંય સહજસાધ્ય રજૂઆત સાથેની આ ગઝલ સાચા અર્થમાં ધ્યાનાર્હ છે. ઓછી જગ્યામાં સ-રસ નકશીકામ થયું છે. દરેક શેરમાં ‘પણ’ના પ્રયોગથી પોતાની વાતને અધોરેખિત કરવા માટેની કવિની ઇચ્છા આબેહૂબ ઉપસી આવી છે અને ‘સમજ સાથે’ પ્રયોગ અધોરેખિત થયેલી વાતને વળ ચડાવીને સફળતાપૂર્વક એક્સ્ટ્રા હાઇલાઇટ પણ કરી આપે છે. સરવાળે સંઘેડાઉતાર રચના.
November 25, 2021 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.
એમાં કોઈ જો ભાગ ન લે, મારી શી કસુર,
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.
કુદરતને એની જાણ છે, બુલબુલને શું ખબર,
કાલે હશે એ શું કે જે આજે ગુલાબ છે.
આઘાત એનો કોઈ સ્વમાની હૃદયને પૂછ,
હમદર્દીઓ જગતની ખરેખર અઝાબ છે.
કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.
તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના,
એ આફતાબ! તું તો ફકત આફતાબ છે.
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધુ બેહિસાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.
ચારિત્ર હો ગુલાબની સુરત સમુ ‘મરીઝ’,
જે બાજુથી જુઓ, અતિ સુંદર ગુલાબ છે.
– મરીઝ
મરીઝની આ અતિસુંદર ગઝલ ઇન્ટરનેટ પર આખી જોવા મળતી નથી અને કેટલાક શેર જોવા મળે છે, પણ એય ભૂલભરેલા… અમુક લોકોએ તો મરીઝે લખ્યો નથી એવો મક્તા પણ ઉમેર્યો છે… આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે આ ગઝલ આખેઆખી…
November 20, 2021 at 12:20 AM by વિવેક · Filed under કિશોર જીકાદરા, ગઝલ
બ્હેતર છે કે ખુદના ઘરમાં પાડું બાખું,
શા માટે હું અન્યોનાં જીવનમાં ઝાંખું?
ચોખલિયો છું, કપડાં ધોવા બેસું તો હું,
ભેગાભેગું મેલું મન પણ ધોઈ જ નાખું!
સાચું કહું તો ડાઘ તમારી દૃષ્ટિમાં છે,
ચંદ્રવદન પર અમને તો લાગે છે લાખું!
હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે,
પોતીકું અજવાળું મારું સાથે રાખું!
મરતાંને ક્યારેય નથી મેં મર કીધું તો,
યાર, તમારું ભાવિ કેમ અમંગળ ભાખું?
તડ ને ફડ કરવામાં પૂરું જોખમ છે પણ,
દાદાગીરી શ્વાસોની હું ક્યાં લગ સાંખું?
ખોવાયેલી ખુશીઓથી મેળાપ કરાવો,
રાજીપામાં ગામ લખી દઉં આખેઆખું!
– કિશોર જિકાદરા
સમાજની તાસીર તો પહેલાં પણ આ જ હતી, પણ સૉશ્યલ મિડીયાની બારીમાંથી ઝાંખતા રહેવાની પડેલી આદતને લઈને બીજાના જીવનમાં ચંચુપાત કરવાની બિમારી જેટલી આજે વકરી છે એટલી આ પહેલાં કદાચ ક્યારેય નહોતી. કવિનો અભિગમ આવા સમયમાં કેવો ઉત્તમ અને ઉમદા છે એ મત્લામાં વર્તાય છે. આખી ગઝલ ધનમૂલક થઈ છે. બધા જ શેરમાંથી ‘પોઝિટિવિટી’ની રોશની ઊઠી રહી છે. પોતીકું અજવાળું વાળો શેર વાંચીએ ત્યારે સહેજે રઈશ મનીઆરનો ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ યાદ આવ્યા વિના રહેતો નથી.
આ પ્રકારના અરુઢ અને ચુસ્ત કાફિયા સથે કામ પાર પાડવું એ સફળ અને સજ્જ કવિકર્મની નિશાની છે.
આ એક જ જ્ઞાનના આધાર પર ઉન્નત થવાનું છે,
કોઈને કંઈ કહ્યા વિના બધું છોડી જવાનું છે.
ચમક આંખોમાં લઈને દ્વાર પર શું કામ ઉભા છો?
શું અજવાળું લઈને સાંજે કોઈ આવવાનું છે?
ભલે ગુમાવી દઉં હું જાત પણ ચોપાટ નહીં છોડું,
એ ખુશ ના થાય ત્યાં સુધી રમતમાં હારવાનું છે.
સમય-સંજોગની ઠોકરથી જેના થ્યા છે સો ટુકડા,
ખુમારીનો લઈ ધાગો એ સપનું સાંધવાનું છે.
મેં પાછું લઈ લીધું છે ટાંકણું એને જે સોંપ્યું’તું,
નવેસરથી હવે અસ્તિત્વને કંડારવાનું છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
સરસ મજાની ગઝલ… બધા જ શેર મજાના છે પણ મત્લા અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાન માંગી લે એવા.. ત્રીજા અને પાંચમા શેરમાં સ્ત્રીસર્જકની ઉપસ્થિતિ પણ બહુ સરસ રીતે વર્તાય છે…
October 30, 2021 at 4:15 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કહ્યું છે કદી કે મને કંઈ દવા દે?
જૂનાં દર્દ થાકી ગયાં છે, નવા દે.
ભલે જોમ છે એ છતાં બેસવા દે,
હવે થોડું મંઝિલને પણ ચાલવા દે.
ચલણમાં એ ક્યારેક તો આવશે ને!
પ્રણયના જ સિક્કા મને છાપવા દે.
હજારો વખત એણે માર્યો, હવે બસ
સમજદારીને ગોળીએ મારવા દે.
ન આપ્યાં જગતને છતાં પણ મેં પાળ્યાં,
જે ખુદને દીધાં એ વચન પાળવા દે.
સરસ છે, સરસ છે, જો આંખોએ કીધું,
હૃદય બોલી ઉઠ્યું- જવા દે જવા દે!
– સંદીપ પૂજારા
ગઈકાલે જ છંદનો સુચારુ ઉપયોગ ગઝલને કેવો ઉપકારક નીવડી શકે છે એની વાત કરી અને આજે એ જ છંદમાં અન્ય એક રચના. છેલ્લા શેરમાં સરસ છે સરસ છે અને જવા દે જવા દેની પુનરુક્તિ છંદ અને કવિતાને સમરસ કરી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે. કવિ બનવું હોય તો દર્દ સાથે તો ઘરોબો રાખવો જ પડે. મત્લામાં આ વાત બહુ સરસ રીતે રજુ થઇ છે. બધા જ શેર સરસ થયા છે, માત્ર સિક્કાને છાપવાવાળી વાત થોડી અલગ પડી જતી લાગી. શુદ્ધ ભાષા વ્યવહારમાં આપણે નોટ છાપવી અને સિક્કા બહાર પાડવા એમ પ્રયોગ કરતાં હોઈએ છીએ. રૂઢિપ્રયોગ પણ ‘સિક્કા પડવા’ એમ જ છે, એટલે સિક્કા છાપવાની વાત ભાષાની દ્રષ્ટિએ થોડી અસંગત લાગે છે. સરવાળે સંતર્પક રચના.
પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’
– ડૉ. મનોજ જોશી ‘મન’
છંદ સામાન્યરીતે કવિતાને રજૂ કરવાનું વાહન માત્ર બની રહેતો હોય છે, પણ ક્યારેક કવિ છંદનો બખૂબી પ્રયોગ કરીને છંદને માત્ર વાહન ન રહેવા દેતાં, કાવ્યવહનના વહેણમાં આબાદ ભેળવીને કવિતાની એક અલગ જ ફ્લૅવર સર્જવામાં સફળ થતા હોય છે. જુઓ આ ગઝલ… મત્લામાં અહો અહોના બે વારના લટકા અને નયન, નેણ. નર્તન સાથે વદન, વેણ, વર્તનના આંતર્પ્રાસની સાંકળી તથા ‘ન’-‘વ’ની વર્ણસગાઈ પ્રયોજીને કવિએ લગાગા લગાગાના આવર્તનોને કેવા ખપમાં લીધા છે!
બસ, આટલી ટિપ્પણી કર્યા બાદ આ મસ્તમૌલા શૃંગાર-રચના અને આપની વચ્ચે હું ક્ષણભરનો પણ અંતરાય નહીં બનું… મોટેથી વાંચો અને મજા લો…
October 28, 2021 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.
એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.
નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.
સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.
સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.
– હેમંત પૂણેકર
સાવ અલગ જ તરેહની ગઝલ… લગભગ બધા જ કલ્પન અનૂઠા અને અદભુત! પ્રિયજનની યાદો માટે મનમાં દુનિયાની નજર ન પડે એવું અલાયદું ખાનું હોવાની વાત જ કેવી મજાની અને સાચી છે! વળી આ મનનું ભંડકિયું કઈ રીતે ખૂલતું હશે વો સવાલ કરીને કવિ પેચકસ-પાનાંની વાત કરે છે. સાવ જ અરુઢ પણ કેવું મજાનું રૂપક. કેદની વ્યાખ્યા દરેકની અલગ-અલગ હોવાની. ઘણાં પંખીને પિંજરું કેદ લાગે છે પણ શક્યતાઓની એક-એક સરહદ ચકાસી લેનાર અને नेति नेतिનો જીવનમંત્ર જીવનારને તો આકાશ આખું પણ એક પિંજરું જ લાગશે ને! સત્ય પીરસવાની વાત કરતા શેરના સાની મિસરામાં શરૂમાં નાનકડો છંદદોષ રહી ગયો છે (કવિના મતે matter over meter), એને અવગણીએ તો આખીય રચના નિરવદ્ય સંઘેડાઉતાર થઈ છે…
કવિના બીજા સંગ્રહ ‘ત્યારે જીવાય છે’નું સહૃદય સ્વાગત. આ સંગ્રહ સાથે કવિમિત્ર હિમલ પંડ્યાએ કેટલીક નૂતન કેડી પણ કંડારી છે… પ્રકાશન પાછળ થયેલ ખર્ચ સુદ્ધાં બાદ કર્યા વગર સંગ્રહના વેચાણમાંથી સાંપડેલ તમામ વકરો એમણે સમાજ અને સાહિત્યની સેવા માટે દાન કરી દીધો છે. આ સિવાય આ સંગ્રહની તમામ રચનાઓ સાથે કવિએ QR Code આપ્યા છે, જેને સ્કેન કરવાથી યુટ્યુબ ઉપર સમાજના પ્રસિદ્ધ સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમીઓ વડે કરાયેલું જે તે રચનાનું પઠન પણ માણવા મળશે. સંગ્રહમાંથી એક નાની બહેરની પણ મોટા ગજાની રચના આજે લયસ્તરોના મિત્રો માટે…
October 15, 2021 at 2:39 AM by વિવેક · Filed under અઝીઝ કાદરી, ગઝલ
અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.
તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.
તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.
સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.
કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.
– અઝીઝ કાદરી
ખ્યાતનામ શાયર શકીલ કાદરીના વાલિદ જનાબ અઝીઝ કાદરી પણ ખ્યાતનામ શાયર અને ઉર્દૂના ઊંડા જાણકાર હતા. ૦૯-૧૦-૨૦૨૧ના રોજ તેઓ જન્નતનશીન થયા. એમની એક મનનીય રચના સાથે એમને હૃદયપૂર્વક શબ્દાંજલિ આપીએ…
October 7, 2021 at 1:03 AM by વિવેક · Filed under ગઝલ, નેહલ વૈદ્ય
પ્રત્યેક ક્ષણમાં સાચું જીવાય તો મજાનું,
હર પળ છે એક ઉત્સવ, ઉજવાય તો મજાનું.
આવે છે જો, હવામાં સંદેશ મોસમોના,
ફૂલો લખે છે ચિઠ્ઠી, વંચાય તો મજાનું.
વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું.
વાતો રહે અધૂરી, મિલન બને મધૂરું;
આંખોની મૌન ભાષા સમજાય તો મજાનું
હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.
– નેહલ વૈદ્ય
હિતેન આનંદપરા અને આપણું આંગણું ડૉટ કોમ આયોજિત ગઝલશિબિરમાં રઈશ મનીઆરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવેલ પંક્તિ અને હૉમવર્કની આ સફળ ફળશ્રુતિ… શાળા અને કૉલેજમાં મારી સિનિયર રહેલ ડૉ નેહલ વૈધ (એમ.ડી. મેડિસીન)ને હું વિશ્વકવિતાના ઉત્તમ ભાવક તરીકે લાંબા સમયથી ઓળખું છું. એની અછાંદસ રચનાઓનો પણ લાંબા સમયથી પરિચય ખરો, પણ ગઝલકાર તરીકે એ પહેલીવાર મારી સામે આવી અને મારામાં રહેલા ભાવકને મોહિત કરી દીધો.