ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સધ્ધર બની ગયું છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ઠોકર ખમીખમીને નક્કર બની ગયું છે,
હોવાપણુ હવે તો પગભર બની ગયું છે.

દસ વીસ સારી માઠી યાદો બચી ગઈ છે,
બાકી બધું પડીને પાદર બની ગયું છે.

મોભાને લઈને એવો ગંભીર થઈ ગયો કે,
મસ્તી-મજાક, હસવું દુષ્કર બની ગયું છે.

તારી બરાબરીનું દેખાય ના તને કોઈ,
તારી નજરમાં તારું એ સ્તર બની ગયું છે.

સુખમાં જીવી જવાની ચાવી મળી ગઈ પણ,
કોઈ રમકડાં જેવુ જીવતર બની ગયું છે.

કપરા સમયમાં મારી ખૂટવા ન દે એ હિંમત,
‘ધીરજ’નુ ખાતું એવું સધ્ધર બની ગયું છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

લયસ્તરો પર કવિમિત્ર ગુણવંત ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહ ‘એની તૈયારી નથી’નું સહૃદય સ્વાગત…

સરળ બાનીમાં સહજ, સંતર્પક પણ અર્થગહન રચના…

Comments (3)

કરું શું ? – હરીશ મીનાશ્રુ

ના ઈંગિત અણસાર- કરું શું ?
મૃગજળ મુશળધાર – કરું શું ?

અવળમુખે જળથળમાં ઝળક્યા
એકાદશ અવતાર, – કરું શું ?

ઈકડમ્ તિકડમ એક ચવની
શું શાં પૈસા ચાર, – કરું શું ?

વજન વિનાની ભાષાને તું
જા, કાયમ વેંઢાર – કરું શું ?

વાણીની પણ વરાળ થૈ ગૈ
તતડે કૈંક વિચાર,– કરું શું ?

ભીંત વગરના ઘરના માથે
છત-છપ્પરના ભાર, -કરું શું ?

ચણીબોર રાતુંચટ, થૂ… થૂ…
ચાખ્યું તો અંગાર, – કરું શું ?

ચપટી રાત ભજવણાં ભારે
અઘરા કૈં કિરદાર, – કરું શું ?

સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?

હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?

કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?

– હરીશ મીનાશ્રુ

કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.

– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )

( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )

Comments (2)

નથી હોતી – હરીન્દ્ર દવે

હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી !

જીવનપુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે ?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.

ઘણી બેચેન ગાળું છું હું તુજ ઇતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.

એ મંઝિલ ક્યારની ગુજરી ગઈ, બેધ્યાન હમરાહી !
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.

તમારી યાદના રંગીન વનની મ્હેકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.

પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.

કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રદ્ધા નથી હોતી.

– હરીન્દ્ર દવે

લગભગ બધાં જ શેર ખૂબ જ મજબૂત 🙏🏻 – મક્તામાં બહુ મજા ન આવી…

Comments (2)

આસપાસ – સંજુ વાળા

અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ

ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ

તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ

શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ

ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ

– સંજુ વાળા

પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…

Comments (4)

(સરક્યાં હો જી) – હનીફ સાહિલ

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

– હનીફ સાહિલ

ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.

Comments (4)

ગણવાના હતા – ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.

નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.

પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.

ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.

બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.

કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.

– ભરત વિંઝુડા

કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?

Comments (3)

(ડરે છે!) – હરીશ ઠક્કર

મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!

બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.

ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.

જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!

– હરીશ ઠક્કર

માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…

Comments (9)

(નહિ કરું) – સંદીપ પૂજારા

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

– સંદીપ પૂજારા

પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.

Comments (16)

(રેનબસેરા) – બાબુલાલ ચાવડા ‘આતુર’

માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા

અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા

ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?

આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા

ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:

“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.

“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (6)

(તમારા ગયા પછી) – બરબાદ જૂનાગઢી

દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.

ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.

મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.

જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.

‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.

– બરબાદ જૂનાગઢી

સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.

જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.

Comments (8)

(બારણાં) – હર્ષા દવે

ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?

– હર્ષા દવે.

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…

ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં

“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”

*

ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.

Comments (9)

મળશે જરૂર – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.

જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.

માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.

જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.

માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…

આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.

Comments (8)

(સો-સો સલામ પણ) – હરીશ ઠક્કર

‘ગાલિબ,’ ‘મરીઝ,’ ‘શૂન્ય’ને સો-સો સલામ પણ,
કહેવાના બાકી છે હજી મારા કલામ પણ.

થોડીક જીહજૂરી છે, થોડો દમામ પણ;
બેગમનો બાદશાહ છું, એનો ગુલામ પણ.

મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.

તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.

દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.

તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.

આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.

– હરીશ ઠક્કર

કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.

ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.

Comments (8)

કદી મૌન થૈને સરી ગયા….- આદિલ મન્સૂરી

કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા

અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા

અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા

બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા

અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા

જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા

અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા

– આદિલ મન્સૂરી

 

આદિલની લાલાક્ષણિક છટા….સરળ બાની પણ અર્થગાંભીર્ય પૂરું…..

Comments (2)

હજી પણ – જવાહર બક્ષી

અને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે

મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે

ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે

અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે

મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે

– જવાહર બક્ષી

Comments (1)

લાગણી…… – મનોજ ખંડેરિયા

અર્થોની ગૂંચવણ મહીં ગૂંચવાય લાગણી;
શબ્દોને ઘેર આવતાં કરમાય લાગણી.

રસ્તાની જેમ કૈંક વળાંકે વળીવળી,
ફાંટો પડે છે એ સ્થળે ફંટાય લાગણી.

ભીંતે ખૂણામાં જાળું કર્યું છે કોળિયે,
આખાય ઘરની એ મહીં ગૂંચવાય લાગણી.

વાસી દીધી છે કોઈએ ડેલીની ભોગળો,
માથું પછાડી દ્વારે મરી જાય લાગણી.

સમળીની જેમ ચક્કરો કાપ્યાં કરે નભે,
તપતા બપોરે કેટલી અકળાય લાગણી.

ખંડેરના અવાવરુ એકાંતમાં હજી,
પ્રેતોની જેમ ઘૂમતી દેખાય લાગણી.

કાંઠાની જેમ હું તો પડ્યો રહું ઉદાસ થૈ,
સાગરના જળમાં દૂર જુઓ ન્હાય લાગણી.

– મનોજ ખંડેરિયા

Comments

ફણગો ફૂટે – શબનમ ખોજા

બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!

માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!

છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!

એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.

એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.

મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!

– શબનમ ખોજા

આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…

Comments (30)

નજર પહોંચી શકે…..- મનોજ ખંડેરિયા

નજર પહોંચી શકે ત્યાં લગી બસ શુષ્ક ધરણી છે;
વચાળે જિંદગી છે સમજી લે કે ફૂલખરણી છે.

લીલી દુર્વાની જેવાં આપણાં સપનાં ચરી જાતી;
સતત દેખાતી ગભરુ કિંતુ એ છેતરતી હરણી છે.

પુરાયાની પીડા ભૂલી ગયા સહુ બહાર જોવામાં,
જગત આખુંય જાણે કાચની આ એક બરણી છે.

પ્રવેશે છિદ્રમાંથી પાણી ત્યાં બસ આંગળી રાખી,
દીધેલી તેંય જન્મારાની કેવી કાણી તરણી છે.

ગઝલ મારી લખાયા બાદ નીરખીને મને થાતું,
પડી કાગળ ઉપર આ કોની પગલી કંકુવરણી છે.

તમારે મન ફક્ત ગજરો અમારે મ્હેકતો રેલો,
અમારી સાવ જુદી આપથી વિચારસરણી છે.

– મનોજ ખંડેરિયા

બળકટ ગઝલ….

Comments (3)

(કાગળે ચીતરેલાં) – દર્શક આચાર્ય

કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.

બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.

ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.

હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.

રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.

– દર્શક આચાર્ય

પાંચ શેરની ગઝલ. બધા જ નખશિખ આસ્વાદ્ય, પણ હું તો મત્લાથી જ આગળ વધી શકતો નથી. સીદીભાઈને સીદકાં વહાલાં. માણસનો સ્વ-ભાવ છે કે પોતાનું બનાવેલું ગમે તેવું કેમ ન હોય, એને તો ગમે જ. કાગળ પર કમળ દોરીને પછી એ જ કમળમાં ભમરાની જેમ ફસાઈ જવાના પ્રતીક સાથે કવિએ આ વાત કેવી અદભુત રીતે રજૂ કરી છે! આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ…

Comments (10)

ખયાલ ન કર – અદમ ટંકારવી

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

એ જ સંબંધની ચરમસીમા,
એમનાથી કોઈ સવાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે, તું નથી તારી મિલકત,
દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત, તું એટલી કમાલ ન કર.

– અદમ ટંકારવી

ટાઇમલેસ ક્લાસિક. છેલ્લો શેર તો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ શેરોની પંગતમાં મોખરે બિરાજમાન થાય એવો…

Comments (5)

શું કરશો ? – “નાઝિર” દેખૈયા

બળેલો છું હવે મુજને વધુ બાળીને શું કરશો?
રહ્યો ના અર્ક કંઈ બાકી, જીવન ગાળીને શું કરશો?

તમન્ના કંઈ નથી. મુજને હવે આ દીન-દુનિયાની,
જીવનની આપદા મારી હવે ટાળીને શું કરશો?

અમે માન્યું બીજાને તો તમે શિક્ષાય કરવાના,
ઉજાડે બાગ ખુદ માળી તો એ માળીને શું કરશો?

પતંગાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે વિરહે બળવાની,
તમે નાહક શમા જીવનની પ્રજવાળીને શું કરશો?

પુરાણી પ્રીત તોડીને ઊડી જાશે એ પળભરમાં,
પછી ખોટાં વચન એનાં તમે પાળીને શું કરશો?

જીવનમાંથી ઉમંગો, આશ, અરમાનો ગયાં ‘નાઝિર!”,
હવે પુષ્પો વગરની એકલી ડાળીને શું કરશો?

– “નાઝિર” દેખૈયા

Comments

મૃગજળની છાલકોથી…- ભગવતીકુમાર શર્મા

પંખી બની ઊડું છું હું રેતીના પટ ઉપર;
કલ્પું છું કે નદી છે : પ્રતિબિમ્બ જોઉં છું.

ઝરણું હો પગ તળે અને કંઠે તરસ ન હો;
એવી પરિસ્થિતિમાંયે ક્યારેક હોઉં છું.

બળબળતી આંખ કેરી જો છલના વધી પડે;
મૃગજળની છાલકોથી હું ચહેરાને ધોઉં છું.

ઝાકળ ને ઝાંઝવાંમાં તફાવત નથી હવે;
કોરી છે આંખો તોય અકારણ હું લ્હોઉં છું.

તારા વિરહમાં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એની મ્હેકની માળાઓ પ્રોઉં છું.

ટહુકાની પેલે પાર જે નિઃશ્વાસ ઓગળ્યો,
એમાં થીજી જઈને હું ચૂપચાપ રોઉં છું.

– ભગવતીકુમાર શર્મા

 

પ્રત્યેક શેર બળકટ….

Comments (4)

(તમે થોડો સમય આપો) – ભાવિન ગોપાણી

બુઝાવો નહીં, ઠરી જઈશું, તમે થોડો સમય આપો,
અમે જાતે મરી જઈશું, તમે થોડો સમય આપો.

ખબર છે કેટલું – ક્યારે અહીં ડરવું જરૂરી છે,
સમયસર થરથરી જઈશું, તમે થોડો સમય આપો.

ખુશામતની, ન પૂજાની, છે ઇચ્છા માત્ર દર્શનની,
પછી પાછા ફરી જઈશું, તમે થોડો સમય આપો.

ઘણાં વર્ષો પછી તરફેણનો વરસાદ આવ્યો છે,
અમે પણ પાંગરી જઈશું, તમે થોડો સમય આપો.

બિછાવી ફૂલ કે જાજમ અમે છટકી નહી જઈએ,
હયાતી પાથરી જઈશું તમે થોડો સમય આપો.

ટકી જઈશું હશે જે ભાગ્યમાં એનો સહારો લઈ,
ધુમાડો વાપરી જઈશું, તમે થોડો સમય આપો.

અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો.

– ભાવિન ગોપાણી

ગઝલની પૂર્વશરત છે કે રદીફ ગઝલમાં ઓગળી જવી જોઈએ. મોટાભાગની ગઝલોમાં રદીફ લટકણિયું બનીને અલગ પડી જતી હોય એવામાં ક્યારેક એવો સુખદ અપવાદ પણ જોવા મળે જ્યાં રદીફ ન માત્ર શેરમાં ઓગળી ગઈ હોય, શેરના અર્થમાં ઉમેરણ કરીને શેરને સવાશેર પણ બનાવતી હોય. પ્રસ્તુત ગઝલ આવો જ એક સુખદ અપવાદ છે. ધુમાડાવાળા એક શેરને બાદ કરતાં બાકીના છએ છ શેર મસ્ત મજાના થયા છે. એમાંય મત્લા, તરફેણનો વરસાદ અને આખરી શેર તો ભાઈ વાહ…! મજા આવી ગઈ કવિ…

Comments (17)

(પગલાં નથી પડતાં) – હરીશ ઠક્કર

સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.

પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

જ્યારે પડે ત્યારે પડે, હમણા નથી પડતા;
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.

એ રાહના રાહી જ વિખૂટા નથી પડતા,
જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.

‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.

દિલ ‘ના’ કહે એ કામ હું કરતો નથી કયારેય,
તેથી મને તકદીરના ફટકા નથી પડતા.

આંબાને સહન કરવા પડે ઘાવ પરંતુ,
બાવળની ઉપર કોઈ દિ’ પથરા નથી પડતા.

આજેય મળે છે તો હસીને જ મળે છે,
કરવામાં પરેશાન એ પાછા નથી પડતા.

– હરીશ ઠક્કર

મુક્ત આકારાંત કાફિયા સાથેના ચાર મત્લા અને ચાર શેરની માતબર ગઝલ. જિંદગીભર કોઈના સિક્કા પડતા નહીં હોવાની વાત કરતા કવિની ગઝલના એક્કેએક શેર સિક્કાની જેમ રણકે એવા મજાના થયા છે. બીજાંઓના પગેરું દબાવવાની અથવા બીજાંઓએ કંડારેલી કેડી પર ચાલવાની ટેવ પડી ગઈ હોવાથી માણસજાત સાચી દિશા પામી શકતી ન હોવાની વાત કરતો બીજો શેર હાંસિલે-ગઝલ થયો છે. બીજાં પંખીઓને અનુસરતાં ન હોવાથી જ પંખીઓ કદી આકાશમાં ભૂલાં પડતાં નથી. કેવી સરસ વાત! વીસમી સદીના પ્રારંભકાળે અલ્પજ્ઞાત કવિ શ્રી રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’એ પણ આવો જ સવાલ પોતાના ગીતમાં કર્યો હતો: ‘સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે, ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?’ તકદીર અને તકલીફમાંથી તક શોધી કાઢવાની શબ્દ રમત પણ કાબિલે-દાદ થઈ છે.

Comments (25)

ઇન્કાર – શિલ્પિન થાનકી

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

– શિલ્પિન થાનકી

ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!

Comments (6)

मुद्दतें हो गई हैं चुप रहते – ‘महशर’ काज़िम हुसैन लखनवी

मुद्दतें हो गई हैं चुप रहते
कोई सुनता तो हम भी कुछ कहते

અર્થ સ્પષ્ટ છે.

जल गया ख़ुश्क हो के दामन-ए-दिल
अश्क आँखों से और क्या बहते

સૂક્કોભઠ્ઠ થઈને દિલના પાલવ/છેડો બળી ગયો….આંખોમાંથી વધુ તો કેટલા આંસુ વહેતે…. [ વક્રોક્તિ છે ]

बात की और मुँह को आया जिगर
इस से बेहतर यही था चुप रहते

વાત કરી તો આખું હૈયું જ હોઠે આવી ગયું….એથી બહેતર તો એ જ હતું કે મૂંગા મરતે…..

हम को जल्दी ने मौत की मारा
और जीते तो और ग़म सहते

દુનિયા છોડવાની ઉતાવળે અમને ઉપર મોકલી જ આપ્યા…. ભલું થયું, જો વધુ જીવતે તો વધુ ઝૂરતે…..

सब ही सुनते तुम्हारी ऐ ‘महशर’
कोई कहने की बात अगर कहते

સાંભળવાલાયક કશું બોલતે તો સહુ તારી વાત સાંભળતે !!

– ‘महशर’ काज़िम हुसैन लखनवी

 

જીવવું એટલે ઝૂરવું…..ઝૂરવું એટલે જીવવું…..

 

જનાબ ગુલામઅલી સાહેબ 👇👇

 

Comments (1)

આરામ થઈ જાશે – નાઝિર દેખૈયા

તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.

પછી મંદિર કે મસ્જિદ જે ગણું તે ઘર હશે મારું;
કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જાશે.

નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.

ખબર કરશો નહીં નિજ આગમનની હર્ષઘેલાને;
નકર એ કે’ણ એના મોતનો પયગામ થઈ જાશે.

તૃષાતુર જાઉં છું કિન્તુ તૃષા કેરી અસર જોજો;
છલકતા કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.

ચૂક્યા અવસર કૃપાનો તો વગોવાઈ જશો વિશ્વે;
થવું છે એ તો જ્યાંને ત્યાં ઠરીને ઠામ થઈ જાશે.

દયાળુ! દાન જો કરવું ઘટે તો પાત્રને જોજો;
નહીં તો કંઈક આ ‘નાઝિર’ સમા બેફામ થઈ જાશે.

– નાઝિર દેખૈયા

ટાઇમલેસ ક્લાસિક.

Comments (3)

સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે
આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે
આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા
એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો
આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

– મુકેશ જોષી

Comments (1)

(કાયમ નહીં રહે) – લવ સિંહા

હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે.

થોડા ‌વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે.

એ વાત છે જુદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ ‌છે! કાયમ નહીં રહે.

અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું,
એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે.

જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો‌ જે ઉઠાવ છે કાયમ નહીં રહે.

જો હોય ઓળખાણ ભીતર તો‌ લગાવજે,
તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે.

– લવ સિંહા

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ તમામ કવિઓએ મેદાન મારી લીધું હતું. એ સાંજે લવ સિંહાને પ્રથમવાર મળવા-સાંભળવાનું થયું. મુશાયરો બહુ આસાની અને આત્મવિશ્વાસથી જીતી લેવામાં બાહોશ આ કવિની એક ગઝલ આજે માણીએ. ‘કાયમ નહીં રહે’ જેવી સહજ રદીફને કવિએ કેવી સરસ રીતે મલાવી જાણી છે તે નોંધવા જેવું છે! સમય સાથે ભાષાની બારીકી અને બિનજરૂરી શેરો પર સ્વ-ગત નિયંત્રણ રાખવાની ચોકસાઈ કેળવાશે એટલે ગુજરાતી ગઝલના હારમાં વધુ એક નક્શીદાર મોતી ઉમેરાશે એ બાબતે કોઈ શંકા નથી.

Comments (10)

નમન દેજે – નાઝિર દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

– નાઝિર દેખૈયા

ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

Comments (10)

(રોજ નિશ્ચય કરું તે તૂટે છે) – હનીફ સાહિલ

રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે

જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે

આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે

એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે

કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે

શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે

– હનીફ સાહિલ

ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.

નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!

ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?

Comments (8)

(ઇશારે ચડી ગયા) – હરીશ ઠક્કર

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!

એની નજરમાં આવવા વાચાળ જો થયા,
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા!

કરતો હતો હું વાતને બહેલાવીને જરા,
કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા!

રમતું હતું સવારનું અજવાળુ આંગણે,
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા!

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

– હરીશ ઠક્કર

લયસ્તરો પર આજે કવિના બીજા સંગ્રહ ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત…

રમતિયાળ ગઝલમાં રદીફને પણ કવિએ બરાબર રમતે ચડાવી છે. ‘ચડી જવું’ ક્રિયાપદ સાથે સંકળાયેલ રુઢિપ્રયોગોને કવિએ બખૂબી ગઝલમાં વણી લીધા છે. કોઈના ઇશારે ચડવામાં બહુ માલ નહીં, સાહેબ… જરા અમથા કોઈના ઇશારે ચડી જવામાં સામા માણસના રંગમાં રંગાઈ જવાય તો કંઈ કહેવાય નહીં. સવારે મુલાયમ લાગતો સૂર્ય બપોરે માથે ચડે એ તથ્યને કવિએ દીકરા મોટા થઈને માથાભારે થઈ જાય કે માણસ પ્રગતિ- સફળતા મેળવીને તુંડમિજાજી થઈ જાય એ વાત સાથે અદભુત રીતે સાંકળી લીધું છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણના કારણે પરિણમતા દિવસ-રાતવાળો શેર તો કેવો અદભુત થયો છે! અને એમાંય ‘રવાડે ચડી જવું’ રુઢિપ્રયોગનો વિનિયોગ કવિની ભાષાસજ્જતાનો દ્યોતક છે. અને ભાષાની જ વાત કરીએ તો છેલ્લો શેર જુઓ… વિચાર સાથે શબ્દરમત આદરીને કવિએ કેવો કમાલ કર્યો છે! આ પ્રકારની શબ્દરમતો કવિની એક આગવી ઓળખ પણ છે, જે એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.

Comments (21)

(ઝાડવાં આવ્યાં રણે) – ડૉ. જિતુભાઈ વાઢેર

કોઈ આવી ખટખટાવે બારણે,
લાગતું કે ઝાડવાં આવ્યાં રણે.

કો’ક સાચી, કો’ક જાલી નોટ છે,
કો’ક દી’ તો એ ચળાશે ચારણે!

કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
બાળપણ કેવું સૂતું છે પારણે!

તુંય સારું જીવ ને હું પણ જીવું,
બેઉનું બગડે છે ખોટાં કારણે.

જિંદગી એવી નકામી તો નથી,
આખરે આવ્યો હું એવા તારણે.

– ડૉ. જિતુભાઈ વાઢેર

લયસ્તરોના આંગણે કવિ અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…

સાદગીનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. જીવન રણ જેવું ઉજ્જડ બની ગયું હોય ત્યારે બારણે દેવાયેલ ટકોરા જાણે ઝાડવાં સામાં ચાલીને રણે આવ્યાં હોવાની સુખદ અનુભૂતિ થાય છે. જિંદગીના ખાલીપાને આવી તીણી ધાર કાઢી આપે છતાં મખમલ સમા મુલાયમ આવા શેર ભાગ્યે જ જોવા મળે છે. વહેલું કે મોડું, પણ સમયના ચાળણો સાચા-ખોટાને અલગ તારવી જ દે છે. મોટાભાગે બન્ને પક્ષ ખોટાં કારણો પકડીને બેસી રહેતાં હોવાથી આપણા સંબંધોમાં જીવન બચતું નથી. સંબંધ ટકાવી રાખવાની ખરી કૂંચી તો ‘खुद जीओ, औरों को भी जीने दो’ની ફિલસૂફી અપનાવવી એ છે. બધું જ નકામું લાગતું હોવા છતાં જિંદગી કંઈને કંઈ તો આપતી જ હોય છે…

Comments (11)

ભરોસો – જય કાંટવાલા

છે નાજુક વિચારીને મૂકો ભરોસો,
પડી ભાંગશે કાચ જેવો ભરોસો.

ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો,
હજી એમના પર છે થોડો ભરોસો.

બધા વાતે વાતે જ શંકા કરે છે,
કરે છે હવે કોણ પૂરો ભરોસો ?

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો.

વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ,
બધાનો બધા પર છે ઉડતો ભરોસો.

– જય કાંટવાલા

નવી પેઢીના ઉભરતા ગઝલકારોમાં ભરોસો મૂકી શકાય એવું એક નામ તે જય. ભરોસો રદીફ રાખીને એણે કેવી મજાની સુવાંગ સુંદર ગઝલ આપી છે એ જુઓ… વિશ્વાસના નાનાવિધ પહલૂઓને છ શેરમાં કવિએ આબાદ ઝીલી બતાવ્યા છે. ભરોસો ઊઠવો, ભરોસો મૂકવો, ઉડતો ભરોસો –જેવા રુઢ પ્રયોગોને પણ કવિએ શેરના તાંતણામાં મોતીમાળ બનાવતા હોય એમ તંતોતંત પરોવી બતાવ્યા છે.

Comments (20)

(હિંમત નથી તૂટી) – ડો. સુજ્ઞેષ પરમાર

સપનાં ભલે તૂટી જતાં, હિંમત નથી તૂટી,
પૂરાં કરીશ હું એક દી’, એ વાત છે ઘૂંટી.

જીવન છે એવરેસ્ટનો પર્વત, બીજું તો શું!
કપરું ભલે ચઢાણ હો, ધીરજ નથી ખૂટી.

સંજોગ છે વિષમ છતાં હું ઊભો થઈ જઈશ,
દીવાલમાંથી જેમ આ કૂંપળ નવી ફૂટી.

છું કેટલો અમીર હું એની જ યાદથી,
ને એજ લઈને જાય છે મારું બધું લૂંટી.

એ હાથ ફેરવે, બધી પીડા જતી રહે,
છે ‘મા’ સ્વરૂપ આપણી પાસે જડીબુટી.

ફૂલોની જેમ આપણું જીવન બનાવીએ,
ખુશ્બૂ મૂકી જવાનું ,લે ઈશ્વર ભલે ચૂંટી.

આખીય જિંદગી કર્યું ભેગું બે હાથથી,
ને અંતમાં રહ્યું બધું, એ હાથથી છૂટી.

– ડો. સુજ્ઞેષ પરમાર

પોઝિટિવિટીની વેક્સિન.. કળાને આમ તો દર્દ અને દુઃખના ભૂખરા રંગ સાથે જ વધારે નિસબત રહી છે, પણ ક્યારેક આવી ધનમૂલક રચના વાંચવા મળી જાય તો અલગ ચીલે ચાલવાનો આનંદ થઈ જાય… લગભગ બધા જ શેર સરસ થયા છે..

Comments (18)

(જીવન છે) – મયૂર કોલડિયા

મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
માર્ગની આસપાસ જીવન છે.

તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.

અંતે જળ હાથ લાગવાનું નથી,
ઝાંઝવાની તપાસ જીવન છે.

મૃત્યુ નિશ્ચિત છે -જીવ જાણે છે
તોય જીવનની પ્યાસ! જીવન છે

સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે,
એમને બારેમાસ જીવન છે.

આખરે એટલું સમજ આવ્યું,
ફળ નહીં પણ પ્રયાસ જીવન છે

શક્યતાના તું દ્વાર ખોલી દે
આવશે જે ઉજાસ, જીવન છે.

-મયૂર કોલડિયા

જીવન વિશે તો સંતો, મહાપુરુષો, વિચારકો ગ્રંથોના ગ્રંથ લખી ગયા છે, પણ તોય જીવન વિશે જાણવામાં કઈં ને કઈં બાકી જ રહી જતું હોવાનું અનુભવાતું રહે છે. પ્રત્યક્ષ પળેપળ અનુભવાતું હોવા છતાં જીવન કદીય પૂરેપૂરો ન ઉકેલાય એવો કોયડો જ છે. એટલે જ કવિઓ જીવન વિશે ગાતા અટકતા નથી…

મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે પણ મંજિલ મળતાવેંત થાકી જવાય છે. પ્રગતિની ઈચ્છા અવસાન પામે છે. વાત નવી નથી પણ કવિની માવજત કમાલ છે. ખરું જીવન મંજિલ માં નથી, પ્રવાસમાં – માર્ગમાં છે. બીજો શેર પણ આ જ વાતનું પુનર્કથન છે પણ ફરી એકવાર અભિવ્યક્તિની તરેહ કાબિલે દાદ થઈ છે. પ્યાસ હશે ત્યાં સુધી જ જળપ્રાપ્તિની કિંમત રહેવાની. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે? કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે. લ્યો સાહેબ, જુઓ તો જરા ! ત્રીજો શેર પણ પહેલા બે શેરની જ પ્રતિકૃતિ નથી ? મંજિલ મળી જવાનો અહેસાસ કેવળ ભ્રમણા છે… જીવન આખું મૃગજળ ફંફોસવામાં જ વ્યય થઈ જાય છે. બધા જ શેર ઉત્તમ થયા છે પણ ક્યાંક તો અટકવું પડશે ને….!

Comments (26)

( ટેવ છે) – વિકી ત્રિવેદી

ઝંખનાને સ૨ભરાની ટેવ છે,
એટલે કે મંથરાની ટેવ છે.

આંસુ જોઈને ભરોસો ના કરો,
માણસોને ખરખરાની ટેવ છે.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

એટલે તો આપણી થઈ જાય છે,
વેદનાને આશરાની ટેવ છે.

આટલી ઊંચી ગઝલ ના લખ કવિ,
આ જગતને છીછરાની ટેવ છે.

– વિકી ત્રિવેદી

સહજ. સાધ્ય. સંતર્પક.

Comments (9)

હોવાપણાં લગ – સંજુ વાળા

ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા લગ
વાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં લગ

ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ

કાલે અનરાધાર ત્રાટક્વાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ

તું કહે છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ

હું તને સુંદર, અનુપમ લેખું એ જો ઓછું છે તો
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા– કોડામણા’ લગ

પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ

આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ

– સંજુ વાળા

હળવે હાથે ઉકેલવાની રચના. મત્લામાં ‘લેટ-ગો’ નહીં કરી શકાયેલ ‘ઇગો’ કઈ રીતે સ્વથી સર્વ સુધીની બદનામી તરફ લઈ જાય છે એની વાત છે, તો એને જ અનુષંગિક બીજા શેરમાં સમય પર ‘ઇ’ ને ‘ગો’ નહીં કહી શકાય તો દુનિયા(સર્વ)ની આપણી(સ્વ) અંગત બાબતમાં ચંચુપાત કરવાની તત્પરતા સરસ રીતે રજૂ થઈ છે.

Comments (5)

મુકદ્દરની વાત છે – મનહરલાલ ચોકસી

તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે!
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે!

જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!

મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!

આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!

ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.

‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

– મનહરલાલ ચોકસી

કેટલાક કવિઓને સમય અને સમાજે આપવું જોઈએ એટલું માન આપ્યું નથી. મનહરલાલ ચોકસીનું નામ એ યાદીમાં ઉમેરી શકાય. ઉસ્તાદ તરીકે જાણીતા શાયરની મરીઝ જેવી સરળ બાનીમાં એક ચોટદાર ગઝલ આજે માણીએ. જેને પ્રિય ગણતાં હોવ એના જ હાથે ઘાવ ખાવા મળે એ તો નસીબની જ વાત હોય ને! અને પ્રિયજનના હાથે ઘાવ ખાધા પછી પણ મૃત્યુ ન થઈ જાય અને બચી જવાય એ તો નસીબ ઓર જોર કરતું હોય તો જ બને ને! બધા જ શેર સંતર્પક થયા છે, પણ છેલ્લા બે શેર કવિના સાચા સ્વ-ભાવનું આબેહૂબ આલેખન છે. જેઓ ઉસ્તાદને ઓળખતા હશે એ બધા કહેશે કે હા, આ બે શેર શેર નથી, કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે.

Comments (13)

(નહીં આવે) – નીરવ વ્યાસ

ગમે છે ખૂબ પણ એ એમ સપનામાં નહીં આવે,
કે મંઝિલ દોડીને સામેથી રસ્તામાં નહીં આવે.

કબૂલાતો તમારી ખાનગીમાં સાંભળી છે જે,
તમે ચિંતા ન ક૨શો એ બધું ચર્ચામાં નહીં આવે.

અરે ઓ જિંદગી! તું આ રીતે પજવીશ જો સૌને,
જતા રહેશે, જનારા પાછા દુનિયામાં નહીં આવે.

લડત લડશું, તો મુદ્દાસ૨ કરીશું વાત ઘટનાની,
કશી અંગત બયાની દોસ્ત ઝઘડામાં નહીં આવે.

ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી ‘ની૨વ’,
એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.

– નીરવ વ્યાસ

સરળ બાનીમાં સહજ-સાધ્ય ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (16)

(મારી કથા લોહિયાળ છે) – વિકી ત્રિવેદી

હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,
હું શું લખું કે મારી કથા લોહિયાળ છે.

હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.

આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?

હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.

છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો,
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે.

મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.

બહુ બહુ તો ગર્વ લઈ શકો બીજું કશું ન થાય,
‘હું આપનો હતો…’ એ હવે ભૂતકાળ છે.

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘હાજ૨ હૃદયથી હોઈએ’નું સહૃદય સ્વાગત.

મત્લા સરસ થયો છે, પણ કપાળ અને ઢાળવાળા બે શેર તો શિરમોર થયા છે. છેલ્લા બે શેર પણ જાનદાર થયા છે.

Comments (16)

જલનની નમાઝ – ‘જલન’માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.

– ‘જલન’માતરી

યાદ આવે –

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
આ જીવનની ઠેસની તો હજી કળ વળી નથી ?

Comments (2)

સાકી ! – અમૃત ઘાયલ

કહીં છે લ્હેર લીલા, ક્યાંક કાળો કેર છે સાકી !
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી !

અહીં દુઃખ એ જ છે મોટું, સમજમાં ફેર છે સાકી !
અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી !

દુખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી !
છતાં કે’વું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી !

જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું ?
અચાનક ઊઠતા તોફાનની એ લ્હેર છે સાકી !

કહું તો ક્યાં કહું? કોને કહું? જઈ વાત અંતરની,
જગતમાં ધૂમ આજે બુદ્ધિની ચોમેર છે સાકી !

જગતની ખાનગી વાતોથી કંટાળી ગયો છું હું,
મને તું ત્યાં લઈ જા, જ્યાં બધું જાહેર છે સાકી !

નહીં મસ્તી, નહિ સાહસ, નહિ પૌરુષ, નહિ ઓજસ,
અમારી જિન્દગી ને મોતમાં શો ફેર છે સાકી?

પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા,
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી !

કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ઘાયલ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી !

– અમૃત ઘાયલ

અમૃતના ટીપાં !!!!

Comments (1)

(દરવાજાને ખેાલ હવે) – રમેશ પટેલ ‘ક્ષ’

આ સ્તબ્ધ નગરના દરવાજાને ખેાલ હવે,
તું દ્વાર વગરના દરવાજાને ખેાલ હવે!

આ સરસર સરતાં દૃશ્યોને અટકાવ નહીં,
વિક્ષુબ્ધ નજરના દરવાજાને ખોલ હવે !

કંઈ કેમ ભીતરના ભાવ જગતને સ્પર્શે ના?
લે, આજ અસરના દરવાજાને ખેાલ હવે !

તું માર હથેાડા શબ્દો ને સંદર્ભોના,
ને દોસ્ત! ભીતરના દરવાજાને ખેાલ હવે

– રમેશ પટેલ ‘ક્ષ’

ચાર જ શેર, પણ કેવા મજાના!

દરવાજો! કેવી સરસ વિભાવના! જેમાંથી કશું આરપાર જઈ-થઈ જ ન શકે એવી ભીંતમાં શક્યતાઓનું મસમોટું બાકોરું એટલે દરવાજો… પણ આ વાત ઘરના દરવાજાની નહીં, જીવનના દરવાજાની છે… જીવનમાં કેટલી બધી જગ્યાઓએ આપણે કેવળ ભીંત જ બાંધી રાખીએ છીએ એ વિચારવા જેવું છે… આપણે સહુ દરવાજાઓ બંધ કરીને બેઠા છીએ. નવીનતાને કે સત્યને માટે પ્રવેશ જ નથી. નવાઈ વળી એ કે દરવાજાની આ ફ્રેમમાં દ્વાર પણ નથી કે ખોલવાની સંભાવના જન્મે. આપણે સહુ પોતપોતાની માન્યતાઓના બંધ ઘરમાં સદીઓથી કેદ છીએ. નજરની વ્યગ્રતા ઓછી કરી જે છે એનો આનંદ લેવાના બદલે આપણે દુનિયાને અટકાવવા જ મથ્યે રાખીએ છીએ. આ સિકાની બીજી બાજુ એ પણ છે કે બરાબર આ જ રીતે આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?

Comments (6)

સહારા મળ્યા – ગૌરાંગ ઠાકર

એક નદીને અલગ બે કિનારા મળ્યા,
છેક સાગર સુધીના સહારા મળ્યા.

આ તમારાં નયન જોઈ એવું થયું,
સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા.

કોઈ પાંખોમાં પીછાં ઉમેરી ગયું,
ત્યારથી અમને આભે ઉતારા મળ્યા.

ફાળવેલા અમે શ્વાસ લેતા હતા,
ને ઉપરથી આ મનના ધખારા મળ્યા.

કૈંક નોખું નવું તો થશે કઈ રીતે ?
આ વિચારોય અમને તમારા મળ્યા.

હાથમાંથી હથેળી તમે જ્યાં લીધી,
ના પછી કોઇથી હાથ મારા મળ્યા.

– ગૌરાંગ ઠાકર

કવિને જન્મદિન મુબારક

Comments (3)

એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા

તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.

ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.

મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.

છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.

હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.

વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.

માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

અર્થગંભીર ગઝલ….

Comments (3)

એના કરતાં – હરદ્વાર ગોસ્વામી

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા,
જેણે શીખ્યું દોસ્ત, સમયસ૨ ખ૨વાનું.

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું,
પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું.

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી,
તો જ બને ખુલ્લી છાતીએ ફ૨વાનું.

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરોના આંગણે કવિશ્રીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત..

આપણી ભાષાની સાંપ્રત કરુણતાને યથાતથ રજૂ કરતો મત્લા તો વર્ષોથી સાચા ગુજરાતીઓના હૈયે મઢાઈ ગયેલ છે. પણ એ સિવાયના શેર પણ બધા જ સુવાંગ સંતર્પક થયા છે.

Comments (1)

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

मेरे हम-नफ़स मेरे हम-नवा….- શકીલ બદાયૂંની

मेरे हम-नफ़स मेरे हम-नवा मुझे दोस्त बन के दग़ा न दे
मैं हूँ दर्द-ए-इश्क़ से जाँ-ब-लब मुझे ज़िंदगी की दुआ न दे

ઐ મારા દોસ્ત, મારા હમજબાં, મને મિત્ર બની દગો ન દે….ઈશ્કના દર્દથી હું મૃતઃપ્રાય છું, મને જિંદગીની દુઆઓ ન દે…..

मेरे दाग़-ए-दिल से है रौशनी इसी रौशनी से है ज़िंदगी
मुझे डर है ऐ मिरे चारा-गर ये चराग़ तू ही बुझा न दे

મારા સળગતા હૈયાથી જે રોશની છે, તે રોશનીથી જ તો મારી જિંદગી છે ! મને ડર છે ઐ મારા હકીમ, કે તું પોતે જ આ ચિરાગને બુઝાવી ન દે….[ અર્થાત – મને તારું ડહાપણ નહીં આપ, મને સળગવા જ દે….]

मुझे छोड़ दे मिरे हाल पर तिरा क्या भरोसा है चारा-गर
ये तिरी नवाज़िश-ए-मुख़्तसर मिरा दर्द और बढ़ा न दे

મને મારા હાલ પર છોડી દે ઐ મારા હકીમ, તારો વળી શું ભરોસો ?! આ તારી નાનકડી મહેરબાની ક્યાંક મારુ દર્દ વધારી ન દે… [ આગલા શેરના અનુસંધાનમાં આ શેર કહ્યો લાગે છે – તારી દવા કદાચ ક્ષણભર માટે મને સારો કરી પણ દે, પણ એ ક્ષણિક રાહતને લીધે ત્યાર પછી પાછું જે દર્દ મારી તકદીરમાં છે તે દર્દ તો મીનમેખ છે જ ! ક્ષણભરની રાહત પછી એ દર્દ અસહ્ય થઈ પડશે…. ]

मेरा अज़्म इतना बुलंद है कि पराए शो’लों का डर नहीं
मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है ये कहीं चमन को जला न दे

મારો હૌંસલોં એટલો બુલન્દ છે કે પરાયા અગનગોળાઓનો લેશ ડર નથી. મને ડર પુષ્પોતણી આગનો છે, જે જરૂર ચમનને ફૂંકી મારશે… [ મારી દુશમન મારી અંદર રહેલી જ્વાળામુખી સમી ઊર્મિઓ છે….]

वो उठे हैं ले के ख़ुम-ओ-सुबू अरे ओ ‘शकील’ कहाँ है तू
तिरा जाम लेने को बज़्म में कोई और हाथ बढ़ा न दे

તેઓ સુરાહી-જામ લઈને ઉઠ્યા છે, અરે શકીલ ! ક્યાં છે તું ? તારો જામ લેવા તારે બદલે કોઈ બીજું હાથ લંબાવી ન દે !!

– શકીલ બદાયૂંની

 

બેગમ અખ્તરસાહેબા 👇🏻👇🏻

 

Comments (1)

ક્યાં ગયો ? – ભગવતીકુમાર શર્મા

ક્યાં ગયો ?

આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ?
ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ?

આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો ?
માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો ?

મારા મરણની નોંધ તો એમાં નથી લખી ?
પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ?

ધુમ્મસના રાજહંસનો કલરવ મેં સાંભળ્યો;
પૂછો નહીં કે છોડી હું ઘરબાર ક્યાં ગયો ?

બોલાશ છે, પરંતુ ઉછીનો છે; શું કરું ?
મારો હતો જે પોતીકો સૂનકા૨; ક્યાં ગયો ?

કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત;
માણસ હતો એ પોતે ધુંઆધાર; ક્યાં ગયો ?

આ શૂન્યતાનો શાપ સહન શી રીતે કરું ?
તારાં સ્મરણનો જે હતો આધાર ક્યાં ગયો ?

– ભગવતીકુમાર શર્મા

Comments