બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
– હિતેન આનંદપરા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ઊર્મિકાવ્ય
ઊર્મિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 2, 2016 at 2:21 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નલિન રાવળ
જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચલિયોની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થૈ તહીં…
ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે ?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો ?
ને લોહી આ કોનું હસે છે ?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.
– નલિન રાવળ
પહેલી નજરે અછાંદસ જણાતું આ કાવ્ય ‘ગાગાલગા’ના આવર્તનોને કારણે અનિયમિત લય જન્માવે છે જે એકાકી વૃદ્ધાના જીવનની સ્થિતિને બખૂબી ઉપસાવે છે. સાંજ આમેય વિષાદનું પ્રતીક છે. બારીની જાળીમાં ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો જીવનની સાંજે પહોંચી ચૂકેલી વૃદ્ધાના ચહેરા ઉપરની કરચલીઓ સાથે તાલ મેળવે છે. જીવનમાં હવે સમય અને સ્મૃતિ સિવાય કશું જ નથી. સમય પસાર કરવા ઊન ગૂંથતાં આંગળાં પણ ગતિ અને સ્થિતિની વચ્ચે આવ-જા કરે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ; જિંદગી યૂં તમામ હોતી હૈ…
Permalink
April 1, 2016 at 1:50 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.
અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.
રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.
પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.
– હરિશ્ચન્દ્ર ભટ્ટ
ગઈ ગુજરી ભૂલીને ઉજળા ભાવિ તરફ ડગ માંડવાની વાત કવિ પરંપરિત ઢબમાં રજૂ કરે છે. ઈશ્વર અને નિયતિનો સાથ માંગે છે પણ પોતાનું ભવિષ્ય અને પોતાનું ભાગ્ય તો આખરે પોતાના હાથમાં જ રાખવા માંગે છે.
Permalink
March 12, 2016 at 12:30 AM by વિવેક · Filed under અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, ઊર્મિકાવ્ય
સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટ્યો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેય ભૂલ્યો !
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો !
– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
પહેલી નજરમાં અછાંદસ લાગતું આ છંદોબદ્ધ કાવ્ય કટાવ છંદના “ગાગાગાગા”ના આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે. સૂરજનું પ્રતિક લઈને કવિ દિવસ અને રાત વચ્ચે, કુદરત અને પ્રણયકેલિ વચ્ચે એક મનોરમ્ય ચિત્ર દોરી આપે છે.
Permalink
January 17, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, લાભશંકર ઠાકર
હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂંગું મૂંગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર : પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
ક્પોલની શી સુરખી ભીની ભીની ! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા ; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે….
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના….
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
[ નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં ] રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…..
– લાભશંકર ઠાકર
આખા કાશ્મીરમાં મારું સૌથી ગમતું સ્થળ સોનમર્ગ… ત્યાંની હોટેલની બરાબર પછીતેથી જેલમ નદી કિલકિલાટ કરતી વહે…. આજુબાજુ ચારેદિશ શ્વેત બરફાચ્છાદિત પર્વતો… ધ્યાન ત્યાં સહજ થઈ જાય ! બે વખત ત્યાં રહેવાનું થયું. તે વખતે સતત આ કાવ્યપંક્તિ મનમાં ઘુમરાતી- વહી જતી પાછળ રમ્યઘોષા… તે સમયે સ્મરણ નહોતું કે આના કવિ કોણ છે. આજે આ કાવ્ય પહેલીવાર આખું વાંચ્યું… કવિએ સમગ્ર જીવનમાં માત્ર આ એક જ ઊર્મિ કાવ્ય રચ્યું હોતે તો પણ મા ગુર્જરીની અનૂઠી સેવા થઈ ગઈ હોતે….
Permalink
January 14, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, લાભશંકર ઠાકર
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચો લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે ભલા શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘરઆંગણીએ શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?
– લાભશંકર ઠાકર
આ કવિને ખાસ વાંચ્યા નથી. અમૂર્ત કવિતા સમજાતી નથી. પરંતુ આ કવિતા સીધીસાદી અને ચોટદાર છે. વ્યંગાત્મક કાવ્ય છે છતાં અર્થગાંભીર્ય લગીરે ન્યૂન નથી.
(પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય કટાવ છંદમાં “ગાગાગાગા”ના ચાર અનિયમિત આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે, ભલે કવિ ‘પાણીપોચો લય’ શબ્દ કેમ ન પ્રયોજતા હોય !)
Permalink
December 3, 2015 at 1:00 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નજર કાણીસવી
(શિખરિણી)
નવાં વર્ષે પાછાં શરદઋતુના શીત સ્પરશે
વનોમાં કુંજોમાં તરુવર બધાં પાનખરને
વધાવે ઉલ્લાસે કુદરતે ક્રમે વસ્ત્ર બદલી.
અને મૃત્યુમાંયે દધીચિઋષિ શાં સૌમ્ય સ્વરૂપે
પીળાં-રાતાં પર્ણો અગન-ભભક્યા રંગ ધરીને
સજાવે સૃષ્ટિને મનવિલસતાં ચિત્રફલકે.
પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.
– ‘નજર’ કાણીસવી
કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !
Permalink
November 19, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરેન્દ્ર મહેતા
હજી ઉતારું કાગળ પર કૈં ત્યાં કાગળ પર દેખું છું રણ :
ઊડ્યા એવા આંધી થઈને અક્ષર જાણે રેતીના કણ !
દોડ્યું આ શું થઈ બા’વરું ફાળ ભરીને ગળે શોષને બાંધી,
હાંફી ચત્તીપાટ પડીને ઊડી ગઈ ક્યાં રણની કાંધી !
સન્નાટો-સૂનકાર સૂસવે, જોડીઆ પાવાના ચંગ,
સૂરો મૂંગા થઈને ઊભા, આંગળિયું થઈ તંગ.
આભ નિમાણું પડતું મૂકે, ઝાકળ-પલળ્યો ચંદ,
કાગળ માથે ખાબકવાનો અવાજ પોકળ આવે મંદ.
ત્યાં તો લેખન-અણીએ તબક્યું તાતું તીણું કેવું તીર !
સ્યાહી સ્યાહી થઈ દશે દિશા બચ્યું ન એમાં કાંઈ લગીર.
– ધીરન્દ્ર મહેતા
રણેરણ અલગ હોય છે. અહીં કવિ કોરા કાગળ પર વરસું-ન વરસું કરતાં ગોરંભાનું રણ લઈ આવ્યા છે. અક્ષરો આંધી થઈ જાય, ગળામાં શોષ બંધાઈ જાય, રણની કાંધી ઊડી જાય, ચાંદો કાગળમાં પડતું મેલે ને એવી કોઈ ઘડીએ એકાદું તીર છૂટે ને દશે દિશાઓ સ્યાહીસભર થઈ જાય એમ કવિતા રણની વચ્ચે રણદ્વીપ થઈ ફૂટી નીકળતી હોય છે. ‘ગાગાગાગા’ના લયબદ્ધ આવર્તનવાળો કટાવ છંદ અને પંક્તિ-પંક્તિએ બદલાતો વર્ણાનુપ્રાસ કવિતાને વધુને આસ્વાદ્ય બનાવે છે.
Permalink
April 12, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
– અને ફરીથી અવાજ આવ્યો : બુઝાવી નાખો,
તમે જલાવી તે મીણબત્તી બુઝાવી નાખો !
અમે થથરતા રહ્યા સુણી, શું કરીશું, ભાળી
બહાર બેઠી મનુષ્યભક્ષી સમી તલસતી કરાળ કાળી
અઘોર રાત્રી, જરાક અજવાળું ઝૂંપડીમાં,
બહાર ભૂખી ચકોર વાઘણ તણાં શું ધીમાં
સુણાય પગલાં, અને સુણાતો અવાજ મીઠો :
‘ બુઝાવી નાખો તે મીણબત્તી !’ અહા, અદીઠો
સમર્થ કોઈ પુકાર, ને આ અમે પરસ્પર
વધાવવાને, વખાણવાને અવાજને એ સદાય તત્પર.
અરે, શું ભોળા !
તમે જલાવી તે મીણબત્તી બની છે ઓળા
બધા ભયાનક, ‘ બુઝાવી નાખો !’ અવાજ જાણે
ઊગે છે સૂરજ બનીને પ્રાણે.
સહુ વખાણે
અમે કહેતા : અવાજ આવો સુણી પ્રકાશે
જુઓ, વહાણું નવીન વાશે
પરંતુ બત્તી બુઝાવવાને અહીં ન ચાલે અમારી છાતી,
અવાજની પણ આ મીણબત્તી બને બુઝાતી.
– મકરંદ દવે
[ જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળીને ]
જે. કૃષ્ણમૂર્તિનો મુખ્ય સંદેશ હતો કે – પારકા અજવાળે પથ નહીં મળે……મળશે માત્ર આત્મવંચના. સત્ય ભાળવું હોય તો Be a light unto yourself. તેઓ તમામ પ્રકારના ધર્મ, ધર્મગુરુ, ધર્મપુસ્તકો, પંથ, સંપ્રદાય, આધ્યાત્મિક ગુરુ, અવતાર etc etc – સર્વ પ્રકારની કહેવાતી માર્ગદર્શક authorities ના પ્રખર વિરોધી હતા. આ વાક્યની ગંભીરતા સમજો – તેઓના કહેવા અનુસાર ભગવદ ગીતા ઈત્યાદીને ફેંકી દો ….. જે તમને પ્રત્યક્ષ સમજાય-અનુભવાય-આત્મસાત થાય તે જ તમારા માટેનું સત્ય. ‘તમારા માટેનું’…….-અર્થાત તે સત્ય અન્યને કોઈ જ ખપનું નહીં. કૃષ્ણનું સત્ય કૃષ્ણને મુબારક, અર્જુનનું અર્જુનને અને ગાંધીજીનું ગાંધીજીને. ગાંધીજીએ અમુક વાતની તરફેણ કરી તેથી જો તમે એમ કરવા પ્રેરાયા છો તો તે નરી મૂર્ખતા…… જ્યાં સુધી જે સ્પષ્ટતા અને નિ:શંકતાથી તમે એ સમજો છો કે શ્વાસ લેવો અનિવાર્ય છે અને શ્વાસ ન લેવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જ સ્પષ્ટતા અને નિ:શંકતાથી પ્રત્યેક સત્યાન્વેષીને જે-તે સત્યનો અંતરના ઊંડાણમાંથી સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ કંઠી બાંધીને ફરવું એ સત્યશોધનના માર્ગ આડેની સૌથી પ્રચંડ અડચણ છે.
જે. કૃષ્ણમૂર્તિ એક જ ઝાટકે આપણી વર્ષોની માન્યતાઓ અને કહેવાતી આસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. ફરીથી લખું છું- વાતની ગંભીરતા અનુભવો……આંખો બંધ કરીને વિચારો….આપણી core ને challenge છે આ. જયારે આપણે સંપૂર્ણપણે તમામ માન્યતાઓ,રૂઢિઓ,ઉછીના વિચારો, ઠાલાં રિવાજો, ભક્તિ-સમર્પણ ઈત્યાદિના ખ્યાલો વગેરે વગેરેને હ્રદયથી નિર્મૂળ કરી દઈશું ત્યારે તો આપણી યાત્રા માત્ર શરૂ થઇ શકશે !!!! આથી મોટી કોઈ ક્રાંતિ હોઈ ન શકે. આ જ કારણે જે. કૃષ્ણમૂર્તિને સાંભળ્યા-વાંચ્યા અસંખ્યએ પરંતુ તેઓની વાત જીવનમાં ઉતારનાર વેઢે ગણાય એટલા હશે…..તેઓ પોતે જ જીવનની સંધ્યાએ બોલ્યા હતા કે – I am nothing but an entertainer for people who come to listen to me.
જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ કવિના મનોભાવ આ કાવ્યમાં આલેખાયા છે – વાત તો તદ્દન સાચી લાગે છે…….પણ……..વહેવારમાં મુકવી તો……. !!! અંતિમ ચરણમાં કવિ કહે છે કે આ અવાજ પોતે પણ એક મીણબત્તી જ નથી શું ?
Permalink
January 8, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ
(મિશ્ર ઉપજાતિ)
તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.
ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.
ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’
હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.
ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
. તે રમ્ય રાત્રે,
. રમણીય ગાત્રે !
-સુન્દરમ્
(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)
પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.
તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય. ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે.
અદભુત ! અદભુત !! અદભુત !!!
Permalink
September 20, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, લાભશંકર ઠાકર
જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમુનાજલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતાં
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નૈનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ કનૈયો ?
– લાભશંકર ઠાકર
વરસાદ પછીની ભીની ભીની ધરતી જાણે યમુનામાં સ્નાન કરીને નીકળતી રાધા હોય ને તડકાના ધોળા ટુવાલથી દેહ લૂછતી હોય અને કવિના શ્યામ નયન શ્યામ ખુદ હોય અને એ રૂપના ઘૂંટ ભરતો હોય એવું મજાનું કલ્પન “ગાગાગાગા”ના ચાર આવર્તનના કારણે રેવાલ ચાલે ચાલતા ઘોડાની ગતિની મસ્તીનો અનુભવ કરાવે છે.
Permalink
September 13, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રોબર્ટ બર્ન્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
પ્રિય ! મારો પ્રેમ છે લાલ, લાલ ગુલાબ સમો,
જે જુનમાં ખીલે છે નવોનવો;
પ્રિય ! મારો પ્રેમ જાણે છે સંગીતની ધૂન,
જેને મીઠાશથી વહે છે સૂર.
જેટલી ગૌર તું છે, મારી નમણી રમણી,
એટલો ગળાડૂબ છું હું પ્રેમમાં;
અને હું ચાહતો રહીશ તને, મારી પ્રિયા,
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો, પ્રિયે !
અને સૂર્ય પીગાળી દે સહુ ખડકોને;
અને હું છતાં પણ તને ચાહતો રહીશ, પ્રિયે,
જ્યાં સુધી જીવનની રેતી સરતી રહેશે…
અને હું રજા લઉં છું, મારી એકમાત્ર પ્રિયા !
અને હું રજા લઉં છું થોડી વાર માટે;
અને હું ફરીને આવીશ, મારી પ્રિયા,
ભલે વચ્ચે હજારો માઇલ કેમ ન પથરાયા હોય.
– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
અઢારમી સદીમાં લખાયું હોવા છતાં જુન મહિનામાં ખીલેલા લાલચટ્ટાક ગુલાબ જેવું તરોતાજા ગીત. સીધી દિલને સ્પર્શી જાય એવી વાત. અંગ્રેજી ભાષામાં આ ગીત ખૂબ વખણાયેલું અને ખૂબ ગવાયું છે.
*
O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.
As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:
Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.
And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.
Robert Burns
Permalink
August 15, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, ઊર્મિકાવ્ય
ઓગણીસસો અઠ્ઠાવન;
ઉજ્જડ શાન્ત તપોવન;
હવનવેદીઓ હવડ અનુજ્જ્વલ,
રાખ વિશે નહિ ગરમી – હે અગસ્ટની પંદરમી !
એક સમય જે દિલ્લીતણું દુર્લભ ઇન્દ્રાસન,
પૂર્વ પરિશ્રમ ઉતારવાનું આજે તો નિદ્રાસન.
સહજ વાયુને ઝોલે
(કોઈ તપસ્વીને નહિ કારણ) અમથું અમથું ડોલે,
સતત સખત તપ સેવા કેરી હવે જરૂર કૈં ખાસ ન;
પૂરતી પક્ષ, સંબંધી, રુશ્વત, પરિચય, શરમાશરમી
. – હે અગસ્ટની પંદરમી !
કોઈ નથી અહીં અલસ ઝમેલે લોકશિવે સત્કરમી ?
લઘુક લઘુક વાડાથી ઉફરો વિશ્વવિશાળો ધરમી ?
એક પ્રશ્ન પૂછું : ઉત્તર તું દેશે ?
સદીઓ પછીથી સ્વતંત્રતાના ગૌરવવેશે
અવતરી તું અહીં કણ્વાશ્રમ શા પુરાણદેશે,
તો ભરતગોત્રમાં સર્વદમન કો જનમ ન લેશે ?
કાલપુરુષની કઈ વ્યંજના વ્યક્ત કરે તું મરમી ?
.
– હે અગસ્ટની પંદરમી !
– ઉશનસ્
આઝાદીને માત્ર અગિયાર જ વર્ષ થયા હતા એ સમયની આ કવિતા આજે આઝાદીના સડસઠ વર્ષ પછી પણ લગરિક વાસી લાગતી નથી. આઝાદીના અગિયાર જ વર્ષમાં ભારતભૂમિનું તપોવન ઉજ્જડ અને શાંત થઈ ગયું. હવનવેદીઓ પણ ઉજ્જડ અને તેજસ્વિતાથી વિરક્ત. ઠંડી પડી ગયેલી રાખ. અંગ્રેજો પાસેથી પરત મેળવવું દોહ્યલું લાગતું દિલ્લીનું સિંહાસન નિદ્રાસન બની ગયું. હવે મહેનત કે લાયકાતની જરૂર નથી. ઓળખાણ અને રુશવતનો સિક્કો જ અહીં ચલણમાં છે. કવિ પ્રશ્ન તો પૂછે છે પણ ભીતરથી જાણે જ છે કે સદીઓ પછી પણ કણ્વઋષિના આ દેશમાં કોઈ સર્વદમન અવતરવાનો નથી.
Permalink
August 3, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, ગુલઝાર, રઈશ મનીયાર
દોસ્ત ! મને શીખવાડ કોઈ તરકીબ હે વણકર !
કોઈ વખત મેં જોયું છે કે તાણાં વણતાં
જો કોઈ દોરો તૂટે કે ખૂટે ત્યારે
બાંધી ફરીથી
છેડો કોઈ એમાં જોડી
આગળ વણવા લાગે તું
તારા આ તાણામાં તો પણ
ગાંઠ ન એકે ગૂંચ ન કોઈ દેખાતી.
મેં તો બસ એકવાર વણ્યું’તું એક જ સગપણ
કિન્તુ એની સઘળી ગાંઠો સ્પષ્ટપણે દેખાય, હે વણકર !
– – ગુલઝાર – અનુ.-રઈશ મનીઆર
रहिमन धागा प्रेम का, मत तोरो चटकाय,
टूटे पे फिर ना जुरे, जुरे गाँठ परी जाय।
बिगरी बात बने नहीं, लाख करो किन कोय,
रहिमन फाटे दूध को, मथे न माखन होय।
Permalink
August 2, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, એઝરા પાઉન્ડ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.
– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં ૩૬ પંક્તિની હતી. કવિએ ત્યાર બાદ એને અઢાર પંક્તિની કરી દીધી અને આખરે માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો. છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિની યાત્રા કાપવા માતે કવિએ એક આખું વરસ લીધું… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે… ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક ચિત્ર માત્ર ભાવકની સામે મૂકી દેવું તે છે.
લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમના દોઢ લીટીના પ્રેમના ઉપનિષદ “તને મેં ઝંખી છે”ની યાદ કરાવે. ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક ચૌદ પંક્તિના સૉનેટ સાથે પણ સરખાવે છે – પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક) અને બીજીમાં છ (ષટક).
જીવની ક્ષણભંગુરતા એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબિરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.
પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની સતત બદલાતી જતી ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… જેમ મેટ્રો સ્ટેશન પર નજરે ચડતાં અને અલોપ થતાં ચહેરાઓની ક્ષણભંગુરતા એ આપણા સહુનું પૃથ્વી પરનું આવાગમન સૂચવે છે. આ ચિત્ર, આ સંવેદન ભાવકની સામે કઈ રીતે મૂકવું એની મથામણમાંથી જન્મ્યું આ લઘુ કાવ્ય..
*
In a Station of the Metro
The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.
– Ezra Pound
Permalink
May 26, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, હરીન્દ્ર દવે
અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
– હરીન્દ્ર દવે
નખશિખ નઝાકતથી ઓપતું મધુરું ઊર્મિકાવ્ય……એકદમ લાક્ષણિક હરીન્દ્ર દવે……
Permalink
May 20, 2014 at 7:58 PM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, દેવિકા ધ્રુવ
શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.
– દેવિકા ધ્રુવ
ખુલ્લા આકાશમાં અનાયાસ વિહરતા પંખી જેટલી સહજતાથી આ ગીતનો લય મનને મોહી લે છે. મોટેથી બે વાર વાંચતા તો મને સુન્દરમના ગીતોની ( 1, 2 ) યાદ આવી ગઈ. ગીતનો સશક્ત લય તમને પણ ‘ભીંજવી’ નાખશે એની પૂરેપૂરી ગેરેન્ટી છે. મોટેથી, લય સાથે વાંચતા જાવ:, ‘સદ્યસ્નાત’ જેવો ભારે શબ્દ પણ જીભ પરથી માખણની જેમ સરકી જશે ત્યારે લયની તાકાત અને ભાષાની ઋજુતા પર મોહી પડ્યા વગર રહેવાશે નહીં.
Permalink
May 4, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મૂકેશ જોષી
તું ભરતી ને હું ઓટ ,
મને ગમે ભીતર વળવું, તું બહાર મૂકે છે દોટ.
આલિંગનનો લઈ હરખ તું ઠેઠ કિનારે જાય,
મારી બૂમે લહેરો પાછી ઘરમાં આવી જાય.
તું ઊછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો,
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો .
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ….
તું ભરતી ને હું ઓટ.
શ્વેત ચાંદની નર્તન કરતી કેવળ તારી રાગે,
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે.
તારી પાસે જોશ,જવાની,જલસા,જાદુમંતર,
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.
મારે કાયમ મંદી તારા ભાયગમાં છે ચોટ,
તું ભરતી ને હું ઓટ.
-મૂકેશ જોષી
નખશિખ ઊર્મિકાવ્ય…. ઓટના આટલાં ઓવારણાં ભાગ્યે જ લેવાયા હશે…..
Permalink
March 31, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રિષભ મહેતા
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…
એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.
જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે?
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે!
ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…!
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.
પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.
હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;
પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.
-રિષભ મહેતા
સહુકોઇએ અનુભવી હોય તેવી અભિવ્યક્તિ…..સરળ,સચોટ અને સુકોમળ…..
Permalink
February 17, 2014 at 12:20 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, સૌમ્ય જોશી
પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.
હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,
બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.
લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,
પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.
હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીધી,
હતો રૂપિયો મળી યેવલા*, આગ હતી તો પીધી. [ યેવલા : બીડીની એક બ્રાન્ડ ]
લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,
ભીડ હતી તો ભેગી થઇ ગઈ, હતા ખભા તો આપ્યા.
વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.
-સૌમ્ય જોશી
આ કાવ્ય આમ સરળ લાગે છે પણ આમાં એક profound theory છુપાયેલી છે – G I Gurdjieff [એક રશિયન તત્વચિંતક] કહી ગયો છે કે એક સામાન્ય માનવી કશું પણ ‘કરતો’ નથી- કરી શકતો જ નથી – …..તેની સાથે સઘળું ‘થાય’ છે. તેનું આખું જીવન અકસ્માતો દ્વારા નિયંત્રિત થાય છે. ઝટ ગળે ઉતરે એવી આ વાત નથી પરંતુ તેણે ખૂબ ઊંડાણપૂર્વક આખી વાત સમજાવી છે. આખી વાત રજૂ કરવી અહીં શક્ય નથી પરંતુ એટલું જરૂર કહી શકાય કે એની વાત માં દમ છે.
કાવ્યનું શીર્ષક એ વાત સ્પષ્ટ કરે છે કે આ કાવ્યનો નાયક એક શ્રમજીવી છે. મને ઘણીવાર વિચાર આવે કે જેને સવારે ખબર ન હોય કે સાંજે કૈક ખાવા મળશે પણ ખરું કે નહીં , તેને માટે તત્વજ્ઞાન કેટલુંક પ્રસ્તુત કહેવાય !!!!
Permalink
January 23, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, પ્રિયકાંત મણિયાર
કંચુકીબંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.
અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક.
દીસંત આમ તો જાણે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર !
મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે !
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;
કંચુકીબંધ છૂટ્યા ને
રહસ્યબંધને બાંધ્યો…
– પ્રિયકાન્ત મણિયાર
સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય. “ચોલી કે પીછે ક્યા હૈ” જેવો ગર્ભિત પ્રશ્ન પૂછવાના બદલે કવિ સોંસરું જ કહે છે કે ચોળી ખૂલીને જ્યાં રેશમી બંધન હટ્યું કે હૈયાના લોચન સમા બે સ્તન નજરે ચડ્યાં. પણ રહો… હૈયાના લોચન ?! કવિ બે સ્તનને એમની નીચે ધબકતા હૃદયની બે આંખ હોય એમ જુએ છે… અહીં જ સંભોગશૃંગાર કવિતાની ચરમસીમાએ પહોંચે છે…
પ્રિયતમ સામે નિરાવૃત્ત થવાની અનંગવેગની ચરમક્ષણે લોહી કેવું ધસમસ ધસમસ વહેતું હશે ! સ્તનમંડળ પર ઉપસી આવેલી લોહીની રાતી-લીલી નસોમાં કવિને પ્રીતના પંખીનો માળો નજરે ચડે છે. અહો ! અહો !
અહમની સરહદ જ્યાં ઓગળી જાય એ પ્રેમ. સેક્સની પરાકાષ્ઠાએ જ પુરુષ કબૂલી શકે કે એનું મન કંચન નહીં, લોહ છે અને સ્ત્રીના સ્તન એને લોહચુંબકની જેમ આકર્ષે છે. કામના વાદળો ગોરંભે ચડે છે ત્યારે સ્તનની ડીંટડીઓની ઉત્તેજનામાં કવિને મોરનો ગહેકાટ અનુભવાય છે.
ગઈકાલની વસંતો આજે ઊર્મિઓ વેરી રહી છે ને કવિને ખુલતા કંચુકીબંધમાં રહસ્યના બંધનોમાં બંધાતું ભાવિ નજરે ચડે છે… આવનારા બાળકની વાત છે?
Permalink
December 31, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.
સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!
આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
– મકરંદ દવે
વર્ષના અંતે આ મનોરમ અછાંદસ…….
Permalink
December 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જેમ્સ લે હન્ટ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
જેનીએ મને ચુંબન કર્યું જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ મને ચુંબન કર્યું.
– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)
માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! વિદેશમાં મુલાકાત થાય ત્યારે ચુંબન કરવાની પ્રણાલિ તો સામાન્ય છે પણ અહીં ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એ ‘ઉછળવા’ની ક્રિયા આખી વાતને અસામાન્ય બનાવી દે છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય આ ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.
રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે થાય છે. અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે.
એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
આ કવિતા વિશે વધુ જાણવું હોય તો : Jenny kiss’d me
આ કવિતાની કેવી-કેવી પ્રતિકવિતાઓ બની છે વાત પોતે આ કવિતાની લોકપ્રિયતાની દ્યોતક છે: પ્રતિકવિતાઓ
*
Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.
– James Henry – Leigh Hunt
Permalink
November 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રમેશ જાની
લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા…
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના –
. તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !
જરા પાછું વળી જોયું –
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
‘ના, ના’ કહેતો’તો
. છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !
નિસ્પંદ આ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પ-શો અંધાર પણ
. અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !
શિશુની આંખના ડૂમા સમો આ પથ…
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
. – જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !
– રમેશ જાની
ગાગાલગાના આવર્તનોમાં ડોલન શૈલીમાં લખાયેલું, પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવું અને ૫-૪-૪-૪ એ રીતે ગીતની ચાલમાં ન ચાલતું હોય એવું મજાનું ઊર્મિકાવ્ય.
વિદાયની ક્ષણો ઘણા બધા સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તો આવતી જ હોય છે. આવા કોઈ સંબંધમાં આવેલ આવી કોઈ એક વિદાયની વેળાએ વર્તાતો ગોરંભો કવિએ સ-રસ ઉપસાવી આપ્યો છે.
Permalink
October 5, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરુ પરીખ
ગોરંભ્યું આકાશ ઝર્યું
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરાં !
તદપિ ભીતર ભીંજ્યું એવું –
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસ નસમાં ઊછળ્યાં
નિર્ઝર નિર્બંધ;
ભીતર-ધરણી આખી
લીલંલીલી;
રોમરોમમાં તૃણશ્રી ખીલી.
તરડાએલું હતું વિસ્તર્યું
ચારે પાસ સુકાણ :
આજ અચાનક થોડાં ફોરે
લોઢલોઢનું તાણ !
– ધીરુ પરીખ
ગોરંભે ચડેલું આકાશ ક્યારેક પૂરું ન પણ વરસે ને બસ થોડાં ફોરાં જ પડે… પ્રેમનું પણ આવું જ.. ક્યારેક થોડામાં ઘણું અનુભવાય એવી ઝાઝેરી અનુભૂતિની કટાવ છંદમાં રચાયેલી મજેદાર રચના…
Permalink
September 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, હરિકૃષ્ણ પાઠક
સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.
– હરિકૃષ્ણ પાઠક
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !
Permalink
September 22, 2013 at 2:15 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, હરીન્દ્ર દવે
‘ પ્રેમ મુજ તુજ પરે – ‘
કંઈ અનાદિ સમયથી
ઘણા રૂપમાં
મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
અને આજ પણ
હર પળે
ગુંજતો એ જ શબ્દધ્વનિ :
‘ પ્રેમ મુજ તુજ પરે .’
પણ કદી આટલા કાળમાં
તું પિછાણી શકી
મર્મ એ વાક્યનો ?
મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
ધૂંધળા ધૂંધળા આવરણથી
ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.
પ્રેમ મુજ
એ મનેય અગોચર કોઈ લાગણી,
જેની તંત્રી પરે
એક મોહક છતાં જેની સ્વરલિપિ છે
શોધવાની હજી,
એ બજે રાગિણી.
હું અનાદિથી એના રહસ્યો મથું જાણવા;
એટલે વિવિધ રૂપે રહું જન્મતો;
તુંય કાં તો મને
એ જ કારણે મળતી રહી હર સમે.
-હરીન્દ્ર દવે
‘ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું………
Permalink
September 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કરસનદાસ માણેક, ગીત
હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !
. કદી વૈરાગી, કદી વિલાસી,
. કદી વૈભવરત, કદી ઉપવાસી,
. કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
. કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
. કદી અધૂરો, કદી છલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. કદી મિલનમાં પણ રહું ઠાલો,
. કદી વિરહમાં પણ મતવાલો,
. કદી ગંભીર, કદી અતિ કાલો,
. કદી સુક્કો, કદી લહેરી લાલો,
. કદી ટાઢો, કદી જલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
. વધુઘટું રંગ તારો વરતી :
. આરતી બનીને તારા ફરતી
. પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
. તૃપ્ત તોય ટળવળતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
– કરસનદાસ માણેક
Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!
Permalink
September 1, 2013 at 1:14 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રિલ્કે, હરીન્દ્ર દવે
મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?
હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !
મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?
એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?
– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે
જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???
Permalink
August 10, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.
એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડતા જોઈ શકાય… પરદેશ જતા પહેલાના “પૂર્વ શ્રીધરાણી” અને દોઢ દાયકાનો નખશિખ કાવ્યવટો અને દેશવટો ભોગવી પરદેશથી પરત ફરેલા “ઉત્તર શ્રીધરાણી”- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે…
ખૂબ નાની ઉંમરે અદભુત કવિકર્મ કરનાર શ્રીધરાણી પરદેશથી દોઢ દાયકા બાદ પરત ફરે છે ત્યારે આઝાદી ઢૂંકડી આવી ઊભી હતી અને ગુજરાતી કવિતાની તાસીર આખી બદલાઈ ગઈ હતી. કવિતાની આ બદલાયેલી સિકલ શ્રીધરાણી અદભુત રીતે ઝીલી શક્યા એની પ્રતીતિ સમું આ કાવ્ય…
કવિના પ્રિય સવૈયા છંદમાં શરૂ થયેલ આ કાવ્યમાં અંતિમ ત્રણ પંક્તિઓ શ્રીધરાણી-છાપ ચુસ્ત-પ્રાસબદ્ધ પણ અછાંદસ મૂકી દઈ કવિએ એ જમાનામાં પણ સારસ્વતોને ચોંકાવ્યા હતા. વીજળી તેલ તપેલાં ખાલી, તાર સૂકી હોલાય જેવા વાક્યપ્રયોગમાં વીજળી જતાં અને તેલના અભાવમાં છવાઈ વળતાં અંધકારને કવિએ કેવો અદભુત રીતે ઉપસાવી આપ્યો છે ! અંધારાનો લાભ ઊઠાવી દિવાસળી આરસની પાળ જેવા ઠંડા મીણબત્તીના માથે-હોઠે ચુંબન ચોરી લે છે એ કલ્પના જ કેવી હૃદ્ય છે !
Permalink
August 2, 2013 at 2:19 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.
– સુન્દરમ્
પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?
Permalink
August 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઊર્મિકાવ્ય, રાજેશ પંડ્યા
પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.
પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.
જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.
ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.
અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.
– રાજેશ પંડ્યા
ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!
Permalink
June 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મનોજ ખંડેરિયા
અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….
ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી ઝગમગતો
તાજી ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.
-મનોજ ખંડેરિયા
વિરહની વસમી રાત્રે અચાનક મોરલાંની જેમ ટહુકી ઊઠતાં સ્મરણમાત્રથી આખો પરિવેશ કેવો બદલાઈ જાય છે ! એક-એક કલ્પન કાબિલે-દાદ ! કટાવછંદની લયબદ્ધ ગતિમાં કવિતા એમ વહે છે જાણે કે સ્મૃતિ હિલ્લોળાં ન લેતી હોય!
Permalink
May 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
(પૃથ્વી)
સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.
ખુશામત ગણી ? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી-
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી ?
સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
સત્તર વરસની લબરમૂછિયા ઉંમર એટલે માણસની પ્રેમમાં મુગ્ધ થવાની અવસ્થા. આ કાચી ઉંમરે કવિ પ્રણયભ્રમનિરસન નિમિત્તે પ્રિયતમાને ઉપાલંભ આપવાની વાત જે પ્રગલ્ભતાથી કરી શકે છે એને સલામ !
કવિ સખીને સલામ કરીને વાત શરૂ કરી કહે છે કે હું તારા પ્રેમમાં મરી ફીટ્યો છું એવું અભિમાન હવે ન રાખીશ. હું સમજ્યો હતો કે તું ગુલાબ છે જે સાથે રહી ખુશબૂ ફેલાવશે પણ તું તો માત્ર ઊંચે ને ઊંચે વધવા માંગતી કરેણ છે. દરિયાના મોજાં એકધારું ગર્જન કર્યાં કરે છે એને પોતાની ખુશામત માનીને રાત જેમ હરખાય કે ન હરખાય એનાથી દરિયાને કશો ફરક નથી પડતો તેમ તેંય મારા પ્રેમને ખુશામત ગણી લીધી હોય તો એ તારી ભૂલ છે, મારી નહીં… રાત્રિના મુખ પર ચળકતાં તારાઓ એ રાત્રિના અભિમાનના આંસુ છે. તારા ચહેરા પર પણ જે આંસુ ઉપસી આવ્યાં છે એ અભિમાનનાં છે અને હું મારા હાથથી એ કદી નહીં લૂંછું…
બાર પંક્તિના અંતે ચોટ આપી વિરમી જતું આ કાવ્ય કવિની કાવ્યનિષ્ઠાનું પણ દ્યોતક છે. આજે જેમ ગઝલ એમ જે જમાનામાં સોનેટનો સુવર્ણયુગ હતો એ જમાનામાં આવું મજાનું કાવ્ય રચીને માત્ર બે નવી પંક્તિઓ ઉમેરીને એને સૉનેટાકાર આપવાનો મોહ જતો કરવો એ પણ એક મોટી વાત હતી…
સલામ કવિ ! સો સો સલામ !
Permalink
April 11, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુંદરજી બેટાઇ
(ખંડશિખરિણી)
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
. બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને;
. બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
. બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને:
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
. હૃદય ગરવે મત્ત ન બને,
. મન નવ ચઢે તર્કચકવે;
. બસ મરણનું એવું બલ દે.
– સુંદરજી બેટાઈ
હૃદયમાં પડેલા સકળ ઘા અને પીડા ચીસ પાડ્યા વિના કે રીસ રાખ્યા વિના સહન કરી શકાય, શત્રુ ભલે એનો ધર્મ નિભાવે પણ પોતાના હૃદયમાં સામી દુશ્મનીનો ફણગો ફૂટી-ફાલીને વિષવૃક્ષ બની ન જાય એટલી સહનશક્તિ કવિ ઇચ્છે છે. પોતાનું જીવન ભલે નિષ્ફળ જાય પણ જાણ્યે-અજાણ્યે અવર કોઈની જીવન-વાટિકા પોતાનાથી નાશ ન પામે એ જ કવિ ઇચ્છે છે. અને અંતે જો જન્મભૂમિમાં ખાતર બનતું હોય તો કવિ પોતાની જાત પણ બાળી આપવા તૈયાર છે… આજે તો જો કે આપણી માંગણીઓ જ બદલાઈ ગઈ છે…
(ત્રાગું= હઠ; વ્રણ=ઘા; રિપુત્વ= શત્રુત્વ; વિષતરુ=ઝેરરૂપી વૃક્ષ; દગ્ધી=જલાવી, બાળી)
Permalink
March 23, 2013 at 1:15 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃત્સ ઋષિ, હરીન્દ્ર દવે
(અનુષ્ટુપ)
देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।
પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.
-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)
કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:
અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.
વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.
Permalink
March 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રાવજી પટેલ
બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !
-રાવજી પટેલ
જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.
Permalink
March 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ઊર્મિકાવ્ય, એમિલી ડિકિન્સન, વિશ્વ-કવિતા
હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.
જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.
-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)
*
વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…
Permalink
February 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રાવજી પટેલ
અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
– રાવજી પટેલ
નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.
(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)
Permalink
January 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, વિશ્વ-કવિતા, સ્વામી વિવેકાનંદ
(ખંડ હરિગીત)
જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !
– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)
આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.
જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.
સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.
Permalink
November 15, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત, રોબર્ટ ફ્રોસ્ટ, વિશ્વ-કવિતા
કોઈ કહે જગતનો લય અગ્નિથી, વળી
કોઈ કહે હિમ થકી, પણ કામનાનો
જે કૈં મને સ્વાદ મળ્યો છે એથી
લાગે જ સાચા સહુ અગ્નિ પક્ષના.
બે વાર જો જગતનો લય હોય થાવો
મેં દ્વેષ કૈં અનુભવ્યો બસ એટલો કે
કહી શકું હું હિમ પણ સમર્થ
વિનાશને કાજ, હશે જ પૂરતું.
– રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ. નિરંજન ભગત)
*
કવિતા શરૂ થાય છે આનંદમાં અને પરિણમે છે ડહાપણમાં – રોબર્ટ ફ્રોસ્ટની આ ફિલસૂફી એની કવિતાઓમાં સતત નજરે ચડે છે. સરળમાં સરળ વસ્તુ પર સરળમાં સરળ ભાષામાં કવિતા કરવી અને વાતના બે છેડા સામસામે ગોઠવી વાચકને ક્રોસરોડ પર છોડી દેવો એ એની આગવી શૈલી છે જે આ કવિતા કે ‘રોડ નોટ ટેકન’ જેવી ઘણી કવિતાઓમાં નજરે ચડે છે.
2012માં વિશ્વ નાશ પામશેની વાતો કરતાં કરતાં આપણે વર્ષના અંતભાગ સુધી આવી ગયા પણ વિશ્વનો નાશ અને પ્રલય એ કદાચ વિશ્વના ઉત્પત્તિકાળથી ચાલી આવતી ચર્ચા છે. વિશ્વ ક્યાં તો આગથી અથવા બરફથી નાશ પામશે એવી વાતો ફ્રોસ્ટના સમયે ચરમસીમા પર હતી. એ વાતનો મર્મ લઈને નવ જ પંક્તિમાં ફ્રોસ્ટ કેવી મજાની કારીગરી કરે છે !
અંગ્રેજી ચર્ચામાં રસ હોય એ મિત્રો લિન્ક ૧ અને લિન્ક ૨ પર ક્લિક કરી કાવ્યાસ્વાદ માણી શકે છે.
*
Fire and Ice
Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice.
-Robert Frost
Permalink
November 2, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, વિનોદ અધ્વર્યુ
અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
‘હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !
– વિનોદ અધ્વર્યુ
સાંજનું એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું બીજું શબ્દચિત્ર જોઈએ… બપોરના તાપથી ઘાયલ પ્રકૃતિ, વૃક્ષ, આભ, પોયણી બધે જ સાંજનો સુંવાળો સ્પર્શ એમ ફરી વળે છે જાણે (ઉ)ઝરડાયેલા તનને શાતા આપવા એ આવી ન હોય ! ઉઝરડાવું માંથી ‘ઉ’ કાઢીને કવિ એક નવા જ શબ્દની નિષ્પત્તિ કરે છે. છેલ્લી પંક્તિમાં કબૂતર અને બાજ – બંનેને એક જ ડાળી પર બેસાડીને કવિ સારું અને નઠારું – કોઈ પણ સાંજની રૂપાળી અસરથી હાશકારો અનુભવ્યા વિના રહેતા નથી એ નિર્દેશીને કાવ્ય સિદ્ધ કરે છે.
Permalink
October 13, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, વિલિઅમ શેક્સપિઅર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.
ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.
ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.
– વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર
*
શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.
મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.
*
A requiem
Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.
Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.
Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.
-William Shakespeare
Permalink
September 29, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નલિન રાવળ
પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો’ પંખી-શો
આ સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી, અટકતી, ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સહેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી,
તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં,
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં ?
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.
-નલિન રાવળ
સાંજના સમયે શાંત નદીના કિનારે ઢોળાવ પર વૃક્ષ પાસે ફૂલોની પથારીમાં સૂતેલી એક ઝૂંપડી અને એની ટોચેથી નીકતા ધુમાડાનું સુંદર મજાનું ચિત્ર કવિએ કલમના લસરકે ઉપસાવી આપ્યું છે. વૃક્ષની ઠેઠ ઉપરની નાજુક ડાળી પંખીનું વજન ઝીલી ન શક્તાં જે રીતે ઝૂલે એ રીતે સાંજનો તડકો વૃક્ષના છાંયાથી ભૂખરી દેખાતી ટેકરી પર જાણે ઝૂલી રહ્યો છે ! એક નાની કુમળી વયની નદી પર ધીમે ધીમે લહેરાતા પવન અને આછા પવનના કારણે ઝૂંપડીમાંથી નીકળતા લગભગ અગતિશીલ ધુમાડાની જેમ બાળા હળવી ગતિએ ઢોળાવ ઉતરતી નજરે ચડે છે. એનાં પગલાં કવિની સાંજના આકાશમાં ડોકિયું કરવાનું શરૂ કરતા તારા જેવા ચળકતાં દેખાય છે. એક તરફ ઢળતો સૂરજ છે તો બીજી તરફ જાણે આ ઊગતો સૂરજ છે. બંને સૂરજને એકમેકની સન્મુખ સ્થાપીને કાવ્યનાયકની આંખ જરા ભીની થઈ જાય છે… કુદરતની કરામતને નિહાળવી કે કુદરતના સર્જનને નિહાળવું એ પ્રશ્નના દ્વિભેટે આવીને કાવ્ય પૂરું થાય છે અને એક શાંત નીરવ છંદ ભાવકના મનોમસ્તિષ્કમાં રણઝણી ઊઠે છે…
પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય નખશિખ શુદ્ધ ‘ગાલગાગા’ના આવર્તનો લઈ ગતિ કરે છે…
Permalink
August 9, 2012 at 1:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, દેવીપ્રસાદ વર્મા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
તું નહિ શકુન્તલા
હું નહિ દુષ્યન્ત
તું નહિ કામિની
હું નહિ કંથ
સાધારણ નારી-નર
આપણે નહિ અનંત
રોજી ને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.
– દેવીપ્રસાદ વર્મા
(અનુ. સુરેશ દલાલ)
હચમચાવી મૂકે એવું કાવ્ય. આજના સ્ત્રી-પુરુષની વાત છે. બંને જાણે છે કે એ લોકો દુષ્યંત કે શકુંતલા જેવા અસામાન્ય નથી. વેદના આપે એવી વાત તો એ છે કે એ લોકો જાણે છે કે કદાચ એ લોકો જીવનની દોડધામમાં પતિ-પત્ની પણ નથી રહ્યા, માત્ર સ્ત્રી-પુરુષ બની ગયા છે અને સાચા અર્થમાં જીવ્યા વિના જ મૃત્યુ પણ પામશે. સ્ત્રી-પુરુષ સાહચર્યની મુખ્ય ધરી સેક્સ કરવાની વાત તો દૂર રહી, એ લોકો જીવતેજીવત એના વિશે વિચારી પણ નથી શકતા… કેમકે સેક્સ વિશે વિચારવા માટે એકાંત જોઈએ જે કદાચ મરણ પછી નસીબ થાય…
પરંપરિત ઝુલણા છંદના કારણે નાનું અમથું આ કાવ્ય દરિયાના મોજાંની જેમ આવ-જા કરતું હોય એમ ચિત્તતંત્રને ઝંકોરતું રહે છે…
Permalink
August 2, 2012 at 2:10 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયા મહેતા, પ્રભા ગણોરકર, વિશ્વ-કવિતા
જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.
આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !
આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ – પારકાં,
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.
ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.
– પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)
આ કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે. પણ આ કાવ્ય મનસૂરીના કાવ્યથી ખાસ્સું અલગ પડે છે… અહીં કવિતા વિશ્વથી શરૂ થઈને સ્વ સુધી આવે છે. ગામ છોડવાનું થાય- કારણ ગમે એ હોય- એ ઘટના જ હૃદયવિદારક છે. જે તારાઓ સામું જોઈને હસતા હતા એ હવે હસશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ મૂળ પ્રશ્ન પ્રકૃતિનો નહીં, આપણી પોતિકી જાત વિશેનો છે… મરાઠી કવયિત્રીને શંકા છે કે આજે ભલે આ બધું મારી આંખો ભીંજવી રહ્યું છે પણ આવતીકાલે હું જાતે જ આ બધાને ભૂલી ગઈ તો?
Permalink
July 20, 2012 at 1:48 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, પદ, વિદ્યાપતિ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.
સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !
– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)
બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…
આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!
Permalink
June 16, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
નભના ઘનઘોર કાનને
ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે;
કર ભાલો વીજળી સમો ઝગે,
પગ ગાજે પડછંદ ડાબલે.
તિમિરો ગુહકોટરે સૂનાં
અહીંથી ત્યાં ભયભીત ભાગતાં;
પગ અધ્ધર લૈ વટી જવા
હદ મૃત્યુની, શિકારીની તથા.
પવનો વનની ઘટા વિશે
થથરે સ્તબ્ધ છૂપાછૂપા જુએ
બચવા દૃગથી શિકારીનાં
દૃગ મીંચી ત્રસ્ત તારકો !
પડ્યું લો, ઘાવથી છાતી સોંસરા
ઊડી છોળો, તરબોળ દ્યો-ધરા !
– જયન્ત પાઠક
ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા. ચોમાસાની કાજળઘેરી રાતના ફાટફાટ સૌંદર્યનિબદ્ધ આ કવિતા વિશ્વકવિતાની કક્ષાએ બેસી શકે એમ છે.
આકાશના ઘનઘોર જંગલમાં વરસાદ હાથમાં વીજળીનો ભાલો લઈ ઘોડે ચડી શિકારે નીકળ્યો છે. વાદળોનો ગગડાટ એના ઘોડાના ડાબલા સમો સંભળાય છે. ગુફા અને કોતરોમાં એકબાજુ અંધારું પોતે ભયભીત થઈને ભાગતું ભાસે છે તો બીજી તરફ પવન પણ છુપાઈને મૃત્યુની હદ પણ વટી જવા આતુર આ શિકારીને નિહાળી રહ્યો છે. વરસાદની રાતે વાદળોના કારણે નજરે ન ચડતા તારાઓને કવિ જાણે વરસાદની આંખમાં આંખ પરોવી શકતા ન હોય એમ આંખો મીંચી ગયેલા કલ્પે છે… અને તીર જેવો વરસાદ ધરતીની છાતી સોંસરો નીકળી જાય છે. કેવું મનહર દૃશ્ય…
(કાનન = જંગલ, ગુહકોટર = ગુફાની કોતર, દૃગ = આંખ)
Permalink
May 20, 2012 at 3:07 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, કલાપી
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !
આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.
રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
– કલાપી
રાજકવિએ તેઓના સમગ્ર જીવનમાં માત્ર આ ગીતની અંતિમ બે પંક્તિઓ જ લખી હોતે તોપણ હું તેઓનો આજીવન ઋણી રહેતે…. રહીમનો દોહો છે –
રહિમન ધાગા પ્રેમ કા , મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ન જુડ઼ે, જુડે઼ ગાંઠ પડ઼ જાએ।।
Permalink
April 29, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રાજેન્દ્ર શાહ
પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.
લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.
આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.
– રાજેન્દ્ર શાહ
[ અલક્ષિત = દેખાઈ ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]
આંતરપ્રવાસની કથા છે. સંપૂર્ણપણે અજ્ઞાત ક્ષેત્રમાં તમામ પરિમાણો બદલાઈ જાય છે.
Permalink
April 2, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, કાન્ત
ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.
ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.
દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !
શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !
નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.
હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.
શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !
કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.
ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !
જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.
નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !
“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”
વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !
રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !
કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !
રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”
આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’
ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !
સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !
– કાન્ત
પાઠ્યપુસ્તકમાં આ કવિતા ભણ્યા હતા ત્યારે તે જેટલી poignant લાગી હતી,તેટલી જ poignant આજે પણ લાગે છે….!
Permalink