એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
– રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુરેશ દલાલ

સુરેશ દલાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંતિમ યાત્રા – યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)

લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !

લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ

સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !

આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…

મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…

Comments (16)

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

Comments (7)

ગદ્ય સૉનેટ – સુરેશ દલાલ

કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.

– સુરેશ દલાલ

સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.

સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !

Comments (10)

શરાબ – જેક્સ પ્રિવર્ટ

ટેબલ પર નારંગી
મારા ધાબળા પર તારાં વસ્ત્રો
મારી શય્યામાં તારો શ્વાસ
ક્ષણની આ મધુર સોગાદ
શાતાદાયક અંધકાર
મારા અસ્તિત્વનો સ્ફુલિંગ.

– ઝાક પ્રિવર્ત
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમિકા સાથે મિલનના કાવ્યને કવિ શરાબ નામ આપે છે – ભરપૂર નશાની ક્ષણને બીજું કહી પણ શું શકાય ? ( એમ તો ઘાયલે પણ કહેલું, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો  છે કે જે શરાબ  નથી ? ) છેલ્લી પંક્તિમાં મિલનની ક્ષણને કવિએ અજબ સુંદર રીતે વર્ણવી છે – મારા અસ્તિત્વનો  સ્ફુલિંગ !

(સ્ફુલિંગ = અગ્નિનો તણખો, ચિનગારી )

મૂળ કવિતા અહીં જુઓ.

Comments (10)

તો પણ – કુસુમાગ્રજ

સો સો સ્મિતોના
આગળિયા તને
                        વાસ્યા તો પણ

આંખની કટારના
કઠોર પહેરા 
                        રાખ્યા તો પણ

ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ 
                        બાંધ્યા તો પણ

ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી 
                        ભરી તો પણ

તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ 
                        તોડી નાખીશ ?

લલાટનો લેખ
વિનાશ થવાનો : 
                        ભૂંસી નાખીશ ?

– કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)

કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી…  જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે  આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.

Comments (7)

() – સુરેશ દલાલ

જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય –
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં. નજદીક જવાનો
અર્થ એટલો જ કે ક્યારેક એનાથી
દૂર જવું પડશે. ભાગ્યે જ કોઈનો
સંબંધ અકબંધ રહે છે. સંબંધનો
એક અર્થ ઉઝરડા કરીએ તો
આપણે કદાચ ખોટા નહીં પડીએ.
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.

-સુરેશ દલાલ

અછાંદસના કેટલાક આયામોમાંથી એક સિદ્ધ કરતું સરસ કાવ્ય. પહેલી દસ લીટીમાં જે રીતે કાવ્યનો પિંડ અનવરત બંધાય છે અને આખરી બે લીટીમાં જે રીતે સોનેટની જેમ ચોટ ઉપસી આવી છે એ જોતાં એમ વિચાર આવે કે જો બે લીટી વધુ લખાઈ હોત તો આજકાલ સુરેશભાઈ જેના પર વધુ હાથ અજમાવી રહ્યા છે, એ મુક્ત સૉનેટ આપણને મળી શક્યું હોત.

ધ્યાનથી જોઈએ તો પહેલી દસ લીટીમાં કવિતા એક જ લયમાં વહેતી રહે છે. નદી જેમ પથરાની પરવા કર્યા વિના વહેતી રહે છે એમ દરેક કડી બીજી કડીમાં અટક્યા વિના વહેતી રહે છે. પંક્તિ પૂરી થાય છે ત્યાં વાક્ય પૂરું થતું નથી અને વાક્ય પૂરું થાય છે ત્યાં પંક્તિ ચાલુ જ રહે છે. એક લય આ પણ છે અછાંદસનો !

Comments (19)

(આકર્ષણ) – શેશ્લો મિલોશ

ચંદ્ર ઊગે છે અને સ્ત્રીઓ વાસંતી વસ્ત્રોમાં ટહેલે છે ત્યારે
હું મુગ્ધ થાઉં છું એમની આંખોથી, પાંપણોથી અને
આખાયે વિશ્વની આયોજનાથી.
મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે.

શેશ્લો મિલોશ
(અનુ. સુરેશ દલાલ)

શાશ્વત સત્યોને ઉજાગર કરવાની તાકાત જે સૌંદર્યમાં છે  એને સલામ કરીએ.  દુનિયા આખી આકર્ષણથી ચાલે છે – પછી એ ગુરુત્વ-આકર્ષણ (તારાઓ ને ગ્રહો વચ્ચે) હોય કે લધુત્વ-આકર્ષણ (માણસો વચ્ચે) હોય! એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે.

Comments (4)

તમે કહો તો હા – સુરેશ દલાલ

તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી    જપમાળા

તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

– સુરેશ દલાલ

સહજ-પ્રેમની સહજ અભિવ્યક્તિ.

Comments (11)

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં

તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના

તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.

– કુમાર પાશી
( અનુવાદ- સુરેશ દલાલ)

કવિ પ્રિયજને ભેટ કરવા માટે સૌથી મોંઘેરી ચીજો એકઠી કરે છે. બધું એમા મૂક્યા પછી છેલ્લે ઉમેરે છે… પોતાને પ્રાપ્ત થયેલી સુખની બધી ક્ષણો !

Comments (8)

આંસુ – સુરેશ દલાલ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે.  આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે.  આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…

Comments (10)

તું – સુરેશ ભટ્ટ

તું મારા આયુષ્યની સવાર,
તું મારા કેફનાં મોજાં બેસુમાર.

તું ગયા જન્મનો આર્ત સાદ,
તું માનસકુંજનો વેણુનાદ.

તું મારા એકાંતનો પ્રકાશ,
તું મારા ગીતોનો બાહુપાશ.

તું મારાં દુ:ખોની ચાંદરાત,
તું મારાં સ્વપ્નોનું પારિજાત.

તું મારા અમૃતાભાસનો ચંગરાગ,
તું મારા ઓલવાયેલા દેહનો દીપરાગ.

તું મારા શ્વાસનો પ્રવાસ,
તું મારા લોહીની લાલાશ.

તું મારી હયાતીનો અંશેઅંશ,
તું મારા ન હોવાનો મધુર દંશ.

– સુરેશ ભટ્ટ
(મૂળ મરાઠીમાંથી અનુવાદ સુરેશ દલાલ)

એક સંબંધની આખી કથા કવિએ અહીં માત્ર ઉપમાઓના ઉપયોગથી કરી છે. ઉપમાઓનો કવિએ ઓચ્છવ કરી દીધો છે ! – ‘તું મારા આયુષ્યની સવાર’ થી શરૂ થતી સફર ‘તું મારા ન હોવાનો મધુર દંશ’ પર પૂરી થાય છે. આ કાવ્ય હું વર્ષોથી વાંચું છું અને દરેક વખતે આ ઉપમાઓની નવી અર્થછાયાઓ પકડાય છે.

(ચંગ=આનંદમય, મનોહર; આર્ત=વ્યાકુળ)

Comments (7)

તું – સુરેશ દલાલ

તું મને ખૂબ પ્રિય છે
છતાંય
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
એટલે જ
મારા એકાન્તની ભીતર
હું તને નહીં પ્રવેશવા દઉં.

તું મને ખૂબ પ્રિય છે
મારા એકાન્તથી ય વિશેષ
એટલે
તને બહાર પણ નહીં નીકળવા દઉં.

કદાચ
તું જ મારું એકાન્ત છે
અને તું જ છે
મારી એકલતા.

– સુરેશ દલાલ

આ કાવ્ય જરા અટપટુ છે. સંબંધ-વર્તુળ અને એકાન્ત-વર્તુળની પરિમિતિ ટકરાય ત્યારે શું કરવું તેનો તો કોઈ ખરો જવાબ નથી. જીબ્રાને કહેલી વાત યાદ આવે છે : But let there be spaces in your togetherness. બીજાઓ સામાન્ય રીતે પ્રિયજનની સરખામણી ચાંદ-તારા-મેઘધનુષ સાથે કરે છે જ્યારે અહીં કવિ પોતાના પ્રિયજનની સરખામણી, પોતાની સૌથી મહામૂલી મિલકત, પોતાના એકાન્ત અને એકલતા સાથે કરે છે.

કાવ્યને ઉપર કરતા તદ્દન જુદી રીતે, એકથી વધારે રીતે, મૂલવી શકાય એમ છે. અરીસામાં એક જ પ્રતિબિંબ પડે એ જરૂરી નથી.

Comments (9)

મોસમ – ડેવિડ ઈગ્નાતો

મારે માટે જીવ
પવને કહ્યું
મારે માટે જીવ
વરસાદે કહ્યું
મારે માટે જીવ
રાત્રિ એ કહ્યું

મેં માથું નમાવ્યું
ને કૉલર ઊંચો કર્યો.

– ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

પ્રતિકૂલ મોસમમાં પ્રકૃતિના પરિબળો એક પછી એક આવીને કહે છે, મારે માટે જીવ – એટલે કે મારી આગળ નમી જા. માણસ એમની આગળ માણસ સહેજ માથું નમાવે છે – એમનું ગૌરવ કરવા. પણ પછી જાત પરના વિશ્વાસના પ્રતીક-સમ કોલર ઊંચો કરે છે. પ્રકૃતિ ગમે તેટલો મથાવે તો પણ માણસ એની સામે એક હદથી વધારે ઝુકવા તૈયાર નથી.

Comments (1)

અખંડિત ક્ષણ નથી – સુરેશ દલાલ

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !

હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

– સુરેશ દલાલ

આપણે કહેલી બધી વાતોને ભૂલીને ન કહેલી વાતોને પકડી રાખીએ છીએ.. એવુ કેમ ? કેમ મન જે અપ્રાપ્ય રહી ગયું એને જ પંપાળ્યા કરે છે ? કેમ દિલ બધા સહારાને ભૂલી જાય છે પણ દરેક ઘાવને ‘સમી સાંજ’ સુધી યાદ રાખે છે ?

Comments (13)

– (અનામી) (સંસ્કૃત) અનુ. સુરેશ દલાલ

જ્યારે એ
મારા બાહુમાં પાછો આવશે
ત્યારે કોઈએ
કદીયે ન કરાવ્યો હોય
એવો અનુભવ કરાવીશ

જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ

નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ.

(અનામી)
-અનુવાદ: સુરેશ દલાલ

કેટલું સુંદર અને સચોટ પ્રેમકાવ્ય ! કોણે લખ્યું એની તો જાણ નથી પણ એનો અનુવાદ કરાવીને સુરેશભાઈએ પ્રેમીઓ પર જાણે ઉપકાર કર્યો છે.ચાક પર ગૂંદાતી માટીમાં નંખાતું પાણી પોતાનું અસ્તિત્વ ગુમાવીને માટીના કણ-કણને પલાળે છે ત્યારે એમાંથી ઘડાનું સર્જન થાય છે. જાત ન ઓગળે ત્યાં સુધી કોઈ પણ પ્રાપ્તિનો ચમત્કાર કદી શક્ય જ નથી…

Comments (16)

– સુરેશ દલાલ

કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.

-સુરેશ દલાલ

આ નાનકડા અછાંદસને કવિએ કોઈ શીર્ષક આપ્યું નથી. પણ કવિતા વાંચતા જ સમજાય છે કે અહીં કવિતાના ઘરમાં પ્રવેશવા માટે શીર્ષક નામના દરવાજાની જરૂર છે જ નહીં કેમકે આખું મકાન જ દીવાલો, છત વિનાનું સાવ ખુલ્લું અ-સીમ છે. બે માણસો ક્યરેક આખી જિંદગી સાથે રહેવા છતાં પણ એકમેકને કદી ઓળખી શક્તાં નથી. એક માણસનો રસનો વિષય બીજા માટે સ-રસ બનતો નથી. આવાં કજોડાંઓ આપણે ત્યાં ચોરે ને ચુટે જોવા મળે છે. કવિ કેટલી સાહજિકતાથી આ કોયડો સમજાવી દે છે…! તમિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ કે અન્ય કોઈપણ અપરિચિત ભાષામાં લખેલું કોઈ લખાણ આપણે જોઈએ ત્યારે આપણી જાણકારીના અભાવે એ આપણા માટે એક ડિઝાઈનથી વધુ શું હોય છે ? આપણી આંખો અભણ નથી, પણ આપણી આંખો એ ભણી પણ નથી…

Comments (8)

રુબાઈઓ – રૂમી (અનુ. સુરેશ દલાલ)

અગ્નિથી જ ઝાળ લાગે એવું નથી હોતું.
જ્યારે તું એકાએક મારે બારણેથી
ચાલ્યો જાય છે ત્યારે
મને ઝાળ લાગે છે.
જ્યારે તું આવવાનું વચન આપે છે
અને આવતો નથી
ત્યારે હું એકલવાયી અને ઠંડીગાર થઈ જાઉં છું.
હિમ પાનખરમાં જ દેખાય એવું નથી.

*

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

*

તારા હૃદયથી
મારા હૃદય સુધીનો એક રસ્તો છે
અને મારું હૃદય એ જાણે છે,
કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે.
જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય
ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે.

*

તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
ત્યાં મારે પહોંચવું છે,
કારણ એવું પણ બને
કે તું પગ મૂકે એ પહેલાં
જમીનને જુએ પણ ખરો.
મને જોઈએ છે એ આશીર્વાદ.

*

તારે માટે મને જે પ્રેમ છે
એમાં જ હું આ રીતે મરીશ.
જેમ વાદળોના ટુકડાઓ
સૂર્યપ્રકાશમાં ઓગળી જાય, એમ.

*

પ્રેમ,
એક એવી જ્વાળા છે
કે જ્યારે એ પ્રકટે છે
ત્યારે બધું જ બાળી નાખે છે.
કેવળ રહે છે ઈશ્વર.

– મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી
(અનુવાદ: સુરેશ દલાલ)

તેરમી સદીના પર્શિયન ભાષાના સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. શ્રી સુરેશ દલાલ “હું તો तमने પ્રેમ કરું છું” નામના અદભુત પુસ્તકરૂપે એમની રુબાઈઓનો અમૂલ્ય અનુવાદ આપણા માટે લઈ આવ્યા છે. આ પુસ્તક પ્રગટ થયાના પાંચ વર્ષ મોડું કેમ હાથમાં આવ્યું એનો જ વસવસો છે…

આજે ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર ‘લયસ્તરો’ના પ્રેમીઓ માટે મહાસાગરના કયા મોતીઓ -રુબાઈઓ- પસંદ કરવા અને કયા છોડવા એ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો. નાની-નાની રુબાઈઓના સ્વરૂપે અહીં ચારે તરફ ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો ભર્યો પડ્યો છે. આ રુબાઈઓ જેટલી સરળ ભાસે છે, એટલી જ અર્થગહન છે. એને પોતપોતીકી સમજણ મુજબ જ મમળાવીએ…

(રૂમી: જન્મ: ૩૦-૦૯-૧૨૦૭, બાલ્ખ, અફઘાનિસ્તાન ~ મૃત્યુ: ૧૭-૧૨-૧૨૭૩, કોન્યા, તુર્કી)

Comments (3)

વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. – સુરેશ દલાલ)

તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ

Comments (3)

વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) – સર્વેશ્વરદયાલ સક્સેના

દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.

દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.

દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.

Comments (6)

લઘુકાવ્ય -ગુરુનાથ સામંત (અનુ. સુરેશ દલાલ)

મેં મારી કવિતા
       તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
       ‘સમજાતી નથી’
કોરા ચહેરાની
       તે એક બપોર
મેં એવી જ
       સાચવી રાખી છે.

-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)

Comments (4)

દરિયાઈ શંખ – ડીક સટફેન

સદીઓ સુધીનો પુરાયેલો
દરિયાનો ઘૂઘવાટ –
દિવાલોમાં શંખલાની …

એને મેં ધર્યું
મારે કાને
અને તેણે
પડઘા પાડ્યા
તારા નામના.

– ડીક સટફેન
(અનુ. સુરેશ દલાલ)

Comments (6)

ગીત- સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે.

અરધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે.

-સુરેશ દલાલ

સુરેશ દલાલે લખેલા શ્રેષ્ઠ ગીતોમાં અગ્રિમ ક્રમે મૂકી શકાય એવા મીરાં જેવા જ સરળ અને સહજ આ ગીતને બસ, મમળાવી મમળાવીને વાંચીએ… માણીએ…

Comments (1)

આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

Comments (2)

ગીત મારાને શું હવે શણગાર ? – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અગળા કીધા સઘળા અલંકાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો એ કેમ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત, એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી :
મહાકવિ ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું, વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું.
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. સુરેશ દલાલ)

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે ત્યારે જેવો સંતોષ થાય એવો સંતોષ આખી દુનિયાભરની કવિતાઓ વાંચ્યા પછી ટાગોરના ગીતો વાંચતા થાય છે. અને આ ગીતનો અનુવાદ પણ ખૂબ સરસ થયો છે. આટલી ભાવની તીવ્રતા અને શબ્દોની સાદગી બીજે ક્યાં જોવા મળવાની હતી. મૂળ અંગ્રેજી કાવ્ય (ગીતાંજલીમાં સાતમું કાવ્ય) અહીં નીચે મૂકું છું. સરખામણીથી ખ્યાલ આવશે કે ગીતસ્વરૂપે અનુવાદ કેટલો સરસ થયો છે.

My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet’s vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

Comments (1)

હથોડી – કાર્લ સેન્ડબર્ગ (અનુ. સુરેશ દલાલ)

જૂના પુરાણા દેવોને
મેં જતા જોયા છે
અને નવા દેવોને આવતા.

પ્રત્યેક દિવસે
અને વરસે વરસે
મૂર્તિઓ પડે છે
અને પ્રતિમાઓ ઊભી થાય છે.

આજે
હું હથોડીની ભક્તિ કરું છું.

કાર્લ સેન્ડબર્ગ

આ નાનકડા કાવ્યના કેટલાય અર્થ છે. એક તરફથી જુઓ આ કવિતા એ ‘કિંગ’ અને ‘કિંગ-મેકર’ની વાત કરે છે. અને બીજી બાજુથી જુઓ તો આ કાવ્ય લોકશાહીની પ્રણાલીની વાત કરે છે જેમા મૂર્તિઓ ઘડતી હથોડી એટલે કે પ્રજા જ આખરે રાજા છે. અને વળી બીજા ખૂણેથી જુઓ તો આ કવિતા – પરિવર્તનથી  વધુ શાશ્વત વાત કોઈ નથી – એ ધ્રુવવાક્યનો પડઘો પાડતી જણાય છે. તમને જે ગમે તે અર્થ છે તમારે માટે ખરો અર્થ !

Comments (1)

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

– સુરેશ દલાલ

સુ.દ.ના આ ડોસા-ડોશી કાવ્યો મને ખૂબ ગમે છે. (એક પહેલા પણ રજૂ કરેલું) આ ગીતમાં કવિ સહજીકતાથી જ પ્રસન્ન વાર્ધક્યનું ચિત્ર દોરી આપે છે. એમાં ક્યારેક રહેતા ગાજી થી માંડીને શરીરની ખામોશી જેવી બધી વાતો પણ આવી જાય છે. ડોશીના ઘૂંટણ દુ:ખે તો ડોસો ધીમે ચાલે એ પણ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે ને ! સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એજ રહે છે.

Comments (6)

શાંત આનંદ – યેહૂદા અમિચાઈ

જ્યાં મેં પ્રેમ કર્યો હતો એ સ્થળ પર હું ઊભો છું.
વરસાદ વરસે છે. વરસાદ મારું ઘર છે.

ઝુરાપાના શબ્દોને હું વિચારું છું; એક દ્રશ્ય
શક્યતાના છેક છેવાડાની ધાર પર ઊભરાય છે.

મને યાદ છે તું હાથ હલાવતી
જાણે કે મારી બારી પરથી ધુમ્મસ લુછતી હોય એમ.

અને તારો ચહેરો જાણે કે મોટો થયેલો
જૂના ઝાંખા ફોટામાંથી.

એક વાર મેં મારી જાત અને બીજાઓ સાથે
ભયંકર ખોટું કર્યું હતું.

પણ દુનિયા સુંદર રીતે નિર્માણ થયેલી છે સારું કરવા માટે
અને વિસામા માટે; બગીચાના બાંકડા જેવી.

અને જીવનમાં મોડેમોડે મને જાણ થઈ
શાંત આનંદની,
કોઈ ગંભીર રોગ બહુ મોડેમોડે ઓળખાયો હોય એમ.

હવે જરીક અમથો સમય રહ્યો છે શાંત આનંદ માટે.

યેહૂદા અમિચાઈ

હીબ્રુ કવિનું આ કાવ્ય સુરેશ દલાલે અનુવાદિત કરેલું છે. આ મારા અત્યંત પ્રિય કાવ્યોમાંથી એક છે. બહુ થોડા કાવ્યોમાં એવી તાકાત હોય છે કે જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે. આ કાવ્ય એમાંથી એક છે. બહુ મોડું થઈ જાય એ પહેલા આપણે આપણો પોતાનો શાંત આનંદ શોધવો જ રહ્યો.

Comments (5)

તારા વિના – સુરેશ દલાલ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

– સુરેશ દલાલ

એક સંગાથ છૂટી જાય તો ઘણી વાર આખી જીંદગીમાંથી અર્થ ખૂટી જાય છે. ‘તું’ નથી તો જાણે ‘હું’ જ નથી. અને એની ફરિયાદ કરવા જવું તો જવું પણ ક્યાં ? 

Comments (3)

એક સુંવાળી નદી – સુરેશ દલાલ

સદી સદીથી વહી રહી છે
                         એક સુંવાળી નદી
                         એક હૂંફાળી નદી.

નરસૈંયાનાં     વેણ    વ્હેણમાં      વહ્યા      કરે
મીરાંબાઈના    નેણ     ઝરમર       ઝર્યા    કરે
રસિકવલ્લભ   દયારામની   તરી રહી    ગરબી.

પ્રેમાનંદનાં  આખ્યાનો  ને અખાની  ધખતી  વાણી
દલપત-નર્મદ અર્વાચીનની ક્ષિતિજ ઉઘાડે શાણી
કાન્ત, કલાપી, ઠાકોરની તો  વાત નિરાળી, નરવી.

ન્હાનાલાલની   નૌકા   કેવી   લાડકોડથી     તરે
ધ્વનિ  અને  છંદોલયના   અહીં ટહુકાઓ તરવરે
ખડિંગ   દઈને  બરફના પંખી ઊડતાં  કદી કદી.

સિંજારવ  ને   પરિક્રમા   ને   બારીબહારનો પંથ
વિના   ભોમિકા   વસુધા કેરી યાત્રા  અહીં અનંત
લયને  રસ્તે  પ્રિયકાંત ને   મણિલાલ,   રાવજી.

ઓડિસ્યસનું   હલ્લેસું ને બૂમ કાગળમાં   કોરા
એક પલકમાં તૂટી ગયા અહીં તર્ક તણા કૈં દોરા
ફૂટપટ્ટીથી  મપાય   નહીં કદી દરિયાની ભરતી.

મેઘાણીના   યુગમેઘમાં ચમકે   વીજળી   સૂર
સ્વપ્નપ્રયાણે પશ્વિમ: કોડિયાં નહીં રવિથી દૂર
સતત, અચાનક, મૌન, આગમન, અટકળ કરો હજી.

– સુરેશ દલાલ

ગુજરાતી કવિતાના ઈતિહાસના સિમાચિહ્નોને સુરેશ દલાલ સરસ રીતે એક સુંવાળી, હુંફાળી નદી તરીકે અહીં રજૂ કર્યા છે. આ રચના પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની છે એટલે ત્યાં સુધીની જ વાત એમાં છે. ગુજરાતી કવિતાના પાયા સમા કાવ્યસંગ્રહો અને રચનાઓ એમણે અહીં ઉલ્લેખ કર્યો છે તેમાંથી તમે કેટલી ઓળખી શકો છો ? જે સંદર્ભો તમે પકડી શકો એ નીચે કોમેંટમાં જણાવશો. શરૂઆત હું જ પહેલી કોમેંટથી કરું છું.  

Comments (3)

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું… – સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
          હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
          કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
          કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
          જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
          ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
          અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
          ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
          ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ

પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.

Comments (8)

–હશે ? – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

સુરેશ દલાલ

(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”)

Comments (9)

મીરાં – સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

અરધી રાતે દરશન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલ કી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે

-સુરેશ દલાલ

Comments (2)

કાગળ -સુરેશ દલાલ

મારે કવિતા  લખવી નથી.
મારે તો લખવો છે કાગળ 
-સરનામા         વિનાનો,
મારા    નામ    વિનાનો !
તું  યાદ  આવે  છે  એટલે
હું  કાગળ  લખતો   નથી.
હું  કશુંક  ભૂલવા  માંગુ છું
એટલે   કાગળ  લખું   છું.

-સુરેશ દલાલ

Comments (1)

અનુભૂતિ -સુરેશ દલાલ

          લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને   એમ   થયું  કે  લાવ   જઈને   મળિયે !
          કંપ્યું        જળનું        રેશમપોત;
          કિરણ   તો   ઝૂક્યું   થઈ   કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
          હળવે     ઊતરે     આખું   વ્યોમ;
          નેણને    અણજણી    આ     ભોમ.
લખ  લખ  હીર ઝળકે  ભીના તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

Comments (4)

પક્ષી ગાતું નથી -પુ.શિ.રેગે

પક્ષી ગાતું નથી
પોતાની સીમાઓની કક્ષાનો ઉદ્ ઘોષ કરે છે.

સિંહ ત્રાડ પાડતો નથી
પોતાની હકૂમત કયાં ક્યાં છે તેનો આદેશ કરે છે.

હાથી વૃક્ષો સાથે અંગ ઘસતો નથી
પોતાના પ્રદેશની સીમા નક્કી કરે છે.

હું કવિતા કરતો નથી
મારા-તારા મનને પામું છું.

-પુ.શિ.રેગે
(અનુવાદ: સુરેશ દલાલ)

Comments