બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઇન્દ્ર શાહ

ઇન્દ્ર શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જીવન રેખ- ઇન્દ્ર શાહ

વિસ્તૃત તટ પરે
એક રેખા
બે બિંદુ મધ્યે પડી
અચેતન, સુપ્ત     

મુગ્ધ હું એના વળાંક પર
શોધી રહું
ચોતરફ
અણદીઠ હસ્ત!

– ઇન્દ્ર શાહ
શ્રી. ઇન્દ્ર શાહ સાથે મારો પરિચય સાવ નવો છે. પણ એમની કવિતાઓમાં મને મારા અંતરનો અવાજ સંભળાય છે.ઉત્ક્રાન્તિના જે તબક્કે માનવ નામના પ્રાણીને પ્રજ્ઞા લાધી, ત્યારથી આ પ્રશ્ન તેને મુંઝવી રહ્યો છે, કે આ જીવે છે તે શું છે? મરણ બાદ જે જતું રહે છે તે શું છે? અને આ પ્રશ્નમાંથી જ માણસે ઇશ્વર નામના કોઇ અસ્તિત્વ કે અનસ્તિત્વની કલ્પના કરી.

ઇન્દ્ર ભાઇ પણ આ જ શોધે છે. જન્મ અને મૃત્યુના બે બિંદુ વચ્ચે જિંદગીની જડ રેખા લાંબી થઇને, સુતી પડી છે. આ રેખા પર મુગ્ધ થયા છતાં કવિને સંતોષ નથી. એમને તો ન દેખાતા, પણ ખરેખર ચેતનાથી સભર હાથની શોધ છે, જેની પાર્શ્વ ભૂમિમાં આ રેખા અંકાયેલી છે. આપણે દરરોજ આપણો હાથ જોઇએ છીએ, પણ તેને જોવાની આ દ્રષ્ટિમાં કેટલું ઉંડાણ ધરબાઇને પડ્યું છે? અછાંદસ હોવા છતાં સુપ્ત અને હસ્ત નો અંત્યાનુપ્રાસ આ રચનાને એક લય અને મધુરતા આપી જાય છે.

Comments (1)

સમજે તે ના બોલે – ઇન્દ્ર શાહ

સમજે  તે  ના   બોલે,  બોલે   તે  ના   સમજુ
ડુબ્યા વિના થઇ  શકે ના કદી કોઇ પણ મજનુ !

બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.

અંતના મૂળમાં આદિ, અંત આદિનું અંતિમ પગલું,
અનંતની ઓળખ માટે ના શૂન્ય વિના કંઇ ખપનું.

ડાબા જમણી ગયા વિના આ વચમાં રહેવું અઘરું,
નટના જેવું કામ  આ તો  ધ્યાન અને છે તપનું.

આકારો  સૌ  નિરાકારના,  શું  સાચું  શું  સપનું?
સપાટીએ સૌ જુદા જુદા પણ ભીતર સરખું સરખું.

– ઇન્દ્ર શાહ

ઓહાયોમાં રહેતા, મૂળ અમદાવાદના શ્રી ઇન્દ્ર શાહ વ્યવસાયે વકીલ, પણ અંતરથી કવિ છે. તેમનો કાવ્ય સંગ્રહ ‘બે ફૂલ’ ઊપરથી જુઓ તો પણ એક વિશિષ્ટ સર્જન છે. તેમના પોતાના હસ્તાક્ષરમાં છપાયેલ આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ આપણને છાપકામની પહેલાંની દુનિયામાં લઇ જાય છે, તો તેની ભીતરની રચનાઓમાં આક્રોશ છે અને ગહન તત્વની ચર્ચા છે. ઝેન, બુદ્ધ અને ઓશોના વિચારો તેમની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. ગઝલનો વચલો શેર આપણને ‘શૂન્ય’ પાલનપુરીની યાદ અપાવી દે છે.

Comments (4)