એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,
મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.
– જલન માતરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મકરન્દ દવે

મકરન્દ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઊંડી વાવમાં તડકો પેસવા જાય – મકરંદ દવે

ઊંડી વાવમાં તડકો પેસવા જાય
          તો તડકો કેટલો ઊંડે પેસે ?
   પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
           બહુ બહુ ચાલીસ પગથિયે
               બહુ થયું માનીને તડકો
                           બસ કહીને બેસે;
                          કેટલો ઊંડે પેસે ?

તડકો    માપે   એટલી  ઊંડી   વાવ,
તડકો આપે  એ જ  ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;

તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
                  આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
            લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
                                              મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
                              દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
                             નસે નસે.

પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !

તડકાના આ રાજમાં વાવની
                       વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
                             આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.

-મકરંદ દવે

કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને !  આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…

Comments (10)

યાદગાર ગીતો :૧૩: ગમતાંનો કરીએ ગુલાલ – મકરન્દ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                                 ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
.                                        વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
.                                          ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારાં
.                                           રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                              ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરન્દ વજેશંકર દવે
(જન્મ: ૧૩-૧૧-૧૯૨૨, મૃત્યુ: ૩૧-૦૫-૨૦૦૫)

સંગીત : ગૌરાંગ વ્યાસ
સ્વર :  ભવન કોરસ

[audio:http://urmisaagar.com/saagar/audio/GAMTA-NO-KARIYE-GULAAL-Makarand-Dave.mp3]

જન્મ અને વતન સૌરાષ્ટ્રનું ગોંડલ. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ જે બેતાળીસની લડત વખતે પડતો મૂક્યો. વ્યવસાયે પત્રકાર. ‘નંદીગ્રામ’ નામની રચનાત્મક સંસ્થાના સર્જક. મકરન્દ દવેની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. લોકસાહિત્ય અને સંતસાહિત્ય પરંપરાના ઊંડા જાણતલ હોવાના નાતે એમના પદ્ય અને ગદ્યમાં એનો સર્જનાત્મક વિનિયોગ અવારનવાર જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘ઉજાગરી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’)

કવિનું યાદગાર ગીત યાદ કરવા બેસું તો લાઈન લાગી જાય છે: ‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’, ‘અમે રે સૂકું રૂનું પૂમડું’, ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’, ‘પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ઊગતી પરોઢના બારણે’, ‘વજન કરે તે હારે રે મનવા’…. એક અસ્ખલિત પ્રવાહ દડતો આવે છે. પણ આજે મેં પસંદગી ઉતારી છે આ ગીત પર કેમકે કવિ અને કવિતાનો -બંનેનો ખરો સ્વભાવ અહીં વહેલી પરોઢે ખુલતા કમળની જેમ ખુલે છે અને ભાવકના ભાવજગતને મઘમઘ કરી દે છે. પરંપરાની પંગતમાં બેસીને કવિ એક પછી એક ઉદાહરણ આપીને ‘વહાલું તે વહેંચવાનું’નો બોધ એવી તાજપથી આપે છે કે હજારોવાર વાંચ્યા બાદ પણ આ કાવ્ય આજેય સાવ તાજું ને તાજું જ લાગે છે… કવિના બાગનું આ એવું પુષ્પ છે જે કદી વિલાવાનું નથી…

Comments (12)

જિંદગી કોને કહો છો ? – મકરન્દ દવે

જિંદગી કોને કહો છો, જો નહિ
આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ?
ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?

જિંદગી શી ચીજ છે, જો એ નહિ
કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?
ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
મોજ મીઠી માનવા આંસુ તણી ?

જિંદગી શું છે કહોને, જો નહિ
તાઝગી જાણે કદી એ તેજની ?
વિશ્વને અંધાર જો એ ના બને
અંત સુધી સળગતી અગ્નિકણી ?

-મકરન્દ દવે

ગઝલની ચાલમાં ચાલતું જિંદગીને વિધાયકભાવે સ્વીકારવા અને સદા અગ્રેસર થવા આહ્વાન આપતું ઊર્મિકાવ્ય…

Comments (5)

ચહું – માસુહિતો (અનુ. મકરન્દ દવે)

પરમ દિવસે મેં તને જોયો,
અને કાલે, અને આજે,
અને એમ જ, જરા જો !
આવતી કાલે તને જોવા ચહું.

– માસુહિતો (આઠમી સદી) (જાપાન)
(અનુ. મકરન્દ દવે)

પ્રેમની વાર્તા આદિથી અનાદિ અને અનંત સુધી વિસ્તરે છે. પ્રેમના વાક્યમાં કદી પૂર્ણવિરામ સંભવી શકે નહીં. મેં તને પરમ દિવસે જોયો, કાલે પણ અને આજે પણ… પણ તોય આ દિલને સંતોષ થઈ શકે ખરો? ના… આ દિલ તો ફરી ફરીને એમ જ ચાહવાનું કે આવતીકાલે પણ તારે એ જ રીતે મળવું પડશે…

Comments (6)

મારી ગઝલમાં – મકરંદ દવે

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

ગઝલના નામે કવિ પોતાની કેફિયત બખૂબી રજૂ કરે છે. પહેલા બે શેર અર્થની દ્રષ્ટિએ સૌથી ઊંડા છે – બંને પર કવિના ઊંડા તત્વચિંતનની છાપ છે. પણ મારો સૌથી પ્રિય શેર તો છેલ્લો શેર છે.

Comments (8)

હારને હાર માની નથી – મકરંદ દવે

જિંદગી ભાર માની નથી
ને  નિરાધાર  માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને  હાર  માની   નથી

– મકરંદ દવે

Comments (8)

એ દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.

Comments (9)

કિરતાર તારી કળા ! – મકરંદ દવે

જેટલી    વેદના    એટલો   સ્નેહ !
જેટલી    લૂ   ઝરે   એટલો   મેહ !
ધન્ય છે, વાહ, કિરતાર તારી કળા !
તેં   દીધી   ચેતના  ને   દીધી  ચેહ.

– મકરંદ દવે

Comments (4)

મુક્તક – મકરંદ દવે

ભલે રક્ષજે નાથ સંહારકોથી
પરંતુ વધુ તેથી ઉદ્ધરકોથી
મને બીક છે કે અમે ડૂબવાના
અમારા બની બેસતા તારકોથી

– મકરંદ દવે

Comments (3)

એમ પણ નથી – મકરંદ દવે

કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.

મારે લથડતી ચાલ મને ક્યાં લઈ જશે ?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.

આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.

તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.

તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ !
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.

દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો !
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.

– મકરંદ દવે
જીવનની અપુર્ણતાઓ અને અસંગતિઓ જે જીવનને વધારે ચોટદાર બનાવે છે (અને કયારેક ચોટ પણ ખવડાવે છે!) એને કવિ એ ‘એમ પણ નથી’ કહીને અહીં ટાંકી છે. પોતાના સ્ખલનોની આપકબૂલાતથી વધારે સીધો સચ્ચાઈનો રસ્તો ક્યો હોય શકે ?

Comments (1)

આ ગીત – મકરન્દ દવે

         આ ગીત તમને ગમી જાય
                      તો કહેવાય નહી,
         કદાચ મનમા વસી જાય
                      તો કહેવાય નહી.

ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?

         આ ગીત એ જ કહી જાય
                      તો કહેવાય નહી,
         જરા નયનથી વહી જાય
                      તો કહેવાય નહી.

ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?

         ખુશી જો ત્યાં જ મળી જાય
                      તો કહેવાય નહી,
         આ ગીત તમને ગમી જાય
                      તો કહેવાય નહી.

– મકરન્દ દવે

Comments (1)

આંખ સામે રાખીએ – મકરન્દ દવે

અફસોસને આસન કદી જો આપશું,
                      જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
                      ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;

આંખ સામે ઊગતો દિન રાખીએ,
                      જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
                      રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

મકરન્દ દવે

મકરંદ દવે એટલે “ગમતાંનો ગુલાલ” કરનાર ખુદાનો અલગારી બંદો. એમની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. સંતસાહિત્ય સાથે પ્રગાઢરીતે સંકળાયેલા મકરંદ દવેએ ભક્તિરસથી રંગાયેલી મસ્તીભરી કવિતાઓમાં અધ્યાત્મરંગને સહજરીતે સારવી આપ્યો છે. એમના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાવિષ્ટ છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ, બાળકાવ્યો, નિબંધો, નવલકથા, ગીતનાટિકા – આ બધા એમના કાવ્યપિંડની નિપજ છે. જન્મ: ૧૩-૧૧-૧૯૨૨. નંદીગ્રામ સંસ્થાના સર્જક. કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’ વિ. ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા).

Comments (1)

આવો ! – મકરંદ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
     તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
     ભરો લખ લખ અદીઠા અંબાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
     આપો અમને અગનના શણગાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

– મકરંદ દવે

આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.

Comments (4)

ગમતાંનો કરીએ ગુલાલ -મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ. 

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

-મકરંદ દવે

Comments (3)