શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભક્તિપદ

ભક્તિપદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

(કર મન ભજનનો વેપારજી – એ રાગ)

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી,
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મનેo ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મનેo ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી;
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય! પગ મનેo ૩

આ જગતમાં દીનદયાળુ, ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મનેo ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે, શું લેશો ઉતરાઈ. પગ મનેo ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,ખારવો ઉતરાઈ.’ પગ મનેo ૬

– દુલા ભાયા કાગ

(‘કાગવાણી’માંથી)

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

Comments (4)

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદ્યો તમે, વસોને અમારે સાથ.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

મીરાંબાઈ

(મીરાંબાઈ અટલે શ્રીકૃષ્ણપ્રેમ નો અનન્ય પર્યાય. એણે ટેબલ-ખુરશી પર બેસીને ગીતો નથી લખ્યાં. એણે રાણીપદનો ત્યાગ કર્યો હતો એટલે કૃષ્ણના પદ એમને પ્રાપ્ત થયાં. પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાં પછી કશું ન લખાયું હોત તો ય એ અધુરૂં ન લેખાત.)

Comments (1)

પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)

તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે – એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.

Comments (13)

મેરે પિયા ! -સુન્દરમ

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.

-સુન્દરમ

Comments (5)

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

Comments (2)