મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

અબ્બાસઅલી તાઈ ‘અજનબી’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(મન મીરાં ને તન રાધા ) – અબ્બાસઅલી તાઈ

મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.

ભીતરથી ભણકારા છૂટે વેણુના વંટોળ વછૂટે,
રોમરોમના થરથર કંપે માધવનું મન ઘેનલ ઘૂંટે.
વસંતવેલી અબિલગુલાલે રાસ રમે ને લૂમેઝૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.

ઝાંઝર મીરાં પગનું તારા કુંજગલીમાં ઝમતું ઝરણું,
રાધા વહેતી ધારા જેવી શોધે છે માધવનું શરણું.
ઝરણ શરણના વહેળા ફૂટ્યા ડૂસકે ડૂસકે ડૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.

– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

વૃંદાવનની કુંજગલીઓમાં કવિનું મન મીરાં થઈને અને તન રાધા થઈને ફરી રહ્યું છે. એક મુસ્લિમ કવિનું આ કૃષ્ણગીત છે પણ આખ ગીતનું પિષ્ટપેષણ કરવાના બદલે મારું મન એક જ પંક્તિ પર અટકી ગયું છે. નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે. – ભઈ વાહ ! આનાથી ઊંડો ને ઉદાત્ત કૃષ્ણપ્રેમ બીજો કયો હોઈ શકે? ચંદ્રમાં શ્યામ વર્ણના ડાઘ છે એટલે કવિના તન-મનને એમાંય શ્રીકૃષ્ણ નજરે ચડે છે અને એથી જ કવિ ચંદ્રમાંથી પૃથ્વી પર ઉતરી આવતા એક-એક કિરણ કિરણને ચૂમી રહ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિની કેવી પરાકાષ્ઠા!

ડૉ. અબ્બાસઅલી તાઈ… મૂળ સોનાવાડી, ગણદેવીના. ચીખલીની કોલેજમાં અધ્યપક રહ્યા. સંખ્યાબંધ પુસ્તકો અને પુરસ્કારોથી નવાજિત. જન્મે મુસ્લિમ પણ કર્મે મીરાં… શ્રીકૃષ્ણ ઉપર એમણે પી.એચ.ડી. કર્યું ને ૫૦૦થીય વધુ પ્રવચનો આપ્યાં. પોતાના કૃષ્ણપ્રેમ વિશે એ પોતે કહે છે, “હું જન્મ તથા કર્મથી ઈસ્લામ ધર્મી મુસ્લિમ વ્યક્તિ છું. મારા આ સંશોધન (પી.એચ.ડી.) પછી હજારો લોકોએ મને આ પ્રશ્ન કર્યો, ‘આપે આ જ વિષય (કૃષણ) જ કેમ પસંદ કર્યો?’ પ્રત્યુત્તર સાફ હતો, હું ભારત ભૂમિનો પુત્ર છું, જેના સંસકર અને સંસ્કૃતિથી પ્રભાવિત હોવું સ્વાભાવિક છે. જેમ કવિ રસખાને કૃષ્ણ કવ્યો લખ્યાં, કર્નાટકના ચિત્રકાર અલ્લાબક્ષાખાંએ શ્રીકૃષ્નલીલાના બહુ ભાવવાહી સુંદર ચિત્રો બનાવ્યાં, મોટા મોટા મુસ્લિમ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદોએ પણ કહ્યું, – કૃષ્ણ વિના શું ગાવું? અલ્લામા ઇકબાલે પોતાના’મનસવી’ કાવ્યમાં શ્રીકૃષ્ણના ગુણગાન ગાયાં છે.”

Comments (9)