રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ખંડકાવ્ય

ખંડકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઈર્શાદગઢ : ૦૬ : ખંડકાવ્ય: બાહુક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

ઉર્ધ્વતાને કારણે જ
આકાશમાર્ગ ઈષ્ટ?

આકાશ જેવું જ ઊંડાણ
પૃથ્વીના પેટાળમાં
શું નહીં જ હોય?
હે વૃક્ષરાજ!
આપ તો
પૃથ્વીના આંતરમર્મ સાથે
મૂળગત બંધાયેલા છો.

આપ
મૃદુ પૂર્ણઅંગુલિઓથી
પૃથ્વીના પટને
સ્પર્શતા રહ્યા છો

અને આપ
નિત્ય ગગનચારી
એવાં વિહંગોના
નિવાસસ્થાન રહ્યા છો.

આપને, એથી જ, કરું છું
પૃચ્છા
કે

વાદળનું પૃથ્વી પરનું આગમન
એ પતન જ લેખાય?

(વૈદર્ભી ઉવાચ: બાહુક- સર્ગ:03)

-ચિનુ મોદી

નળાખ્યાનમાં દ્યુતમાં હાર્યા બાદ નળરાજા નિષધનગરીની બહાર વનમાં જતાં પહેલાં ત્રણ રાત્રિઓ પસાર કરે છે. નળ, વૈદર્ભી તથા બૃહદશ્વ – આ ત્રણ પાત્રો આ ત્રણ રાતમાં જે ઘટનાઓમાંથી પસાર થાય છે એ ઘટનાઓનો લોપ કરીને આ પાત્રોના મનોજગતમાં પ્રવેશ કરવાનો શ્રી ચિનુ મોદીનો અનૂઠો પ્રયત્ન એટલે ‘બાહુક’. કવિ કહે છે એમ નવલકથાની વર્ણનાત્મક શક્તિ, નાટકની સંવદશક્તિ, કવિતાનું એકાંટિક વિશ્વ અને ટૂંકી વાર્તામાં શક્ય, ઘટનાલોપત્વની સુવિધા આ રચનામાં એમને ઉપયોગી નીવડ્યા. ન્હાનાલાલની ડોલનશૈલીનો અ-છાંદસથી સિદ્ધ ગદ્યાન્વિત લય તથા સંસ્કૃત વૃત્તો અને માત્રમેળ છંદોના કોકટેઇલથી ચિનુ મોદી આપણને વીસમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલ ‘કદાચ’ એકમાત્ર ખંડકાવ્ય પીરસે છે. આ દીર્ઘ ખંડકાવ્યનો એક નાનકડો ખંડ અહીં રજૂ કરવાનો એકમાત્ર હેતુ કવિશ્રીની વૈવિધ્યસભર કાવ્યશક્તિથી વાચકોને સુપરિચિત કરાવવાનો છે.

Comments (3)