આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજુલ ભાનુશાલી

રાજુલ ભાનુશાલી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જગન રેપ કર – ઉત્પલ વી.બી. (મરાઠી) (અનુ.: રાજુલ ભાનુશાલી)

જગન રેપ કર.
આવું જગનને કોઈ કહેતું નથી.
જગન જાતે જ રેપ કરે છે.

શાળાએ ગયેલો, ન ગયેલો, એમબીએ થયેલો, ન થયેલો, ફેસબુક પર હોય એવો જગન, ફેસબુક પર ન હોય તેવો જગન.. જગનના આવા ઘણાય પ્રકાર છે.
એ બધા જ રેપ કરી જાણે છે.

જગન બાકીના સમયે કદાચ સારા માણસોમાં ગણાતો હશે.
પણ તે કમળા પર નજર રાખે છે, અને મોકો મળતાં જ એને પીંખી નાખે છે.
છેલ્લે ઘાતકી રીતથી મારી પણ નાખે છે.
જગન ખરાબ છે. અત્યંત ખરાબ.

એ બધા ખરાબ જગનોમાંથી એક કેસ આ જગનનો છે.
આ કેસમાંના જગનને બીજા જગનોની જેમ જ પંદર-સોળ વર્ષે પહેલીવાર ઇરેક્શન થયું.
કમળાને ઋતુસ્ત્રાવ શરૂ થયો એના બે’એક વર્ષ પછી.

ઇરેક્શન થાય ત્યારે શું કરવું જોઈએ તે જગનને એના માતાપિતાએ સમજાવ્યું નહોતું.
કારણ એમને એવી વાતો કરતાં સંકોચ થતો હતો.
કમળાને માસિક આવ્યું કે તરત માએ એને શું કરવું અને કેમ કરવું એ સમજાવ્યું.
પણ જગનને ઇરેક્શન થાય ત્યારે શું કરવું એ તેના પિતા સમજાવતા નથી.
કારણ એમને પણ કોઈએ સમજાવ્યું નહોતું.

પિતાના પિતાએ એકવાર એમને ઉઘાડી સ્ત્રીઓના ફોટાવાળું પુસ્તક વાંચતા પકડી પાડેલા પછી ખૂબ માર મારેલો.
પણ ઇરેક્શનનું શું કરવું એ સમજાવ્યું નહોતું.
પિતાએ પોતે ત્રીસેક વર્ષ પહેલા હેલનને નાચતી જોઈને હસ્તમૈથુન કરેલું.

હવે તો નાચની પણ ખૂબ પ્રગતિ થઈ ગઈ છે.
જગનની સામે ઘણી સ્ત્રીઓ નાચે છે. મલ્લિકા, મુન્ની, શીલા વગેરે વગેરે..

કેમેરો એ નાચનારીઓના અંગેઅંગ પર ફરી વળતો હોય છે.
કારણ એનેય ખબર છે કે જગનને આવું બધું જોવાનું ગમશે.
અને કેમેરા પાછળની વ્યક્તિઓને મળશે પૈસા. અઢળક પૈસા.
આવા અનેક જગન તૈયાર કરવા એ જ એમનો ધ્યેય છે.
હશે.

વાંક જગનનો છે.
તે પછી હસ્તમૈથુન કરે છે.

એકવાર મા જોઈ ગઈ અને એણે જગનના પિતાને કહી દીધું.
પિતાએ આ વાત માટે નાનપણમાં ઢોરમાર ખાધો હતો.
એટલે-
એમણે જગનને પણ ઢોરમાર માર્યો.
પણ માર ખાવાથી ઇરેક્શન અટકતા નથી.
એટલે જ જગન ફરી નાચ જુએ છે, ઉઘાડી સ્ત્રીઓના ફોટા આવતા હોય એવા પુસ્તકો વાંચે છે, બ્લુ ફિલ્મ જુએ છે.
અને,
હસ્તમૈથુન કરે છે.

આપણી પરંપરાઓ બહુ જ ઉમદા છે.
એમનો જયજયકાર થજો.

પરંપરા આપણને શીખવે છે કે લગ્ન પહેલા સંભોગ વર્જ્ય છે.
લગ્ન સુધી ધીરજ ધરવી અને પછી બધી જ કસર એકસાથે પૂરી કરી લેવી. એમાં જરાય વાંધો નથી.
એટલે કે લગ્નની પ્રથમ રાત્રિએ ભલે નવવધુને તકલીફ થાય, પીડા થાય.. કશો વાંધો નહીં!
પણ ત્યાં સુધી સ્ત્રીનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ.
જગન લગ્ન થાય ત્યાં સુધી નગ્ન સ્ત્રીઓના ફોટા જોતો બેસી રહે છે.

આમ તો પેલા પુસ્તકોમાં જેમના નગ્ન ફોટા છપાતા એ સ્ત્રીઓને ખરાબ ગણવામાં આવતી.
કારણ એ બધીઓ જગનને બગાડે છે
પણ જગનને તો એ બધીઓ બહુ જ ગમે.
એમના કારણે જ તો એને પોતાના ઇરેક્શનથી છૂટકારો મળે છે અને થોડા દિવસ સુધી રાહત થઈ જાય છે.

ફક્ત થોડાક દિવસ –
કાયમ માટે એવું થતું નથી.
પછી એક તબક્કે જગનને થાય છે કે હવે તો સ્ત્રી જોઈએ જ..
અને એ પેલી કમળાને ‘સ્ત્રી’ તરીકે જોતો થઈ જાય છે.

આખરે એક દિવસ કમળાને ઝડપી લે છે.
જગનનું રુપાંતર જાનવરમાં થઈ જાય છે.
દુર્ભાગ્યે જગન પુરુષ છે.

આપણી સંસ્કૃતિએ ઘણી પ્રગતિ કરી છે, પણ હજુ એની પાસે ઇરેક્શનનું શું કરવું એનો ઉત્તર નથી.
આ બધા અનુત્તર ઇરેક્શન સાથે એને પિતૃસત્તાકપણાનું શિક્ષણ મળે છે!

એટલે કે પિતા કુટુંબપ્રમુખ છે.
માનું સ્થાન એમની પાછળ.

જગન, તું છોકરો છે.
છોકરીની જેમ રડે છે શું?
જગન, જા જઈને તારા ભાઈબંધો જોડે રમ જોઈએ. અહિં છોકરીઓ વચ્ચે શું કરે છે!
જગન, છોકરીઓ તો ક્રિકેટમાં ચીયર ગર્લ્સ બને, રમે તો છોકરાઓ જ!
જગન, અહિં રસોડામાં શું લેવા ગુડાણો છે? રાંધવાનું કામ તારું નહીં.
તારે તો પ્લંબિંગ બ્લંબિંગ જેવું કશું શીખવું જોઈએ.
જગન, સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ હોય છે, એ ઘરે રહે તે જ સારું.
જગન, તું મર્દ છે.
ખરી મર્દાનગી સ્ત્રીને જીતવામાં છે.
વગેરે..વગેરે..

એક તો આ ઇરેક્શન, અને એની ઉપર આ પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન.
જગન છેક બગડી ગયો છે.
એનું હિંસકપણું જાનવરને પણ સારા કહેવડાવે એટલું વકરી ગયું છે.

કમળાના મૃત્યુ પછી એની સખીઓ, એના માતાપિતા, આપણી પરંપરા બધાનો રોષ હદ બહાર વધી ગયો છે.
જગનને ફાંસી થવી જોઈએ એવી સહુની માંગણી છે.
ખરી વાત, જગનને ફાંસી થવી જ જોઈએ.
ફાંસી આપ્યા પછી જગન મરી જશે.
પણ,
એની અંદરનો નર બાકી રહી જશે.

કારણ નર અને માદા ક્યારેય મર્યા નથી અને ક્યારેય મરશે પણ નહીં.
નર ફરીથી હસ્તમૈથુન કરતાં કરતાં પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન લઈને મોટો થશે
અને,
માદા અનંતકાળ સુધી જેમ વાટ જોતી આવી છે એમ હજુ અનંતકાળ સુધી જોતી રહેશે.
શુભ સંભોગની.

– ઉત્પલ વી.બી. (મરાઠી)
(ગુજરાતી અનુવાદ: રાજુલ ભાનુશાલી)

આવી કવિતા આપણામાંથી કોઈએ ભાગ્યે જ વાંચી હશે. આ કવિતા બળાત્કારના મૂળ સુધીની યાત્રા છે. આ કવિતા આપણને બળાત્કારીઓના મનોપ્રદેશની જુગુપ્સાપ્રેરક મુસાફરીએ લઈ જાય છે. સભ્ય સમાજના સભ્ય નાગરિકો માટે આ કવિતા કદાચ ‘ખરાબ’ સાહિત્યનો ઉત્તમ દાખલો છે. પ્રતિબંધ પણ મૂકી શકાય. હસ્તમૈથુન અને ઇરેક્શન જેવા શબ્દો આ કવિતામાં ચણા-મમરાની જેમ વેરાયેલા છે પણ આપણે ત્યાં આટલા બધા બળાત્કાર કેમ થાય છે એની માનસિકતા અહીં સુપેરે છતી થાય છે.

જગન આ કવિતાનો નાયક છે પણ કવિ કાવ્યારંભે જ સ્પષ્ટ કરી દે છે કે આ જગન આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. દીકરીને પહેલવહેલી વાર માસિક આવે ત્યારે જે રીતે અભણ મા પણ એને ‘શું કરવું-શું ન કરવું’ની સમજ આપે છે, એ રીતે દીકરાને પહેલીવાર ઇરેક્શન થાય, કે વીર્યપાત થાય ત્યારે શું કરવું એની સમજ આપણે ત્યાં હજારમાંથી એકાદ પિતા પણ માંડ આપતા હશે, કેમકે એમને પણ એમના પિતાએ આવું કોઈ જ્ઞાન આપ્યું નથી. ઊલટું દીકરો પૉર્નોગ્રાફી જોતો કે હસ્તમૈથુન કરતો પકડાઈ જાય તો જઘન્ય અપરાધ કરી નાંખ્યો હોય એમ એની અભૂતપૂર્વ ધોલાઈ કરવામાં આવે છે, જેના પરિણામે પૉર્નોગ્રાફી, હસ્તમૈથુન, સ્વપ્નદોષ વગેરે મહાઅપરાધ હોવાની વાત મનમાં ઘર કરી જાય છે, પણ જીવનમાંથી દૂર કરી શકાતી નથી.

ટૂંકમાં, જે મનોવૃત્તિ ભૂખ-તરસ-ઊંઘ જેટલી જ સાહજિક છે, એનું અકુદરતી દમન કરવાની કોશિશ સ્ત્રીઓ પર બળાત્કારના સ્વરૂપે વમન પામે છે. ખજૂરાહો અને કામસૂત્રના દેશમાં સંસ્કૃતિ અને સભ્યતાના નામે જે દંભ વકર્યો છે, એના પરિપાકરૂપે આજે ભારતમાં લગભગ દર પંદર મિનિટે કોઈ એક ખૂણામાં કોઈ એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે, અને આ આંકડો તો સરકારી દફ્તરે નોંધાયેલો આંકડો છે. મોટા ભાગની સ્ત્રીઓ ફરિયાદ કરતી નથી એટલે સાચો આંકડો કેટલો મોટો હશે એની માત્ર કલ્પના જ કરી શકાય.

આ કવિતાનો અનુવાદ કરવાનું હિંમતભર્યું કામ એક કવયિત્રીએ કર્યું છે એ વાત પણ નોંધવા જેવી છે. આ બહાદુરી બદલ કવયિત્રી અઢળક અભિનંદનના હકદાર છે. ખાસ્સી લાંબી હોવાથી મૂળ મરાઠી કવિતા કમેન્ટ તરીકે નીચે મૂકી છે.

Comments (25)

ગઝલ – રાજુલ ભાનુશાલી

કેટલી ખખડી ગઈ છે ભારથી,
છત ઊભી છે ભીંતના આધારથી!

પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ?
જળ કદી બંધાય ના આકારથી.

વેદનાને જો વલૂરી સાંજના,
રાત આખી તરફડી ચિત્કારથી !

સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.

હાથમાં ગાંડીવ ઝાલ્યું એ પછી,
છોછ કૈ પોસાય ના ટંકારથી !

જાતમાંથી જાતને બાતલ કરો,
‘ઓમ’ને ભેદાય ના એંકારથી.

આમ કુંઠાઈને ‘રાજુલ’ શું વળે?
ઘાટ ચડવા દે નવા વિસ્તારથી !

– રાજુલ ભાનુશાલી

ફેસબુકના રસ્તે ચાલીને વળી એક આશાસ્પદ કવયિત્રી સાથે મુલાકાત થઈ. દુઃખ સાથે કામ પાડવાની ટેકનિકવાળો શેર હાંસિલે-ગઝલ છે. એ સિવાયના બધા શેર પણ ખાસ્સા સંતર્પક થયા છે.

Comments (12)