દ્વિધામાં છે – ડો. પરેશ સોલંકી
સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.
મનઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
બંદગી કે હતી એ યાચિકા?
મંદિરોનું નમન દ્વિધામાં છે.
પ્રેમનો અર્થ તો સમર્પણ છે,
વ્હાલ કરતું સજન દ્વિધામાં છે.
લાગણી શુષ્ક ને ધરા બંઝર-
બીજનું સંવનન દ્વિધામાં છે.
મુકત થઈ જા ‘પરેશ’ વળગણથી,
શ્વાસ નામે પવન દ્વિધામાં છે.
– ડો.પરેશ સોલંકી
સાદ્યંત આસ્વાદ્ય રચના….