તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાલિન્દી પરીખ

કાલિન્દી પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જાહોજલાલી – કાલિન્દી પરીખ

image

મળ્યો હાથ તારો તો લાગી છે તાલી,
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.

હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી,
અને રંગ લીલો બની જાય લાલી.

દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.

ટળી ગઈ જનમવા કે મરવાની ઝંઝટ,
સમય-ક્યારિયે શું અમરવેલ ફાલી.

ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ,
અમારે તો અંદરની જાહોજલાલી.

– કાલિન્દી પરીખ

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર કાલિન્દી પરીખ “ક્યાંક વચ્ચે દીવાલ” ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે એ ટાંકણે ટીમ લયસ્તરો તરફથી એમનું સહૃદય અભિવાદન અને સ્નેહકામનાઓ…

રાચરચીલાથી ભર્યુંભાદર્યું ઘર પણ માણસ અને સ્નેહ ન હોય તો ખાલી મકાન જ છે. ઘર વિશેનો આ શેર વાંચતાં જ જાણીતી કાવ્યકણિકા યાદ આવે:
ઘર એટલે ચાર દીવાલ ?
ના…ના… ઘર એટલે ચાર દિ’ વ્હાલ !

Comments (12)