પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રશાંત સોમાણી

પ્રશાંત સોમાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વચ્ચે – પ્રશાંત સોમાણી

કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે.

સાચું પણ દેખાશે તમને,
શંકા ને અફવાની વચ્ચે.

કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.

પોતાને ભીતર શોધું ત્યાં,
દેખાયો રસ્તાની વચ્ચે.

બહુ મોટું અંતર છે, વ્હાલા,
કરશું ને કરવાની વચ્ચે

– પ્રશાંત સોમાણી

ટૂંકી બહેર અને ટૂંકી ગઝલ. પણ બધા જ શેર દમદાર. સાચું શું છે અને ભ્રમણા શી છે એના ટંટામાં પડ્યા વિના જીવન જીવી લેવામાં જ ખરી મજા છે. હજાર શંકાઓ અને અફવાઓની વચ્ચે પણ સત્ય છૂપાવ્યું છૂપાતું નથી, એ નજરે ચડે જ છે. કંકર અને શંકરની વચ્ચે એકમાત્ર ફરક શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હોય તો કંકર શંકર છે અને શ્રદ્ધા જ ન હોય એને મન તો શંકર પણ કંકર છે. આખી દુનિયા માણસને પોતાની ભીતર ઉતરીને જોવાની સલાહ આપતી આવી છે પણ કવિ જરા હટ કે ફિલસૂફી લઈ આવ્યા છે. દુનિયાની ચાલે ચાલીને કવિ પોતાને ભીતર શોધવા મથતા હતા ત્યાં જાત તો રસ્તાની વચ્ચે નજરે ચડી. ગઝલનો શેર રેશમ જેવું નાજુક પોત ધરાવે છે. એ બહુ વજનદાર વાત ખમી ન શકે એટલે મોટામાં મોટી વાત પણ ગઝલમાં કહેવી હોય તો નજાકતથી જ કહેવી પડે. આ શેરમાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં દુનિયાની ચાલે ન ચાલીને પોતાનો રસ્તો ખુદ પ્રશસ્ત કરવાની વાતનો રણકો ઊઠતો સંભળાય છે. અને ગઝલનો આખરી શેર પણ અદભુત થયો છે. એના વિશે તો આટલું જ કહી શકાય કે सीधी बात, नो बकवास

Comments (30)

ન્યાય નથી – પ્રશાંત સોમાણી

કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી.
મોક્ષ સારા કરમ સિવાય નથી.

હાલ મારા તને તો જાણ હતી,
જાતની પણ મને સહાય નથી.

વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?

એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.*

એટલે તો જગત જલે છે ‘પ્રશાંત’,
આપણી વચ્ચે અંતરાય નથી.

– પ્રશાંત સોમાણી

સાદ્યંત સુંદર રચના… વેર વિશે સાવ સહજ બાનીમાં લખાયેલો શેર તો શિરમોર !

(*તરહી પંકિત: – મરીઝ)

Comments (6)

કરામત કરી છે – પ્રશાંત સોમાણી

કહો કોણે કોની સજાવટ કરી છે ?
ધરા સાથ આભે કરામત કરી છે.

હા, મેં છંદ સાથે શરારત કરી છે,
છતાં મારી ગઝલે કરામત કરી છે.

અમીરી ગરીબી બઘું જોઈ લીઘું,
પછી આજ સાથે પતાવટ કરી છે.

હતા સત્યને ચાહનારા, છતાં પણ
તમે મારી સાથે બનાવટ કરી છે.

ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
ખુશીએ જ નક્કી બગાવત કરી છે.

– પ્રશાંત સોમાણી

સહજ-સરળ અને મજાની ગઝલ. છંદ સાથેની શરારતવાળો શેર મારા જેવા દુરાગ્રહી માટે જ લખાયો હોય એમ લાગે.
🙂

Comments (20)