વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઇંડિથ સોય્ડરગ્રાન

ઇંડિથ સોય્ડરગ્રાન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચંદ્રમા – ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

કેવી અનિર્વચનીય અને અદભુત છે
દરેક મૃત વસ્તુ !
ખરેલું પાંદડું, મરેલો માણસ, અને
ચંદ્રમાની થાળી !
બધાં ફૂલો જાણે છે એક રહસ્ય –
અને વનરાજી તેને સાચવે છે ! –
કે ચંદ્રની પૃથ્વીની ચારેકોરની પરિકમ્મા
ખરેખર તો મોતની કેડી છે.
ચંદ્ર વણે છે પોતાનો ગેબી વણાટ
(જેને ફૂલો ચાહે છે)
અને પોતાની અલૌકિક જાળ
સમસ્ત સજીવ જગતની આસપાસ વીંટાળ્યે જાય છે.
ચંદ્રમાની દાતરડી
પાનખરની પાછલી રાતોમાં
બધાં ફૂલોની લણણી કરી નાંખે છે,
(છતાંય) ફૂલો બધાં
તેના આ મૃત્યુચુંબનની પ્રતીક્ષા કરે છે

અસીમ આતુરતાથી.

– ઇંડિથ સોય્ડરગ્રાન (ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

મૃત્યુ સંસારનો એકમાત્ર અફર નિયમ હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાની નજરે એનો તાગ લેવા સદાકાળથી મથતો આવ્યો છે. જેનું વર્ણન થઈ શકતું નથી એવી અદભુત વસ્તુ મૃત્યુને કહીને કવિ ચંદ્રની પરિકમ્મા અને બીજના ચંદ્રના દાતરડાને અનિવાર્ય મૃત્યુ સાથે સાંકળી લે છે. પણ ખરું સૌંદર્ય તો મૃત્યુચુંબનની પ્રતીક્ષામાં અસીમ આતુરતાબદ્ધ ફૂલોની વાતમાં છે. વાત ફૂલોની છે કે આપણા સહુની ?

Comments (1)