આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
સ્નેહી પરમાર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અના કામિએન્સ્કા

અના કામિએન્સ્કા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જેનો જવાબ મળે એવી પ્રાર્થના – અના કામિએન્સ્કા (અનુ. સુરેશ દલાલ)

હે ઈશ્વર!
મને ખૂબ સહન કરવા દો
અને પછી મરવા દો.
મને મૌનને પંથે ચાલવા દો
અને પાછળ કશુંય ન મૂકી જાઉં – ભય પણ નહીં.
સૃષ્ટિને ચાલવા દો
અને સમુદ્રને રેતીને ચૂમવા દો – પહેલાંની જેમ જ.
ઘાસને એવું ને એવું લીલુંછમ રાખજો
જેથી દેડકાંઓ એમાં સંતાઈ શકે
જેથી કોઈ પોતાનો ચહેરો એમાં દાટી શકે
અને ડૂસકે ડૂસકે પ્રેમને વહી જવા દો.
ધવલ, ઉજજવલ દિવસને એવી રીતે ઊગવા દો
જાણ કે કયાંય કશી કોઈ વેદના નથી.
અને મારી કવિતા બારીની જેમ ચોખ્ખીચટ રહી શકે
કોઈ મોટો ભમરો એના ગુંજાર સાથે માથું પટકતો હોય તો પણ.

-અના કામિએન્સ્કા (પૉલિશ)
(અનુ. સુરેશ દલાલ)

*
નૂતન વર્ષ ૨૦૧૫ માટે લયસ્તરો તરફથી આપ સહુને હાર્દિક શુભકામનાઓ….
*

જ્યારે તમે તમારા પોતાના માટે વેદના અને તકલીફ સિવાય કશું ન માંગતા, માત્ર અન્યો માટે માંગો છો ત્યારે એ પ્રાર્થનાનો હંમેશા પ્રત્યુત્તર મળે જ છે. આપણે ન હોઈએ પછી પણ દુનિયા તો ચાલવાની જ છે, દરિયાનાં મોજાં કિનારા ભીંજવવાનાં જ છે, ઘાસ ઊગવાનું જ છે… કવયિત્રી ક્યાંય કોઈ વેદના ન હોય એવો પ્રકાશિત દિવસ બધા માટે માંગે છે જેથી એના પોતાના જીવનમાં ભલે માત્ર સહન કરી કરીને મરવાનું આવે, ભલે એ માત્ર મૌનના પંથે ચાલે, ભલે એની પાસે વિરાસતમાં મૂકી જવા માટે કશું ન બચે પણ એની કવિતા ચોખ્ખીચટ રહી શકે…

 

Comments (5)