ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને !
મુસાફિર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વ્રજલાલ દવે

વ્રજલાલ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આષાઢ – વ્રજલાલ દવે

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !

ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !

અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !

હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.

ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.

સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?

મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !

– વ્રજલાલ દવે

જૂના મિજાજની જરા ધીમેથી ખુલતી ગઝલ…

Comments (3)