સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રકીર્ણ

પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શિકાગોમાં શ્રી અશરફ ડબાવાલાનો સન્માન સમારંભ

કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજારાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજારાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કર, ગુજરાતી લિટરરી એકેદેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થાથકી ગુજારાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે.

Flyer

Comments (17)

ફક્ત બે ચહેરા – વસંત ડહાકે

ફક્ત બે ચહેરા :
અવાક.
જિંદગીના પરિઘમાં અટવાયેલા,
પોતાનામાં જ ઊંડે ડૂબેલા.
ભાષા કેટલું અર્થહીન શસ્ત્ર હોય છે
અંધારું ભેદવા માટે.
આ સંબંધનો નિ:શબ્દ સમુદ્ર.
અને તારામારા પાર્થિવ ચહેરા,
આંખો પણ છેતરામણી
પ્રતિબિંબમાં કેવળ
ઘટનાઓની પ્રસંગોની રેખા.
એટલે તો કહું છું દેહ ભૂલી જા.

– વસંત ડહાક
(મરાઠીમાંથી અનુ. જયા મહેતા)

સાથે જ છીએ. પણ સાથે હોવાની આ પાતળી હકીકત પર ચાલે છે જિંદગી નામની ઘટનાનું સતત આક્રમણ. ભાષા, સંબંધ, ચહેરા, આંખો – બધું ય નિષ્ફળ. ક્યાં સુધી દોડીશું ? ચાલ, દેહ ઊતારીને જરા આરામથી બેસીએ.

Comments (10)

(અડધો અડધો) – કુંતલકુમાર જૈન

જીવતરના બે ભાગ કર્યા, પછી એક અડધિયું જીવ્યા
પ્રેમ પણ અર્ધો કર્યો, ધિક્કાર અર્ધો જીવ્યા
સત્ય બોલ્યાપણ પહેલાં એના બે ભાગ કર્યા
સાહસ હતું ઓછું, જૂઠાણું પણ અર્ધું જીવ્યા !
ન્યાય હતો સહેજ છેટો, પણ મજલ અર્ધી જ કાપી
મન પણ પૂરેપૂરું પાપી નહોતું, છેહ તો પુણ્યને ય આપ્યો
પૂછો, પૂછો –
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?

– કુંતલકુમાર જૈન
(અનુ. રમેશ પારેખ)

આપણે કશું જીગર ફાડીને પૂરેપૂરું કરી શકતા નથી. પ્રેમ – સત્ય – ન્યાય – જીવન -મૃત્યુ બધું જ અડધું કરે રાખીએ છીએ. એ અડધામાંથી કંઈ ન ઊગે એમાં વાંક કોનો ? – આપણો જ સ્તો !

Comments (10)

ગઝલ – જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી

સંબંધમાં અંતર તો ક્યારેક જ તકલીફદાયક હોય છે પણ સાથે રહેવું તો ક્ષણેક્ષણ અગ્નિપરીક્ષા જેવું છે…

Comments (11)

એક પાંદડું – ડેવિડ ઈગ્નાતો

એક પાંદડું પડી રહ્યું ડાળ પર
ઉદાસી કે આશાનો કોઈ સૂર નહીં
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
અને કોઈ અસુખ નહીં.
એક પાંદડું : કેવળ પાંદડું
હવામાં, અને એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં.

-ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અનાવશ્યક આવરણો દૂર કરીને આપણી છેક પોતાની અંદર સુધી જઈએ તો આપણું ‘હોવાપણું’ પણ ચોક્કસ આ પાંદડા જેવી જ અવસ્થામાં મળે.

હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.

અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું – બસ ઝૂલી લેવું લહેરમાં, આ ક્ષણમાં – એ જ જિંદગી !

Comments (9)

(પત્તાંનો મહેલ) – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી

એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે

ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા

સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

બહુ કાળજીથી રચેલો નક્શીદાર શબ્દ-મહેલ પણ એક જ અનુભૂતિના પ્રભાવની સામે કાંઈ નથી. અનુભૂતિ હંમેશા શબ્દરમતથી ચડી જ જાય છે. કવિ અહીં ભાષાના વિવિધ તત્વોને બહુ મઝાની રીતે સાંકળી લીધા છે.

Comments (15)

ક્ષણ બની – કિસન સોસા

બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.

સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.

રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.

જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.

– કિસન સોસા

પહેલા શેરમાં કુમકુમવરણા સૌભાગ્ય-સૌદર્યનું જે સંક્ષિપ્ત પણ મદમદ વર્ણન છે – કહો, બીજે ક્યાંય જોયું છે ? એક જ શેર આજનો આખો દિવસ સોનેરી કરી દેવા પૂરતો છે ! બીજા શેરમાં ચાલનું શ્રાવ્ય વર્ણન અને છેલ્લામાં વિસ્તૃત સ્વપ્ન સંકેલાઈને છેવટે યાદની એક ક્ષણ બની રહેવાની વાત પણ અસરદાર રીતે આવી છે.

Comments (8)

ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ…

પ્રિય મિત્રો,

ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:

“सरहद की दोनों ओर चहकता चमन रहे |”

– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, 47, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…

આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…

Comments (9)

યાદગાર ગીતો… ના ! આ કંઈ અંત નથી સફરનો…

ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે છેલ્લા પંદર દિવસોમાં આપણે ગુજરાતી સાહિત્યના ત્રીસ યાદગાર ગીતો કવિ-પરિચય અને ગીત-પરિચય સાથે માણ્યાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાંશ્વાસ ભર્યા હોય એવા ત્રીસ જ ગીતકારનું ચયન અમે અમારા વાંચન અને સૂઝ-બૂઝના આધારે કર્યું છે ત્યારે ઘણા સારા ગીતકારોને અમે ચૂકી ગયા હોવાની પૂરેપૂરી વકી છે… એ તમામ ગીતકારોની ક્ષમાપ્રાર્થના સાથે યાદગાર ગીતોની આ શૃંખલા હાલ અહીં અટકાવીએ છીએ… પણ હા… આ કંઈ અંત નથી સફરનો… ‘લયસ્તરો’ની યાત્રા તો શક્ય હશે ત્યાં સુધી અનવરત ચાલુ જ રહેવાની…

…આશા રાખીએ કે આપ સહુને ગુજરાતી ગીતોની આ સફરમાં મજા પડી હશે…

-ધવલ-ઊર્મિ-વિવેક
(લયસ્તરો ટીમ)

Comments (11)

‘સર્વર’ના ખગ્રાસ ગ્રહણની સમાપ્તિ… ‘લયસ્તરો’ પુન: પ્રકાશિત !

‘લયસ્તરો’ની હોસ્ટિંગ કંપનીના સર્વર પરમ દિવસે કોઈ જાતની ‘નોટિસ’ વગર અચાનક જ રજા પર ઉતરી ગયા. એટલે છેલ્લા બે દિવસથી ‘લયસ્તરો’ને ગ્રહણ લાગી ગયું હતું. અને વેબસાઈટ પર ગીતોની આશાએ આવતા રસિકો લુખ્ખો જાકારો જ પામતા હતા.

હવે સદનસીબે સર્વરભાઈ માની ગયા છે એટલે સમસ્યાનું હવે નિવારણ થઈ ગયું છે. (ન થયું હોત તમે આ ક્યાંથી વાંચી શકતે ? 🙂 )  હવે પછી વર્ષગાંઠની ઉજવણી રાબેતા મુજબ ચાલુ રહેશે.

Comments (5)

‘લયસ્તરો’ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં…

‘લયસ્તરો’ને આજે પાંચ વર્ષ પૂરા થાય છે. પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે અને રોજેરોજ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ છે. છતાં પણ, આ નાના ડગલાને આટલી મજલે પહોંચતા જોવું મનને એક અજબ શાતા આપે છે.

‘લયસ્તરો’ બ્લોગ કવિતાના આનંદને વહેંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલો ત્યારે આ કાફલો આટલો મોટો થશે એવો ખ્યાલ ન હતો. તે વખતે વિશ્વભરમાં ગુજરાતી કવિતાના આટલા ચાહકો હશે એવું કોઈને કહીએ તો લોકો તમને ગાંડા ગણે એવી સ્થિતિ હતી. પણ આજે એ વાત સાચી ઠરી છે. ‘લયસ્તરો’ જ નહીં પણ બીજી અનેક ગુજરાતી કવિતાની વેબસાઈટ્સ-બ્લોગ્સ હોંશભેર વંચાય છે, એ પોતાની રીતે જ એક મહત્વની ઘટના છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતાને એનું નવું સરનામું સાંપડ્યું છે… ૫૫૦થી વધુ કવિઓની ૧૬૫૦થી વધુ રચનાઓ આજે આ ખજાનામાં ક્લિક્વગી થઈ પડી છે અને પ્રતિદિન એક નવી કવિતાનો એમાં ઉમેરો થતો રહે છે… ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ છે…

આ અવસરે જે જે લોકોએ ‘લયસ્તરો’ને ટેકો કર્યો છે એ બધાનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આભાર તો એ કવિઓનો કે જેમની રચનાઓ અહીં સંગ્રહિત થઈ છે. અને સૌથી વધુ આભાર અમારા વાચકોનો, જે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ વખતે આવતા 15 દિવસમાં ગુજરાતી સાહિત્યના 30 યાદગાર ગીતો ‘લયસ્તરો’ પર મૂકીશું. ગુજરાતી ગીતોના ઈતિહાસનો ફલક તો બહુ વિશાળ છે એટલે આ યાદગાર ગીતોની શ્રેણીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોય એવા ગીતકારોના ગીત સુધી જ સીમિત રાખવાનું નક્કી કર્યું છે. એક ગીતકાર દીઠ એક ગીત પસંદ કરીને આપની સમક્ષ 30 અલગ અલગ ગીતકારોના 30 યાદગાર ગીતો રજૂ કરીશું. તો તૈયાર થઈ જાવ … આવતી કાલથી યાદગાર ગીતોની સફરમાં જોડાવા માટે !

– ધવલ-વિવેક-ઊર્મિ

Comments (54)

દર્પણ – સિલ્વિયા પ્લાથ

હું રૂપેરી છું અને સ્વાયત્ત છું
મારી પાસે કોઈ પૂર્વખ્યાલો નથી
હું જે કાંઈ જોઉં છું
તેને તરત જ
જેમ છે તેમ જ ગળી જાઉં છું.
પ્રેમ અને અણગમાના ધુમ્મસ વિના.
હું ક્રૂર નથી
કેવળ સત્યભાષી છું.
નાનકડા ઈશ્વરની ચાર ખૂણાવાળી આંખ છું.

મોટાભાગનો  સમય તો
હું સામેની દીવાલનું ધ્યાન ધરું છું.
એ ગુલાબી છાંટવાળી છે.
મેં એના તરફ એટલું બધું જોયા કર્યું છે
કે મને લાગે છે કે
એ મારા હ્રદયનો ભાગ છે.
પણ એ થરથરે છે.
ચહેરાઓ અને અંધકાર
અમને અવારનવાર એકમેકથી અળગા કરે છે.

હવે હું છું સરોવર
એક સ્ત્રી મારા તરફ ઢળે છે
ફંફોળે છે મારા તળિયાને
પોતે ખરેખર શું છે તે પામવા
પછી તે વળે છે જુઠ્ઠાઓ તરફ –
મીણબત્તીઓ અથવા ચાંદા તરફ.
હું એની પીઠ જોઉં છું.
અને વફાદારીથી પ્રતિબિંબિત કરું છું.
મને તે સોગાદ આપે છે
આંસુઓની અને વિરોધમાં ઉગામેલા હાથની.
એને માટે મારું મહત્વ છે
એ આવે છે અને જાય છે
દરરોજ સવારે.

એનો ચહેરો અંધકારનું સ્થાન લે છે.
મારામાં જ એણે ડૂબાડી દીધી છે
જુવાન છોકરીને અને મારામાંથી વૃધ્ધ સ્ત્રી
રોજબરોજ એની તરફ જાય છે
ભયાનક માછલીની જેમ.

– સિલ્વિયા પ્લાથ
( અનુ. સુરેશ દલાલ )

સાચું અને સાચા સિવાય બીજું કશુ ન બોલવાની સજા શું હોય એ અરીસાને પૂછી જુઓ. વહી જતા સમય, જુવાની અને સૌંદયની ગવાહી આપવાનું કામ અરીસાના ભાગે જ આવે છે.

Comments (8)

આજથી ફરીથી – રઘુવીર સહાય (અનુ.સુરેશ દલાલ)

આજ ફરીથી જીવન શરૂ થયું !
આજ મેં નાનકડી સરળ કવિતા વાંચી !
આજ મેં સૂરજને ડૂબતો જોયા કર્યો, – ક્યાંય લગી !
આજ મે શીતલ જલથી સ્નાન કર્યું – હાશ કરીને.
આજ એક નાનકડી છોરી આવી
.               ને ઝડપથી ચઢી ગઈ મારે ખભે.
આજ મેં આદિથી અંત લગી પૂરું કર્યું એક ગીત.
આજ જીવન ફરીથી શરૂ થયું !

– રધુવીર સહાય
(અનુ.સુરેશ દલાલ)

આપણા અસ્તિત્વને ખરેખર શણગારવા માટે જે સામાન જરૂરી છે એ તો તદ્દન સાદો, સરળ અને સર્વ-સુલભ છે. એને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી.

Comments (10)

‘લયસ્તરો’ પર કોમેંટ મૂકવાની તકલીફનું નિવારણ થઈ ગયું છે!

પ્રિય વાચકમિત્રો, ગઈકાલે રાત્રે મોડે સુધી અમારી ઘણી કોશિશો બાદ પણ જ્યારે વર્ડપ્રેસનો આ અટપટો કોયડો ન ઉકલ્યો, ત્યારે કંટાળીને અમે ગોદડાગ્રહણ કર્યું.   પરંતુ સવારે ઉઠીને જોયું તો ધવલભાઈની વાત સાવ સાચી જ નીકળી હતી.  અડધી રાત પછી એની મેળે જ કોમેંટો આવવાની શરૂ થઈ ગઈ હતી.  વર્ડપ્રેસનું આ મનસ્વી વલણ જોઈને મનમાં થયું કે- होता होगा, होता होगा, ऐसा भी तो होता होगा, ‘कोई शरारत मैं भी कर लूं’, उसका भी मन कहेता होगा !  🙂

મતલબ કે હવે તમે કોઈપણ જાતની તકલીફ વગર અહીં કોમેંટ લખી શકો છો.

Comments (5)

‘લયસ્તરો’ પર કોમેંટ મૂકવામાં તકલીફ

‘લયસ્તરો’ પર આપને કોમેંટ મૂકવામાં તકલીફ પડી રહી છે ? તો ચિંતા ન કરતા, એ તકલીફ અમારા ધ્યાનમાં જ છે. અત્યારે જો કોમેંટ મૂકો તો માત્ર ‘કોરું પાનુ’ જ દેખાય છે. લાગે છે કે આ વર્ડપ્રેસના ડેટાબેસની કોઈ ગડબડ છે. અમે આ તકલીફ બને એટલી જલ્દી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ કહેવત છે કે રાજા, વાજા અને વર્ડપ્રેસનો કોઈ ભરોસો નથી એટલે જરા ધીરજ ધરવા વિનંતી છે 🙂

Comments (1)

કવિ ડૉટ કોમ

ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!

– અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !

(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)

Comments (30)

૧૫૦૦ – જાદુઈ આંકનો સ્પર્શ…

૪ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ધવલે ‘લયસ્તરો.કોમ’ની શરૂઆત એકલા હાથે કરી ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લૉગ્સની હજી શરૂઆત થઈ નહોતી પણ ‘ટ્રેડિશનલ’ ફોન્ટ્સવાળી કેટલીક વેબસાઈટ્સ અસ્તિત્વ ધરાવતી હતી. લયસ્તરો શરૂ થયું એના ગણતરીના મહિનાઓમાં બ્લૉગ્સની સંખ્યા વધવી શરૂ થઈ અને આજે અધિકારપૂર્વક ગણવું દોહ્યલું થઈ પડે એ હદે ગુજરાતી બ્લૉગ્સ ફૂલ્યા-ફાલ્યા છે.

પ્રતિદિન એક કવિતા ટૂંકા રસાસ્વાદ અથવા કવિપરિચય સાથે મૂકવાના નિયમ સાથે આ યાત્રામાં હું ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬થી જોડાયો અને અમારી આ સહિયારી સફરના આજે લગભગ સાડા પાંચ વરસે ૫૦૦થી વધારે કવિઓની ૧૫૦૦ જેટલી રચનાઓ અહીં માઉસની એક ક્લિક્ પર હાથવગી થઈ છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટ છે અને આજે જ્યારે અમે બે મિત્રો ૧૫૦૦ના જાદુઈ આંકનો અક્ષુણ્ણ સ્પર્શ કરી રહ્યા છીએ ત્યારે શું કહેવું એ સમજાતું નથી…

‘આભાર’ શબ્દ આ પહેલાં આટલો વામણો કદી લાગ્યો નહોતો !

ધવલ – વિવેક

(તા.ક. : પંદરસો પોસ્ટનો આ સોનેરી અવસર આવવાનું એકમાત્ર કારણ આપ સહુ ‘લોકો’નો અનવરત સ્નેહ જ છે અને એટલે જ અમે આવતીકાલથી પાંચ દિવસ સુધી રોજ બે લોકગીતો અહીં પીરસીશું.)

Comments (36)

લંડનના ‘ઓપિનિયન’માં લયસ્તરો

નેટ-ગુર્જરીનું આકાશ અને પ્રિન્ટ મિડીયાની ધરતી હવે વધુ ને વધુ એકાકાર થઈ રહ્યા છે.  લંડનથી પ્રકાશિત થતા ‘ઑપિનિયન’માં લયસ્તરોમાં પ્રકાશિત એક રચના એના ટૂંકા આસ્વાદ સાથે અહીં પ્રકાશિત થઈ છે…

Opinion_albert Einstein

(ઓપિનિયન- મે-2009…                …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

*

આવતા વર્ષે સોળ વરસની સળંગ યાત્રા પછી બંધ થનાર લંડનથી પ્રગટ થતા આ માસિકમાં તંત્રીનોંધ ખાસ વાંચવા જેવી છે. વિદેશમાં ભાષાને જીવતી રાખવાના આટલા સંનિષ્ઠ પ્રયત્ન અને ‘કમિટમેન્ટ’ મેં અન્યત્ર ક્યાંય જોયા નથી. તંત્રી લખે છે: “ભાષા સારી માઠી હશે તેને વિશે લખનારે જરા પણ અચકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણે અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જાણનાર વાચક પણ સામયિકની મારફતે જેટલી દાદ લઈ શકે તેટલી દાદ દેવી એ અમારી ફરજ સમજશું“…

…આ નોંધ સામે નતમસ્તક થયા વિના રહી શકાય એમ નથી…

Comments (11)

મુક્તક – મરીઝ

દિવાનાએ એક વાત કહી મુજને નવીન
અર્થ એમાં છે ગંભીર, મને છે યકીન
તૂટી જો પડે મહેલ તો ખંડેર બને
ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !

– મરીઝ

Comments (8)

सूर की कोई सीमा नहीं (‘અભિયાન’ની નજરે)

મહેંદી હસનના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટે સુરત ખાતે યોજાયેલો કાર્યક્રમ જબરદસ્ત સફળતાને વર્યો. હકડેઠઠ ભરાયેલ ગાંધી સ્મૃતિ ભવન મધ્યાંતર પછી પણ એ જ રીતે ભરાયેલું રહ્યું. અમદાવાદથી આવેલ અનિકેત ખાંડેકર, મુંબઈના વિકાસ ભાટવડેકર તથા રાજકોટના ગાર્ગી વોરા ઉપરાંત સુરતના અમન લેખડિયાએ રઈશ મનીઆરના રસતરબોળ કરતા સંચાલન હેઠળ મહેંદી હસને ગાયેલી ગઝલ, લોકગીત અને હીરની રમઝટ બોલાવી સતત ત્રણ કલાક શ્રોતાજનોને ભીંજવ્યા. આ કદાચ વિશ્વભરમાં મહેંદી હસનની આર્થિક સહાય માટે કરવામાં આવેલી સર્વપ્રથમ ટહેલ હતી અને આખા કાર્યક્રમનું પ્રારંભબિંદુ ઇન્ટરનેટ અને ગુજરાતી બ્લૉગ્સ- લયસ્તરો.કોમ, ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ બન્યા હતા. આ કાર્યક્રમી થોડીક ઝલક ટૂંકસમયમાં ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ પર માણવા મળશે. અભિયાન જેવું લબ્ધપ્રતિષ્ઠ સામયિક પણ આ કાર્યક્રમની નોંધ લેવાનું ચૂક્યું નહીં… સદભાવના દર્શાવનાર અને મદદ માટે હાથ લંબાવનાર તમામ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

Abhiyan_Mehdi Hassan

(અભિયાન……                          …..૧૮-૦૪-૨૦૦૯)

Comments (9)

सूर की कोई सीमा नहीं.(જાહેર આમંત્રણ)

Mehdi Hassan_card

પ્રિય મિત્રો,

થોડા દિવસો પહેલાં શહેનશાહ-એ-ગઝલ જનાબ મહેંદી હસનની નાદુરસ્ત તબિયત અને એથીય વધુ નાદુરસ્ત આર્થિક પરિસ્થિતિની વાત કરી અમે જાહેર અપીલ કરી હતી કે એમના હૉસ્પિટલ બીલ પેટે ચૂકવવાના બાકી નીકળતા રૂ. પાંચ લાખમાંથી જેટલી રકમ ભેગી કરી શકાય એટલી ભેગી કરી પાકિસ્તાન પહોંચતી કરીએ. નેટ પર અને યાહૂ ગ્રુપ્સ પર મૂકેલી આ ટહેલ સામે કેટલાકે જાતિવાદી વિરોધ નોંધાવ્યો તો કેટલાકે પાકિસ્તાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. અમે અમારા દિલને અનુસર્યા અને એમને પણ એમ જ કરવા કહ્યું. અમારે મન હિંદુ-મુસ્લિમ-શીખ જેવી જાતિભેદની ભાવના મનમાં જન્માવવી શક્ય નહોતી તો મહેંદી હસન જેવી વિરાટ હસ્તી માટે ભારત-પાકિસ્તાન નામના વાડા બાંધવા પણ શક્ય નહોતા કેમકે અમે માનીએ છીએ કે “सूर की कोई सीमा नहीं”…

આપને વિશ્વાસ નહીં આવે પરંતુ જોતજોતામાં ઢગલાબંધ મિત્રો તરફથી લગભગ સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી થઈ ગઈ અને સુરત ખાતે યોજવામાં આવનાર કાર્યક્રમમાં બીજા બેએક લાખ રૂપિયા ભેગા થવાની આશા હતી… નસીબજોગે કરાંચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે ફોનથી વાત કરતાં અને નેટ ઉપર પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે સરકાર અને હૉસ્પિટલ તરફથી ખાંસાહેબની સારવારની પૂરી કાળજી લેવાઈ ચૂકી છે. એટલે જે મિત્રોએ મહેંદી હસન સહાયતા નિધિ માટે મદદ કરવાનું વચન આપ્યું હતું એ સહુ મિત્રોનો હૃદયપૂર્વક અને સંગીતપૂર્વક ખાસ ખાસ આભાર માનીને અમે જણાવીએ છીએ કે હવે આપે કોઈ ધનરાશિ મોકલવાની રહેતી નથી.

પોતાના દિવ્ય સંગીત અને જાદુઈ અવાજના રંગોથી જેમણે આપણા જીવનની અનેક સંધ્યાઓ રંગીન બનાવી છે એ ખાંસાહેબના જીવનની આખરી અને રંગહીન સંધ્યામાં આપણે સાચા દિલની દુઆના થોડા રંગ ભરી શકીએ એવા અંદરના અને અંતરના અવાજને અનુસરીને અનેં સંગીત કે કળાની કોઈ સરહદ હોતી નથી એ કાયદા મુજબ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ – લયસ્તરો.કોમ – www.layastaro.com તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈંડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આ ફિનોમિનલ ગાયકના નિરામય સ્વાસ્થ્યની દુઆ કરવા માટે છઠ્ઠી એપ્રિલ, સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ ભવનમાં એક સદભાવના સંગીત મહોત્સવ – “ सूर की कोई सीमा नहीं ” યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. મુંબઈથી વિકાસ ભાટવડેકર, અમદાવાદથી અનિકેત ખાંડેકર તથા રાજકોટથી ગાર્ગી વોરા મહેંદી હસને ગાયેલી ગઝલો રજૂ કરી આ ગાયક કલાકારના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. કાર્યક્રમનું સંચાલન ડો. રઈશ મનીઆર, ડૉ. મુકુલ ચોક્સી અને ડૉ. વિવેક ટેલર કરશે.

આ કાર્યક્રમ માણવા માંગતા સંગીતપ્રેમીઓને કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે ‘લયસ્તરો.કોમ’ વેબસાઈટના સંચાલક ડૉ. વિવેક ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ (9824125355)નો સંપર્ક કરવા જાહેર વિનંતી છે.

mehadi hassan_news

(ગુજરાત મિત્ર….                                          …તા.: 03-04-2009)

*

Mehdi Hassan_news2

(દિવ્ય ભાસ્કર…          …તા.: 04-04-2009)

Comments (15)

સ્ટોપ પ્રેસ – મહેંદી હસનની મદદ માટે એક જાહેર ટહેલ…

Mehdi Hassan

(ટાઈમ્સ ઑફ ઇન્ડિયા…                                    …તા. 25-03-2009)

‘વૉઈસ ઑફ ગોડ’ તરીકે લતા મંગેશકરે જેમને નવાજ્યા હતા એ વીસમી સદીના શાસ્ત્રીય ગઝલોના બેતાજ બાદશાહ એવા ભારતીય મૂળના પાકિસ્તાની ગઝલ ગાયક જનાબ મહેંદી હસનની તબિયત આજે શરીર અને પૈસા- બંને દૃષ્ટિએ સાવ કથળી ચૂકી છે અને એમની સારવાર પેટે ખાનગી હૉસ્પિટલને ચૂકવવા માટે એમના કુટુંબીજનો પાસે આજે પાંચ લાખ રૂપિયા પણ નથી એવો અહેવાલ ગઈકાલના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યો છે. ક્યારેક જેમની ગઝલો પર લાખો ઝુમી ઊઠતા હતા એવા આ મહાન ગાયકને મદદ કરવા માટે ગુજરાતી બ્લૉગ જગત તરફથી અમે જાહેર ટહેલ નાંખીએ છીએ….

આજ સુધીમાં કેટલાય સાહિત્યકારો અને કળાકારો બિમારી સામે લડવા માટેના નાણાંના અભાવે આપણે અકાળે ગુમાવ્યા છે… આવા નગુણા, બેકદરદાન ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થતું રોકવા માટે આપ સહુને યથાશક્તિ આગળ આવવા અમારી આ જાહેર આહલેક છે….

આપના તરફથી મળેલ દરેકેદરેક પૈસાનો જાહેરમાં આપને હિસાબ આપવામાં આવશે. આપે મદદનિધિમાં સહાય શી રીતે મોકલાવવી એની વિગતો સત્વરે આપને પહોંચાડવામાં આવશે. કવિશ્રી ડૉ. મુકુલ ચોક્સીની નિગેહબાની હેઠળ અમે સતત કાર્યરત્ છીએ. હાલ પૂરતું આપ આપનું નામ, સરનામું, ટેલિફોન નંબર સાથે આપ કેટલી સહાય કરવા માંગો છો એ અમોને ઇ-મેઈલ દ્વારા નોંધાવી શકો છો:

જયશ્રી ભક્ત પટેલ – shree49@gmail.com

ઊર્મિ – urminosaagar@yahoo.com

ડો. ધવલ શાહ – mgalib@gmail.com

ડો. વિવેક મનહર ટેલર – dr_vivektailor@yahoo.com

Mehdi Hassan_2

(ટાઈમ્સ ઑફ ઇન્ડિયા…  …તા. 27-03-2009)

અત્યાર સુધીમાં જાહેર થયેલ મદદની રકમની માહિતી:

ડૉ. મુકુલ ચોક્સી, સુરત                              રૂ. 11000/=

ડૉ. નીરવ શાહ, સુરત                                 રૂ. 5000/=

ડૉ. તીર્થેશ મહેતા, સુરત                             રૂ. 5000/=

ડૉ. વિવેક ટેલર, સુરત                                 રૂ. 5000/=

કેદાર જાગીરદાર, સુરત                              રૂ. 5000/=

ડૉ. કેતન દેસાઈ, સુરત                                રૂ. 5000/=

ડૉ. પ્રફુલ દોશી, સુરત                                  રૂ. 5000/=

ડો. ધવલ શાહ, અમેરિકા                             રૂ. 5000/=

શિવાલી પટેલ                                               રૂ. 1001/=

કિરણ પંડ્યા, સુરત                                       રૂ. 5000/=

સંદીપ ઠાકોર                                                  રૂ. 10000/=

અનામી, (ટોરોંટો, કેનેડા)                            રૂ. 5000/=

જયશ્રી ભક્ત, અમેરિકા                                 રૂ. 5000/=

નીરવ પંચાલ                                          રૂ. 2500/=

ભાવના શુક્લ, અમેરિકા                         $. 50/=

હરીશ બજાજ, સુરત                                રૂ. 5000/=

ધનંજય દેસાઈ, સુરત                               રૂ. 11,000/=

જનક નાયક, સુરત                                  રૂ. 10,000/=

દેવેન મોદી                                                રૂ. 1,000/=

દેવેન્દ્ર ગઢવી, યુ.કે                                 £50/=

નવિન વોરા, યુ.એસ.                             $50/=

આરાધના ભટ્ટ, ઓસ્ટ્રેલિઆ                     રૂ. 5000/=

ડો. ગિરીશ શાહ, સુરત                             રૂ. 15,000/=

ભરત એટોસ, પાલનપુર                            રૂ. 1000/=

Comments (3)

સાવ અંગત – હરિશ્વન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

સહજ શબ્દો, કોમળ ભાવ, સુંવાળી ગઝલ.

Comments (21)

‘લયસ્તરો’ના ચાર વર્ષ : ગુજરાતી કવિતાના યાદગાર મુકામોની સફર

4rth birthday

આજે લયસ્તરો ચાર વર્ષ પૂરા કરે છે. કવિતાના આનંદને વહેંચવાનો આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે આટલો લાંબો ચાલશે એવો ખ્યાલ નહોતો તો કવિતાના આટલા ચાહનારાઓ દુનિયાભરમાં મળી આવશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય ! લયસ્તરો દ્વારા ચાર વર્ષમાં જે દોસ્તો મળ્યા છે એ જ સૌથી મોટી ખુશીની વાત છે. ચાર વર્ષમાં કાંઈ કેટલાય એવા લોકો જોડે ઓળખાણ થઈ, કેટલાય લોકોને જાણવાનો મોકો મળ્યો… અને કવિતા આપણા બધાના જીવનમાં કેટલી હદે વણાઈ ગયેલી છે એ નજીકથી જાણવાનું મળ્યું. આજે લયસ્તરો પર 450થી પણ વધારે કવિઓની 1250થી વધુ રચનાઓ છે.

કવિતા એ આમ તો બહુ જ અંગત વાત છે. તમને કઈ કવિતા ગમે છે એ ઉપરથી તમારા વ્યક્તિત્વ અને વિચારશ્રેણીને જાણવાનું બહુ સહેલુ થઈ પડે છે. કવિતા વિષે વાત કરવી એ જાહેરમાં દિલના અંદરના દરવાજાને ખોલવાનું કામ છે. છતાંય કવિતા ઉપરનો પ્રેમ લોકોને આ મહેફીલમાં આખરે ખેંચી જ લાવે છે. અને આપણે અહીં જોયું છે કે લોકો વર્ષો સુધી મનનાં ખૂણામાં જતનથી જાળવી રાખેલી બે-ચાર કાવ્યપંક્તિઓ પણ અહીં બધા જોડે વહેંચીને માણે છે. આ ઘટના પોતે જ કવિતાના જાદૂનો પુરાવો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અલગ પ્રયોગ કરીને લયસ્તરોની વર્ષગાંઠને ઊજવવાનો વિચાર છે. આવતા દસ દિવસમાં આપની સામે ગુજરાતી ગઝલના લાંબા ઈતિહાસમાંથી ખાસ પસંદ કરેલી વીસ સૌથી યાદગાર ગઝલો રજૂ કરવાના છીએ.

આટલી બધી ગઝલમાંથી માત્ર વીસ ગઝલ પસંદ કરવાનું કામ લગભગ અશક્ય છે. અને કઈ ગઝલ પસંદ કરવી અને કઈ ન કરવી એ એક મોટો અને મહા વિકટ પ્રશ્ન છે. આના ઉપાયરૂપે પહેલા અમે વીસ ગઝલકારોને પસંદ કર્યા (જે કામ ધારવા કરતાંય અઘરું જ જણાયું) જેમણે ગુજરાતી ગઝલના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને પછી અમે એ ગઝલકારોની અમને ગમતી ગઝલોની પસંદગી કરી છે. આ આખો ઉદ્યમ માત્ર અમારી અંગત પસંદગી ઉપર જ આધારિત છે. વીસ ગઝલની મર્યાદાને કારણે કેટલીય યાદગાર ગઝલોનો સમાવેશ નથી થઈ શક્યો એનો પણ અમને ખ્યાલ છે જ. તેમ છતાં ગુજરાતી ગઝલના યાદગાર ઈતિહાસની ઝાંખી કરાવતી આ યાદગાર સફરમાં આપને બધાને સો ટકા મઝા આવશે જ, એવું અમારું વચન પણ છે!

… તો આવતી કાલથી દસ દિવસ માટે લયસ્તરો પર માણો, ગુજરાતી ગઝલના ઈતિહાસની સૌથી યાદગાર વીસ ગઝલો !

Comments (40)

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં…

વ્હાલા મિત્રો,

મુંબઈમાં ફરી એકવાર થયેલા ભારતવર્ષના ઈતિહાસના સૌથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર આપે જાણ્યા જ હશે. તાજ અને ઑબેરોય જેવી પંચતારક હોટલ, રેલ્વે સ્ટેશન અને અન્યત્ર સ્થળો પર થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ, અંધાધૂંધ ગોળીબાર અને આગજનીના કારણે સેંકડો નિર્દોષ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ જિંદગીઓ ઉપર અવલંબિત સેંકડો કુટુંબો પોતાના ભવિષ્યના સ્વપ્નાંઓના ફુરચેફુરચા ઊડતાં અનુભવી રહ્યાં હશે. કેટલાય લોકો ઘાયલ થઈને બચી ગયા જેઓ આખી જિંદગી મૃત્યુના દરવાજે ટકોરા મારી પાછાં ફર્યા હોવાનો અનુભવ હાશકારાથી નહીં પણ હાયકારાથી અનુભવતા રહેશે. મુંબઈ અને ભારતવર્ષની કરોડોની જનતા અવારનવાર કોઈપણ પૂર્વચેતવણી વિના ગમે તે સ્થળે અને ગમે તે સમયે ગમે તેના પર થતા આ આતંકવાદી હુમલાઓના પરિણામે સતત અસુરક્ષિતતાના ઓથાર તળે જીવતી થઈ જશે…

…કદી જેનો અંત આવવાનો જ નથી એવા આ ભયાવહ દુઃસ્વપ્નના વિરોધમાં અને નિર્દોષ મૃતકોના માનમાં ‘લયસ્તરો’ આજે એક દિવસ પૂરતું મૌન પાળશે. જાણીએ છીએ કે અમારા આ નાનકડા વિરોધનો કોઈ અર્થ નથી. પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે પણ આ હુમલાના કારણે ઘવાયા છીએ. અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે ઝેડ કેટેગરીના સુરક્ષાકવચ વચ્ચે નિરાંતે ઊંઘતા અર્થહીન અને સંવેદનહીન રાજકારણીઓથી અલગ અમારા પોતાના આત્માની શુદ્ધતા અને મુઠ્ઠીમાં સતત શ્વસતા મૃત્યુને અડોઅડ અડધીપડધી ઊંઘ સાથે પણ અમે આવા હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી… અમે નથી હિંદુ કે નથી મુસલમાન. અમે સહુ માત્ર ભારતીયો જ છીએ. અમે સહુ સાથે જ હતા અને સાથે જ રહીશું…
અસ્તુ !

Comments (22)

ઝેર તો પીધાં છે જાણી જાણી – મીરાંબાઈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.         મેવાડા 0

કોયલ ને કાગ રાણા ? એક જ વર્ણાં રે;
કડવી લાગે છે કાગવાણી.             મેવાડા 0

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.              મેવાડા 0

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.               મેવાડા 0

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
મન રે મળ્યાં સારંગપાણિ.            મેવાડા 0

-મીરાંબાઈ

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…

Comments (14)

સૈયર શું કરીએ? – અનિલા જોશી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
                     સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
                     સૈયર, શું કરીએ?

ઊંધમાં જાગે ઉજાગરો
ને શમાણાંની સોગાદ
                     સૈયર, શું કરીએ?

મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
                     સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું
કે સાસરિયાનો સ્વાદ
                     સૈયર, શું કરીએ?

પગમાં હીરનો દોરો વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
                     સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
                     સૈયર, શું કરીએ?

– અનિલા જોશી

પ્રેમની વિષમતાઓ અને પ્રેમીજનની વિવશતાઓનું ઝટ જીભે ચડી જાય એવું ગીત. 

Comments (8)

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

વ્હાલા મિત્રો,

13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

Comments (45)

આપણા કાવ્ય-સામયિક – ૦૫ :કવિ

Kavi - Cover page

ગુજરાતી કાવ્ય સામયિક શ્રેણીની વાત ચાલતી હોય ત્યારે લુણાવાડા, પંચમહાલથી પ્રગટ થતા “કવિ”ની નોંધ લેવાનું વિસરી જઈએ એ ન ચાલે. પ્રો. મનોજકુમાર શાહ અને દિલીપ શાહના સંપાદન હેઠળ પ્રગટ થતું આ દ્વિમાસિક ઘણા વર્ષોથી નોંધપાત્ર કવિતાઓ ભાવક સમક્ષ પીરસે છે. ગણનાપાત્ર વિશેષાંકો એ આ સામયિકની ખૂબી છે. દેશ-વિદેશના કવિઓની કવિતાઓ ઠાંસી-ઠાંસીને ભરી હોવાથી વાચકને પૈસા વસૂલની લાગણી થયા વિના નહીં રહે. તમામ પ્રકારની કવિતાઓ ઉપરાંત અહીં પણ કાવ્યાસ્વાદો, કાવ્યાનુવાદો, કાવ્ય વિષયક પુસ્તકોની સમીક્ષાઓ, દેશ-વિદેશના સાહિત્યસ્વામીઓના પરિચય, સાહિત્યવૃત્ત અને કવિતા-ગઝલના સ્વરૂપ અંગેની અવારનવાર ચર્ચાઓ પણ દૃષ્ટિગોચર થાય છે.

*

કવિ” – દ્વિમાસિક
સંપાદક: શ્રી પ્રો. મનોજકુમાર શાહ, દિલીપ શાહ

લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 100/-, પરદેશ: 11 ડોલર, 8 પાઉન્ડ, આજીવન લવાજમ: રૂ. 1500/-
લવાજમ ‘કવિ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: પ્રો. મનોજકુમાર શાહ, 18, મહર્ષિ અરવિંદ સોસાયટે, લુણાવાડા-389230. જિ. પંચમહાલ ફોન.: 02674-250273, 09377119646

Comments (6)

આપણા કાવ્ય-સામયિક – ૦૪ :શહીદે ગઝલ

Shahide-ghazal_Cover page

“શહીદે ગઝલ” એટલે વડોદરાથી પ્રગટ થતું શકીલ કાદરીનું ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રૈમાસિક. શરૂઆતના માત્ર બીજા વર્ષમાં જ પગ મૂકતું આ ત્રૈમાસિક એક જ વર્ષમાં ગઝલ ચાહકો અને ગઝલકારોમાં સમાન લોકચાહના પ્રાપ્ત કરી શક્યું છે એ એની ગુણવત્તાનું ખરું પ્રમાણપત્ર છે. નોંધપાત્ર જાણીતા-અણજાણીતા ગઝલકારોની ઢગલાબંધ ગઝલોના મઘમઘતા રસથાળ ઉપરાંત અહીં ઘણું એવું છે જે આ સામયિક તમારા ઘરે આવતું ન હોય તો તમને અધૂરપની લાગણી જન્માવી શકે છે. ગઝલ અને ગઝલના બાહ્ય-આંતર્સ્વરૂપ, છંદશાસ્ત્રની તબક્કાવાર છણાવટ દરેક અંકે કોઈને કોઈ રૂપે થતી હોવાથી ભાવકની ગઝલ વિશેની વૈજ્ઞાનિક સમજ અંગેની શોધ અહીં અંત પામતી લાગે. ગઝલના ક્ષેત્રમાં થતા વિવાદો વળી સંપાદકનો પ્રિય વિષય છે અને સ્વસ્થ ચર્ચા જ જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠ કેડી હોઈ શકે, ખરું ને? ગઝલ ઉપરાંત અહીં નઝમ, ઉર્દૂ ગઝલ, ગઝલ વિવેચન-આસ્વાદ,  ગઝલને લગતા પુસ્તકોની સમીક્ષા જેવા ચમકદાર મોતીઓ પણ છે… ટૂંકમાં, સાચી ગઝલના ચાહકની ગઝલયાત્રા શહીદે ગઝલ વિના અધૂરી જ રહેવાની…
*

“શહીદે ગઝલ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી શકીલ કાદરી

લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 200/-, પરદેશ: રૂ. 600/-, શુભેચ્છક લવાજમ: રૂ. 2000/-
લવાજમ ‘એમ.એ.કાદરી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: મોહંમદ શકીલ એ કાદરી (Mohammed Shakeel A. Kadri), ડી-114, મધુરમ સોસાયટી, તાંદલજા રોડ, વડોદરા- 390012.

Comments (2)

ભૂલ – ઓકતે રિફાત

રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.

– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)

હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !

Comments (3)

આપણા કાવ્ય-સામયિક – ૦૩ :ગઝલવિશ્વ

Ghazalvishwa-title page

કેટલાક બાળકોની પ્રતિભા પારણાંમાંથી જ પરખાઈ જતી હોય છે. ‘ગઝલવિશ્વ’ ગુજરાતી કાવ્યસામયિકોની દુનિયામાં આવું જ એક નવજાત શિશુ છે. પ્રકાશનના પહેલા જ વર્ષથી એણે કવિઓ અને ભાવકવૃંદમાં એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર તરફથી પ્રગટ થતું આ ત્રૈમાસિક સામયિક ગઝલ, ગઝલ અને માત્ર ગઝલનું સામયિક છે. એના દરેક અંક એક આખા ગઝલસંગ્રહની ગરજ સારે છે. નવા-જૂના ગઝલકારોની પચાસ જેટલી ગઝલ ઉપરાંત ગઝલને લગતી ‘ક’થી ‘જ્ઞ’ સુધીની માહિતી આ લગભગ નિઃશુલ્ક ગણી શકાય એવા સામયિકના બે પૂંઠા વચ્ચે ખીચોખીચ ઠાંસેલી હોય છે. ગઝલના છંદશાસ્ત્રને લગતા લેખ અને ચર્ચાઓ, જૂના મુલ્યવાન સંગ્રહોમાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોએ લખેલી દુર્લભ પ્રસ્તાવનાઓ, ગઝલ વિષયક અભ્યાસ અને સંશોધનાત્મક લેખો, અનુવાદ, નવા પ્રકાશિત સંગ્રહોનું આચમન, આસ્વાદ ઉપરાંત ગઝલકારોની જૂની-નવી અને ગુજરાતી સાહિત્યની અલભ્ય તસ્વીર પણ તમને અહીં મળશે. ટૂંકમાં, ગઝલવિશ્વને આપ સમયની એરણ પર ટિપાઈ-ટિપાઈને તૈયાર થઈ રહેલો એક સંપૂર્ણ ગઝલ-વિષયક એન્સાઈક્લોપીડિયા ગણી શકો છો…

*

“ગઝલવિશ્વ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી
પરામર્શક: જલન માતરી, યોગેશ જોષી

લવાજમ : વાર્ષિક – દેશમાં ફક્ત 40/-રૂ., પરદેશ: રૂ. 500/-

લવાજમ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: 1) ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર-17, ગાંધીનગર-382017.
.          2) ‘ગ્રંથમાધુર્ય’, ‘રજવાડું’, મલાવ તળાવ પાસે, જીવરાજપાર્ક રોડ, અમદાવાદ-380051.

Comments (5)

આપણા કાવ્ય-સામયિક – ૦૨ : "કવિલોક"

Kavilok - Title page

કવિલોક એટલે ખરા અર્થમાં ‘ગુજરાતી કવિતાનું ઋતુપત્ર’. છેલ્લા એકાવન વર્ષથી પ્રગટ થતું માત્ર કવિતાને વરેલું આ દ્વિમાસિક શિશિર, વસંત, ગ્રીષ્મ એમ ઋતુ પ્રમાણે તમારા દરવાજે ટકોરા મારે છે અને ઋતુ-ઋતુનો ફાલ લઈ તમને આલિંગે છે. કવિવર રાજેન્દ્ર શાહે શરૂ કરેલ આ સામયિક આજે ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુ પરીખ ચલાવે છે. ગઝલ, અછાંદસ, ગીત, ઊર્મિકાવ્ય, સૉનેટ, હાઈકુ, મુક્તક જેવા તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર અહીં એકસાથે માણવા મળે છે અને ગુજરાતી ભાષાની કસાયેલી કલમ અહીં બાળસૂર્યના પહેલાં કિરણ સાથે એક જ પંગતમાં બેઠેલી જોવા મળે છે. કવિઓના આખા જીવનકાર્ય ઉપર દૃષ્ટિપાત કરાવતા લેખ ઉપરાંત કાવ્યાસ્વાદ, ગ્રંથાવલોકન અને અનુવાદ પણ આ ખજાનામાં સામેલ છે. ગુણવત્તા અને જથ્થો એ સિક્કાની બે વિપરિત બાજુઓ અહીં એકસાથે વિદ્યમાન છે એ જોતાં આ સામયિક આપણી ભાષાનો એક નોખો સિક્કો ગણી શકાય અને કવિતાની દુનિયામાં એ અલગ જ રુક્કો ધરાવે છે… કવિતાપ્રેમીઓના ઘરનું પુસ્તકાલય ‘કવિલોક’ વિના કદી પૂર્ણ ગણી નહીં શકાય…

*

“કવિલોક” – દ્વિમાસિક
તંત્રી: શ્રી ધીરુ પરીખ

લવાજમ : વાર્ષિક- દેશમાં 100/-રૂ., પરદેશ: અમેરિકા- 7 $ અથવા રૂ. 350/-, ઇંગ્લેન્ડ: 6 પાઉન્ડ
આજીવન- દેશમાં 1500/-રૂ., પરદેશ: અમેરિકા- 150 $, ઇંગ્લેન્ડ: 100 પાઉન્ડ

લવાજમ ‘કુમાર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: કુમાર ટ્રસ્ટ, 1454, રાયપુર ચકલા, અમદાવાદ – 380001.

Comments (7)

આપણા કાવ્ય-સામયિક – ૦૧ : “કવિતા”

Kavita - Title page

‘લયસ્તરો’ પર નિયમિતપણે કવિતા અને કાવ્યાસ્વાદની વાત કરતા રહીએ અને આપણી ભાષાના અગ્રગણ્ય કાવ્ય-સામયિકોને ન સ્મરીએ એ કેમ ચાલે? ગુજરાતી ભાષાના અગ્રગણ્ય અને/અથવા નોંધપાત્ર કાવ્યસામયિકોનો ટૂંક-પરિચય કરવાના અમારા આ અભિગમમાં આપ સૌને જોડાવાનું અમારું સહૃદય આમંત્રણ છે. પણ સામયિકનો પરિચય વાંચીને આપને એમ લાગે કે આ સામયિક વિના મારા ઘરની લાઈબ્રેરી અધૂરી છે તો એનું લવાજમ તાત્કાલિક ભરીને થોડા વધુ ગુજરાતી હોવાનો અહેસાસ મેળવો અને આપની આવનારી પેઢી આ ભાષાનો વારસો જાળવી રાખશે એની ખાતરી પણ મેળવો. (હા, લવાજમ ભરતી વખતે ‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી એવું લખવાનું ભૂલશો નહીં. પુસ્તકોના પાનાંઓમાં કેદ આપણી ભાષાના સુસજ્જ સંપાદક-મિત્રોને એ વાતની જાણ થવી જરૂરી છે કે ગુજરાતી ભાષા પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટીને ક્યારનીય ગ્લોબલ-ગુજરાતી બની ગઈ છે!!)

મુંબઈથી છેલ્લા એકતાળીસ વર્ષોથી નિયમિતપણે પ્રગટ થતું ‘કવિતા’ એ આપણા કાવ્ય-સામયિકોમાં હાલની તારીખે મોખરાનું સ્થાન ધરાવે છે. એકતાળીસ વર્ષોની યાત્રા દરમિયાન આ દ્વિમાસિકે આજપર્યંત 245 મનભાવન અંકો કાવ્યરસિકોને પીરસ્યા છે. અગ્રગણ્ય કવિઓ અને નવોદિતોને કાળા-ધોળાના ભેદભાવ વિના એક જ પંગતમાં બેસાડતા આ સામયિકમાં ગીત-ગઝલ-સૉનેટ, મુક્ત સૉનેટ, ઊર્મિકાવ્ય, અછાંદસ, મુક્તક અને તમે નામ દઈ શકો એ તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર કોઈ પણ છોછ રાખ્યા વિના અનવદ્યપણે પ્રગટ થાય છે. વિશ્વના શ્રેષ્ઠ કવિઓની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓના ગુજરાતી અનુવાદ, ઉત્તમ કવિતાઓના અર્થગહન કાવ્યાસ્વાદ, દેશ-વિદેશના કવિઓના ફૉટોગ્રાફ્સ, કાવ્યસંગ્રહોનો ટૂંક-પરિચય પણ અહીં સામેલ છે. દરેક અંકનું મુખપૃષ્ઠ પોતે પણ એક કવિતાથી કંઈ કમ નથી હોતું !

“કવિતા” – દ્વિમાસિક
તંત્રી: શ્રી સુરેશ દલાલ, સહયોગી તંત્રી: શ્રી હિતેન આનંદપરા, મુખપૃષ્ઠ સજાવટ: શ્રી સંદીપ ભાટિયા.
લવાજમ : વાર્ષિક- દેશમાં 200/-રૂ., પરદેશમાં સી-મેલ 280/- રૂ., ઍરમેલ 425/- રૂ.
લવાજમ ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: સર્ક્યુલેશન મેનેજર, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, પોસ્ટ બૉક્સ નં. 62, મુંબઈ-400001

Comments (15)

ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ)

વરસાદની મોસમ શિયાળાની ઋતુની જેમ બિલ્લી પગલે આવતી નથી. એ તો આવે છે રાજા-મહારાજાની જેમ ઢોલ-ત્રાંસા-પડઘમ-નગારાં લઈને. આકાશમાં નવોઢાના ગાલે શરમના લાલ શેરડા ફૂટે એમ વાદળ ગાઢા થાય, કૂણાં તૃણ ઉદગ્રીવ બને, ચાતકના ગાન ને મોરલિયાની તાન અસ્તિત્વના આસવને ભીંજવવા જાણે કે હોડ બકે, જમીનમાં ક્યાંય ઊંડે જઈ સૂતેલા દેડકા યુગો પછી જાગૃતિનો ઓડકાર ખાઈ કાનને તર કરી દે, વૃક્ષો ભીનાં નવલાં પાનેતર સજીને આ આખી જાનમાં જોડાય અને વરસાદના ટીપાં એના નવકાર સૂર સાથે ટપ્પ-ટપ્પ કરતાં પંચેન્દ્રિયને સંવેધે છે ત્યારે ધરતી હંમેશની જેમ ચૂપ જ રહે છે પણ એના મૌનની ભાષા આપણું નાક સાંભળે છે. માટીની ભીની ગંધ એ વરસાદ સાથે ધરતીના અનંગવેગપ્રચૂર સંવનનની દ્યોતક છે. બેજુબાન માટીની જે અવર વાણી છે એ તો વળી અજોડ છે. પગ નીચે કોઈ કૂંપળના મ્હોરવાનો સળવળાટીયો સાદ કદી અનુભવ્યો છે? અને સૂરજ જે વાદળની પછવાડે સંતાઈને આખી ઘટનાને વધુ આસ્વાદ્ય બનાવે છે એ વરસાદ પછી પ્રકટ થઈ આકાશમાં સાત રંગની કવિતા બનાવે છે…રાતના કાળા છાબડામાં ઝબુકી જતી દામિની એ ચોમાસાની વળી એક અલગ અને અલભ્ય અનુભૂતિ સ્તો.

…લયસ્તરો પર આપણે એક આખ્ખા અઠવાડિયા સુધી તરબતર થવાનું કાલથી આદરીએ એ પહેલાં કેટલાક વહી ગયેલા છાંટાઓમાં પુનઃ નાહી ન લઈએ? એક પછી એક કવિતા પર ક્લિક કરતા જાઓ અને માણતા જાઓ આ મોસમે-બહારને મનભરીને – તનભરીને….

ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું- મણિલાલ હ. પટેલ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે- ભગવતીકુમાર શર્મા

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

ચાલ, વરસાદની મોસમ છે – હરીન્દ્ર દવ

ડૂબવાનું હોય જાણે કે જગત – રવીન્દ્ર પારેખ

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં – સુધીર પટેલ

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી -ઉદયન ઠક્કર

આખા ડિલે ઊઠી આવ્યા જળના ઝળહળ સોળ – કરસનદાસ લુહાર

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું – અનિલ જોશી

પાણીના ટીપે ઘાસમાં જઈએ – શોભિત દેસાઈ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા – દિલીપ રાવળ

તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે – વિવેક મનહર ટેલર

જલ ભીંજેલી જોબનવંતી લથબથ ધરતી – લાભશંકર ઠાકર

Comments (8)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ…

શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.

કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો– વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.

ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

P1011107
(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

P1011138
(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો…       …મારું ગઝલવાચન)

*

P1011140
(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)

*

With Adil mansuri
( જનાબ આદિલ સાહેબ સાથે હું…)

*

P1011153
(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

Comments (20)

મુક્તક – સાગર સિદ્ધપુરી

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

– સાગર સિદ્ધપુરી

Comments (5)

સાંભળો રે સાંભળો – ર.કૃ.જોશી

કાલે હું મારી સંપત્તિ જાહેર કરવાનો છું 

      ભાંગીતૂટી
      ત્રણ
      ખુરશી

             ઘોબા પડેલા
             ચારપાંચ
             વાસણો 

                     સનમાયકામાં
                     તડ પડેલું
                     ટેબલ
                     એક

      બે ડિઝાઈનના
           બે કપરકાબી
                     ન ચાલતું લાઈટર
                         લીક
                     થતો 
                         ગેસ

      ભેટ મળેલી બૉલપેન
           ગયા
           વર્ષની
           ડાયરી અને આ કવિતા.

– ર.કૃ.જોશી ( અનુ. જયા મહેતા)

કવિ ‘સાંભળો રે સાંભળો’થી કવિતાની શરૂઆત કરે છે – ગામમાં દાંડિયો આવ્યો હોય એમ. કવિનો પૂરો અસબાબ થોડી જ લીટીમાં આવી જાય છે જેમાં જરીપૂરાણી ચંદ ચીજો સિવાય કાંઈ નથી…  પહેલી નજરે આ કાવ્ય કવિની દરિદ્રતા પર કટાક્ષ લાગે પરંતુ કવિતાની ખરી ચોટ છેલ્લી લીટીમાં છે… જેમા કવિ પોતાની સંપત્તિમાં આ કવિતાને ઉમેરે છે. જે કવિને પોતાની ખરી જણસનો ખ્યાલ છે એ તો પોતાની જ અલગ દુનિયામાં રહે છે. એને માટે સંપત્તિની વ્યાખ્યા જ અલગ છે. લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે જ્યારે કવિ એને ભરબજારે ‘સાંભળો રે સાંભળો’ કહીને સંભળાવે છે. એ કવિની આગવી ખુમારી છે. ફકીરીનો નશો જેણે કરેલો છે એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે.

Comments (7)

દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…

ગુજરાતી ભાષાનો દુર્લભ અને અમૂલ્ય ખજાનો – ભગવદ્ગોમંડલ – ફરી એકવાર ભાષાના સદનસીબે ઉપલબ્ધ થયો છે. જે ભાષા પાસે પોતાનો ‘એન્સાઈક્લોપીડિયા’ નથી એ કેમ જીવી શકે ? ગુજરાતી ભાષાના લલાટે લખાયેલું આ મહેણું ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ પહેલ-પહેલીવાર તોડ્યું. એક બાજુ દેશભરમાં આઝાદીની લડતનો જુવાળ ફાટી નીકળ્યો હતો ત્યારે આ રાજવીએ શબ્દયજ્ઞ આદર્યો. પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ એમણે વિશાળ શબ્દકોશ રચવાના ભગીરથ કાર્યના શ્રીગણેશ કર્યા અને લાગલગાટ છવ્વીસ વર્ષોની એકધારી તપશ્ચર્યાના અંતે જ્ઞાનગંગાનું અવતરણ મા ગુર્જરીના ખોળે કરી શક્યા. મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો પણ સમાયા છે. ૧૯૪૮માં પ્રથમવાર છપાયેલા આ જ્ઞાનકોશનું પુનર્મુદ્રણ ઠેઠ ૧૯૮૬માં શક્ય બન્યું અને આજે પુનઃપુનર્મુદ્રણ ૨૦૦૭-૦૮માં કરવામાં આવ્યું છે. આ મહાકાય અને લગભગ આકાશકુસુમવત્ ભાસતા, માથે દેવાનો ડુંગર ખડકી શકે એવા ખર્ચાળ સાહસ કરવાનું ગાંડપણ રાજકોટના ‘પ્રવીણ પ્રકાશને’ કર્યું છે એ બદલ ‘લયસ્તરો’ ટીમ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન…

પરંતુ એક દુઃખની વાત એ પણ છે કે કબાટનું એક આખું ખાનું રોકી લે એવા આ મહાગ્રંથની માત્ર ૧૦૦૦ પ્રત જ છાપવામાં આવી છે. કદાચ પ્રકાશક પણ જાણે છે કે ભાષાને જીવાડવાના બણગાં ફૂંકતી દાળભાતખાઉં પ્રજા કાગળ પરના વાઘની ગર્જનાથી વિશેષ કંઈ નથી. આપણામાંથી ઘણાના ઘરે ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જરૂર હશે, પણ ભગવદ્ગોમંડલ ખરીદવાનો તો વિચાર પણ નહીં આવે. રૂ. ૧૦૦૦૦ જેવી આજના જમાનામાં મામૂલી ગણાતી રકમમાં વેચાતી આ જ્ઞાનની બહુમૂલ્ય સરિતા 30મી એપ્રિલ સુધીમાં તો માત્ર રૂ. ૭૫૦૦માં જ મળશે.

ગુજરાતમાં, ગુજરાત બહાર અને દૂર દેશાવરોમાં પાણીના રેલાની માફક પથરાઈ ગયેલ કરોડો ગુજરાતીઓની વચ્ચે ૧૦૦૦ પુસ્તકોની સંખ્યા પણ કેમ વધુ પડતી લાગે છે ? રિબોકના ૩૦૦૦-૪૦૦૦ રૂ.ના જોડા પગમાં ઘાલીને કે રેબનના ૨૫૦૦-૩૦૦૦ના ગૉગલ્સ આંખે ચઢાવી થિયેટર-રેસ્ટૉરન્ટની એક મુલાકાતમાં જ ૫૦૦-૧૦૦૦ રૂપરડીની ચટણી કરતી પ્રજાના ખિસ્સામં સાડા-સાત હજાર રૂપરડી પણ નથી? કે મરતી માને પાણી પૂછવાનું પણ હવે આપણે સાવ જ વિસારી દીધું છે ?

(‘રાગ’ શબ્દનો અર્થ ત્રણ-ત્રણ પાનાં ભરીને કેવી રીતે આ ગ્રંથોમાં આપ્યો છે એ આ નમૂનામાં જોઈ શકાય છે. રાગ વિશે કોઈ પણ જાતની જાણકારી ન ધરાવનાર પણ આ પૃષ્ઠોમાંથી પસાર થઈ સંતોષનો ઓડકાર ખાઈ શકે છે. આ એક નમૂનો છે. આપણી ભાષાના કોઈ પણ શબ્દના અર્થની જે વિશદતાથી અને વિસ્તારથી અહીં છણાવટ કરવામાં આવી છે એ અભૂતપૂર્વ છે…) (Click on the photograph to get an enlarged view)

Comments (18)

‘ઉદ્દેશ’ : એક વધુ સત્વશીલ સામયિક વેબ પર

ગુજરાતીનો વ્યાપ વેબ પર ખૂબ વધી રહ્યો છે એ તો આનંદની વાત છે જ. પરંતુ એનાથી પણ વધુ આનંદની વાત એ છે કે સત્વશીલ સાહિત્ય સામયિકો પણ હવે વેબ પર આવી રહ્યા છે. થોડા દિવસ પર સુધીરભાઈ પટેલે મને ‘ઉદ્દેશ’ની વેબસાઈટ વિશે ખાસ લખી જાણાવ્યું.

‘ઉદ્દેશ’ની વેબસાઈટ ગુજરાતી સાહિત્યના દરેક રસિયા માટે નાના ખજાના સમાન છે. એમાં ‘ઉદ્દેશ’ના તાજા અંકમાંથી સામગ્રી (ઉદ્દેશ-સુરખી) ઉપરાંત બીજા ઊંચી ગુણવત્તાવાળા સામાયિકોમાંથી ચયન (આચમન) અને સાહિત્ય સમાચાર (ઉદ્દેશ વૃત્ત) પણ છે. ‘ઉદ્દેશ’ના સન 1990-91ના બધા અંકો પૂરેપૂરા અહીં મૂક્યા છે. કદાચ આગળ જતા બીજા અંકો પણ મૂકાશે એવી આશા રાખીએ. વધારામાં, સુંદરમ સંપાદિત ‘દક્ષિણા’ના થોડા વિરલ અંકો પણ મૂક્યા છે.

વેબસાઈટ સરસ ‘ડિઝાઈન’ કરેલી છે. કમનસીબે, કોઈ ફોંટનો ઉપયોગ કરવાને બદલે બધી સામગ્રી ‘સ્કેન’ કરીને મૂકેલી છે. સામગ્રી ઘણી છે પણ તેને કોઈ પણ રીતે ‘સર્ચ’ કરવાની વ્યવસ્થા નથી એ એક બીજી મર્યાદા છે. આ નાની બાબતોને નજરઅંદાજ કરી તમે જરૂરથી આ સાહિત્યના ખજાનાની સત્વરે મુલાકાત લેશો.

Comments (3)

લયસ્તરોની ત્રીજી વર્ષગાંઠ

પોતાના વ્હાલસોયા સંતાનને મોટું થતું જોવું કોને ન ગમે? દીકરાની વર્ષગાંઠ પર કયો બાપ ખુશીથી ન ઊછળી ઊઠે? દોસ્તો, આજે ‘લયસ્તરો’ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અમારું હૈયું હર્ષોલ્લાસથી છલકાઈ રહ્યું છે. થોડો પોરો ખાઈ પાછાં વળીને જોઈએ છીએ તો દેખાય છે કે ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની અમારી આ સફર ખાસ્સું ગજું કાઢી શકી છે. સવા ત્રણસો જેટલા કવિઓની લગભગ નવસોથી વધુ કવિતાઓનો આ રસથાળ શું સાચે જ અમારી મહેનતના કારણે શક્ય હતો? શું અમે સાચે જ આટલું ચાલી શક્યા હોત?

…ના…

અમારી આ અવિરત સફર અગર જારી રહી શકી છે તો એ શ્રેયના એકમાત્ર અને સાચા હકદાર આપ છો… માત્ર આપ જ! આપનો સ્નેહ એ જ અમારો શ્વાસ છે… ગુજરાતી કવિતા આજે પુસ્તકના પાનાંના ઉંબરા વળોટીને વિશ્વના સીમાડાઓ આંબી રહી છે ત્યારે લયસ્તરોના વાચકમિત્રોને અમારા તરફથી એક અઠવાડિયા સુધી દરરોજ બબ્બે વિશ્વ-કવિતાઓ -એક ભારતીય ભાષા અને એક વિદેશી ભાષા- ની નાનકડી ભેટ આપી અમે અમારા હૈયાને આભારના ભારથી થોડું હળવું કરીએ…

અને હા… પ્રતિદિન એક નવી કવિતાની અમારી આ સફર તો શક્ય હશે ત્યાં સુધી ચાલુ જ રહેવાની… રૉબર્ટ ફ્રોસ્ટની અમારા બંનેની મનગમતી કડીઓથી “વિશ્વકવિતા સપ્તાહ”ની શરૂઆત કરીએ?

Woods are lovely, dark and deep
but I have promises to keep
and miles to go before I sleep
and miles to go before I sleep…

-ધવલ શાહ, વિવેક ટેલર
‘લયસ્તરો’ ટીમ

Comments (25)

જવું હતું ગામ – ચંદ્રિકાબહેન પાઠકજી

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

-ચંદ્રિકાબહેન પાઠકજી

ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’)

Comments (4)

નૂતન વર્ષાભિનંદન

નવા વરસે….
.        …આનંદ વરસે..!

– ‘લયસ્તરો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

નવું વરસ…
.      …વીતે સહુનું સરસ…!!

Comments (7)

પછી – હરીન્દ્ર દવે

પહેલાં તમારી આંખે
          સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
          રાત થઈ પછી.

નાજુક ક્ષણોમાં કોલ
          મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
          મુલાકાત થઈ પછી.

– હરીન્દ્ર દવે

આ કવિતા પહેલા વાંચેલી ત્યારે કોઈ ખાસ અસર વિના પસાર થઈ ગયેલી. પણ આજે ફરી વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કવિતાનો મર્મ પહેલા ચૂકી જવાયેલો. ખીલતી ખૂલતી ક્ષણ પછી ઘેરા શોકનો સમય આવે છે એ વાત સીધી રીતે કવિએ મૂકી છે. પણ કવિની ખરી કરામત તો એ પછી આવે છે. એ કહે છે કે એક વાર મૃત્યુ સાથે ઓળખાણ કરી લીધી – એને સાથે હાથ મિલાવી લીધા – પછી જ જીવનનો ખરો પરિચય થઈ શક્યો !

Comments (9)

શબ્દ – ઉમાશંકર જોશી

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

– ઉમાશંકર જોશી

શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )

Comments (14)

ઝાકળના તાજા ટીપાંઓનાં સપ્તાહ…

પુષ્પની પાંખડી પર વહેલી પરોઢે જામતા ઝાકળનાં ટીપાં જેટલી તાજગી સૃષ્ટિમાં બીજે ક્યાંય વર્તાતી જોવા મળે ખરી? વાતાવરણમાં આખી રાત ઘૂંટાયા કરેલ ભેજ થોડો સ્થિર થાય ત્યારે પાંદડીને એક તાજી ભીનાશનું સરનામું બનવાની ધન્ય ક્ષણ સાંપડે છે. તાજી નાહીને નીકળેલ સુંદરી માટે આપણે સદ્યસ્નાતા શબ્દ વાપરીએ છીએ, નવોદિત કવિ માટે આપણે ‘સદ્યશબ્દેલ’ પ્રયોગ કરી ન શકીએ? આખી રાત સરસ્વતીના વરદાનનો ઘૂંટાતો રહેલો ભેજ શબ્દનું ઝાકળ બનીને જ્યારે કાગળ પર ઉતરે છે ત્યારે એક સદ્યશબ્દેલ કવિનો જન્મ થાય છે.

પ્રતિદિન એક નવી કવિતાના ન્યાયે ‘લયસ્તરો’ પર ગુજરાતી ભાષાના ત્રણસોથી વધુ દિગ્ગજ તથા નવોદિત કવિઓની કલમે સર્જાયેલી લગભગ સાડી આઠસો જેટલી સબળ કૃતિઓ આજે ‘માઉસ’ની એક ક્લિક્ માત્ર પર હાજર છે. અવારનવાર તરોતાજા કવિઓની રચનાને પણ યથાર્થ ન્યાય આપવાની અમારી કોશિશ રહી છે. પરંતુ ‘ફૉર અ ચેઈન્જ’ આ બે સપ્તાહ થોડા નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓને સમર્પિત. તો ચાલો, રંગાઈ જઈએ ગુજરાતી ભાષાના આકાશમાં ઊગી રહેલા નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગો…

-લયસ્તરો ટીમ

Comments (10)

સુધન – હરનિશ જાની

ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની ખુશ્બૂમાં તરબતર રહેતા નેટ-ગુર્જરો હરનિશ જાનીના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. છેલ્લા ચાળીસેક વર્ષથી અમેરિકામાં સ્થિર થયેલા હરનિશ અહર્નિશ હાસ્ય અને વ્યંગ્યના માણસ છે. એમનો પરિચય ન્હોતો ત્યારે શરૂમાં એમના વ્યંગથી હું ખાસ્સો છેતરાયો પણ હતો પણ જેવું હાસ્યનું હાડકું ઊગ્યું કે એમના માટે મને માન વધી ગયું. ગુજરાતી ભાષાના ઘણા સામયિકોમાં એમના હાસ્યલેખો અને વાર્તાઓ અવારનવારપ્રગટ થતા રહે છે. “કુમાર’ જેવા સામયિકના એક જ અંકમાં ત્રણ-ત્રણ જગ્યાએ એમના લેખ અને એમના વિશે છપાયેલું વાંચ્યું ત્યારે અદભુત રોમાંચ થયો હતો. ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારોની પુસ્તક-પ્રકાશન યોજના હેઠળ પ્રગટ થનાર સૌપ્રથમ પુસ્તક એટલે હરનિશ જાનીનો વાર્તાસંગ્રહ – “સુધન”. આજની પરિભાષામાં દળદાર કહી શકાય એવા આ વાર્તાસંગ્રહની સૌથી પહેલી ખૂબી એ છે કે એકેય વાર્તા ભારઝલ્લી બની નથી. વાર્તાનો વિષય ગમે તેવો ગંભીર હોય, એક સમર્થ હાસ્યકારની હથોટી દિલને આંચકો આપ્યા વિના જ આખી સફર પાર કરાવે છે. ગંભીર વિષયને હળવાશથી રજુ કરવાની કાબેલિયત હકીકતમાં તો ભાવકને અંદરથી ખૂબ જ ગંભીર કરી દે છે પરંતુ અંતર પર બોજ વર્તાવા દેતી નથી અને એ જ આ વાર્તાઓની ખરી સિદ્ધિ છે. . પુસ્તક હાથમાં લો અને પોણીબસો પાનાં એક જ બેઠકે વાંચી નાંખવાનું મન થાય એવી મજાની ટૂંકી અને ઠેકઠેકાણે હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાઓ અને આંખના ખૂણા જરા ભીનાં થઈ જાય એવા બે ચરિત્ર લેખો અહીં સામેલ છે. પિતા સુધનલાલને અંજલિ આપવા એમણે આ સંગ્રહનું નામ “સુધન” રાખ્યું છે, પણ એ સાચા અર્થમાં આપણું સુ-ધન બની રહે એમ લાગે છે.

હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”

લયસ્તરો તરફથી શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

(સાભાર સ્વીકાર: “સુધન” – વાર્તા સંગ્રહ. લે.: હરનિશ જાની. પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ- 3800009.)

Comments (14)

યાહોમ કરીને પડો – કવિ નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…

Comments (4)

ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !

થોડા વખત પર સંદેશ યુનિકોડનો ઉપયોગ કરનારું પહેલું ગુજરાતી છાપું બન્યું હતું. આજથી દિવ્ય ભાસ્કર યુનિકોડનો ઉપયોગ કરનારું બીજું ગુજરાતી છાપું બને છે. દિવ્ય ભાસ્કર જો તમે ઈંટરનેટ એક્સપ્લોરરમાં જોતા હો તો તમને કોઈ જ તફાવત દેખાશે નહીં. પરંતુ આ સાઈટના ફોંટ (સૂર્યા) એ આજથી યુનિકોડ એનકોડિંગમાં કામ કરે છે. હવે એક વધુ છાપું તમે ગુગલથી શોધી શકો છો અને એમાંથી કોઈ પણ ‘ટેક્સ્ટ’ લઈને કોઈને ઈ-મેલ કરી શકો છો.

આનો એક વધારે ફાયદો એ છે કે સૂર્યા ફોંટનો આપ યુનિકોડ ફોંટ તરીકે (શ્રુતિની જગાએ) ઉપયોગ કરી શકો છો. આ ફોંટને મેં આજે બરાબર અજમાવી જોયા છે અને કેટલીક બાબતમાં ( દા.ત.દૃ અને શ્લો જેવા અક્ષરો માટે) એ શ્રુતિ ફોંટથી પણ વધારે સરસ કામ આપે છે. ગુજરાતીમાં ‘પ્રોફેશનલ’ લેવલના ગણી શકાય એવા આ ‘શ્રુતિ’ પછીના પહેલા યુનિકોડ ફોંટ છે.

યુનિકોડનો પવન પુરબહારમાં ફૂંકાવા માંડ્યો છે. હવે ગુજરાતીના પતંગને નેટના આકાશમાં ઊંચે ચડવામાં જરાય વાર નહીં લાગે !

Comments (8)