એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
સંકડાશ જ્યાં જ્યાં પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.
વિવેક મનહર ટેલર

છ અક્ષરનું નામ

રમેશ પારેખ ( 27-11-1940 થી 17-05-2006)

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.

સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.

હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.

હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.

કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.
નવલિકા: ‘સ્તનપૂર્વક’
નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’
લેખો: ‘હોંકારો આપો તો કહું’.
બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.
સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.

પારિતોષિકો: કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.

20 Comments »

  1. ધવલ said,

    May 18, 2006 @ 11:58 AM

    Best write up on Ramesh Parekh I have seen anywhere on web… including the newspapers.

    Thanks.

  2. Siddharth said,

    May 18, 2006 @ 3:17 PM

    વિવેક,

    તમે અર્પેલી શ્રદ્ધાંજલિ સાબિત કરે છે કે ખરેખર શબ્દો જ તમારો શ્વાસ છે.

    સિદ્ધાર્થ
    http://drsiddharth.blogspot.com

  3. Anonymous said,

    May 26, 2006 @ 2:21 AM

    Mitr Vivek,
    R.P. ne sradhaanjali arpata tara shabdo… vaachak ni aangdi pakadi R.P. na jivan baag na aangna sudhi lai jaay chhe… ne kahe chhe … hawe tamare jetli maanvi hoi sugandh maano.

    Meena

  4. Hardik said,

    June 8, 2006 @ 9:14 AM

    વિવેકજી,

    સૌ પહેલા આ વેબલોગ માટે તમને અભિનંદન. તમે આપેલી માહિતી જો તમે વિકિપીડિયામા આપસોતો વધુ લોકો આનો લાભ લઈ શકશે.

    http://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE

    – હાર્દિક

  5. Hardik said,

    June 21, 2006 @ 5:51 AM

    વિવેકજી,

    તમે આપેલી આ માહિતી મે વિકિપીડિયામા મૂકેલી છે.

    http://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%B6_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%96

    તમારી મંજૂરી લીધા વગર મે આ મૂકેલ છે, કોઈ ફેરફાર હોય તો મને જાણ કરજો.

    ધન્યવાદ,
    હાર્દિક

  6. ગુજરાતી સારસ્વત પરિચય » રમેશ પારેખ said,

    August 11, 2006 @ 2:13 AM

    […] – # કૃતિઓ   :  છ અક્ષરનું નામ […]

  7. લયસ્તરો » હવે ગુજરાતીમાં યાહૂ ! said,

    February 7, 2007 @ 5:55 PM

    […] યાહૂ ગુજરાતીને પોતાનો સાહિત્ય વિભાગ પણ છે. એમા એક રસપ્રદ લેખ રમેશ પારેખ વિષે છે એ ખાસ જોજો. લયસ્તરોના વાંચકોને તરત ખ્યાલ આવશે કે આ લેખ યાહૂએ લયસ્તરો પરથી લઈને જ ત્યાં મૂક્યો છે ! એ લેખ મૂળ વિવેકે લખેલો છે અને એ તમે અહીં જોઈ શકો છો. અમે યાહૂને જણાવ્યું છે એટલે આશા રાખીએ કે તમે થોડા વખતમાં વિવેકનું નામ લેખક તરીકે ત્યાં જોઈ શકશો ! […]

  8. जोगलिखी » Blog Archive » याहू से सावधान रहें said,

    February 9, 2007 @ 12:45 AM

    […] क्या कहा? विश्वास नहीं होता? तो यह देखिये, गुजराती चिट्ठाकार विवेक टेलर के चिट्ठे ‘लयस्तरो’ से पूरी की पूरी प्रविष्टी उडा कर याहू ने यहाँ सजा ली है और इसके लिए विवेकभाई के अनुसार उनसे पूछा तक नहीं गया. […]

  9. जोगलिखी » Blog Archive » याहू ने हटाया लेख said,

    February 14, 2007 @ 12:38 AM

    […] चिट्ठाकार विवेकभाई टेलर का लेख याहू द्वारा उड़ा लेने पर मैने सावधान रहने कि सलाह देते हुए लिखा था. […]

  10. લયસ્તરો » રમેશ પારેખ વગરનું એક વર્ષ… said,

    May 17, 2007 @ 5:07 AM

    […] છ અક્ષરનું નામ […]

  11. s.vyas said,

    May 20, 2007 @ 10:39 AM

    વિવેક્ભાઈ,
    આ સુંદર, ઉચિત ચારિત્ર્યલેખ વાંચી, રમેશભાઈની અને તેમની ક્રુતીઓની વધુ ગાઢ ઓણખાણ કરાવવા બદલ આભાર.

  12. Shah Pravin said,

    May 20, 2007 @ 10:55 AM

    વિવેકભાઈ,
    તમે, રમેશભાઈનું સુંદર ચારિત્ર્યલેખન કર્યું.
    ખૂબ ખૂબ આભાર.

  13. ડો.મહેશ રાવલ said,

    May 18, 2008 @ 8:03 AM

    રમેશ પારેખના દેહવિલયને આજે બે વર્ષ થયાં……
    મન હજુ એ માનવા તૈયાર નથી કે,તેઓ આપણી વચ્ચે નથી.
    રાજકોટમાં રહીએ એટલે,અનેક કાર્યક્રમોમાં સાથે હોઇએ.મેં ઘણીવાર/ઘણોસમય એમની સાથે વિતાવ્યો છે.આજસુધી રમેશ પારેખ જેવો સહજ,સાલસ,સરળ અને નખશિખ ઉમદા માણસ ક્યાંય નહીં જ હોય – એ વાત,એમને માત્ર એકજ વખત મળ્યા પછી નક્કી થઈ જાય.
    વિવેકભાઈએ લયસ્તરો પર શ્રી રમેશ પારેખ વિષે જે લખ્યું છે એ,સો ટચના સોના જેવું છે હું પણ એમાં મારો સૂર પુરાવતાં ધન્યતા અનુભવું છું-આભાર વિવેકભાઈ!,આભાર લયસ્તરો !

  14. Rajeshwari Shukla said,

    May 18, 2008 @ 11:48 AM

    મને બરાબર યાદ છે તે દિવસ.
    કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને ઘેર તે દિવસે શુભ પ્રસંગ હતો અને તેમના મિત્રો પૈકી રમેશભાઈ પણ તે પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.ખૂબ આનંદથી બધા મિત્રોએ પ્રસંગ માણ્યો અને તે પોતાને ઘેર જવા નીકળ્યા અને અમે અમારા ઘેર દાહોદ પહોંચ્યા.બીજે દિવસે તેમના દેહવિલયના સમાચાર સાંભળ્યા.તેમની રચનાઓ આજે પણ કાનમાં ગૂંજે છે.
    “આ મન પાંચમના મેળામાં સહુ જાત લઈને આવ્યા છે….”
    “મોગરાની કળી મને બગીચામાં મળી..”
    તેમને હાર્દિક શ્રધ્ધાંજલિ….સમગ્ર શુક્લ કુટુંબ તરફથી.”

  15. jayesh upadhyaya said,

    May 19, 2008 @ 5:54 AM

    વીવેકભાઇ
    સરસ લેખ આલા ખચરની ઓળખાણ કરાવશો તો ર્.પા.ને જરુર થી આનંદ થશે

  16. વિવેક said,

    May 19, 2008 @ 8:14 AM

    પ્રિય જયેશભાઈ ઉપાધ્યાય,

    ર.પા.ની વાત હોય અને લયસ્તરો પાછળ પડે એમ કેમ બને? આ લ્યો આલા ખાચર બાપુ….

    રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

  17. indravadan g vyas said,

    May 19, 2008 @ 11:27 AM

    વિવેકજી,
    રમેશ પારેખ ને આપે આપેલ સ્નેહાન્જલી વાંચી મનમા થયુ આજે આ શ્રધ્ધાન્જલિ વાંચી ર.પા. આવુ કહે, ” આવુ તો હું જીવતો હતો, ત્યારેય કોઇ કહેતુ ન્હોતુ. માળા ક્યાં ગ્યાતા તે દિ’ ગધના..”…
    બહુજ સરસ ! !
    રાજેશ્વરી દિલિપ શુક્લ,( રાજુમાસી), તુ બેનભાગ્યશાળી કે તું રમેશભાઈને છેલ્લે મળી શકેલી..
    ર.પા. ના ખુબ સરળ સ્વભાવ નો પરિચય મને ૧૯૭૬ માં રાજકોટ માં. ઉપેન્દ્રભાઈ ના અધ્યશપણામાં યોજાયેલ કવિસંમેલન પછી મે રમેશભાઈ ને કહ્યું, “મારી દિકરી નું નામ સોનલ છે.તેને નામ એકાદી લીટી ન લખી આપો? રમેશ થોડું મલકી ને કહે,why not? અને કવિ સમ્મેલન ના નિમંત્રન પત્રની પાછળ લખ્યું,”સોનલ,સોનલ, ચલો આપણે ઘેર રે….” રમેશ પારેખ…
    આજે આ ર્.પા. ની શ્રેષ્ઠ ભેટ જીવ ની જેમ સાચવું છું.
    ઈન્દ્રવદન ગો વ્યાસ યુ.એસ એ.

  18. Divya modi said,

    May 19, 2008 @ 12:37 PM

    વિવેકભાઈ , ર.પા. નું ઊર્મિસભર , અજોડ ચારિત્ર્યલેખન ! પ્રત્યેક ગુજરાતી ની ર.પા. પરત્વેની લાગણીનો અહીં પડઘો પાડ્યો છે તમે… આપણા માનવંતા કવિને આથી ઉત્તમ શ્રધ્ધાંજલિ તો હોઈ જ ના શકે.

  19. jayesh upadhyaya said,

    May 20, 2008 @ 3:46 AM

    આભાર વિવેકભાઇ આલા ખાચરની કરુણ છતાં કડવી વાસ્તવીકતા ર્.પા. શબ્દબધ્ધ કરી શકે નપુંસકતાનો રોષ નાડી પર ઉતારવો અને રોફ માં ને રોફમાં કાચી ડુંગડી ખાવી આ વાત ર.પા.જ કરી શકે ફરી એક વાર આભાર

  20. gunvant thakkar said,

    May 19, 2012 @ 1:33 AM

    ર .પા .ને સુંદર અંજલી , ખુબખુબ અભિનન્દન .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment